યશાયા૨૪
Listen to this chapter
0:00
0:00
૧
જુઓ! યહોવાહ પૃથ્વીને ખાલી કરીને તેને ઉજ્જડ કરે છે, તેને ઉથલાવીને તેના રહેવાસીઓને વેરવિખેર કરી નાખે છે.
૨
જેવી લોકની, તેવી યાજકની; જેવી ચાકરની, તેવી જ તેના શેઠની; જેવી દાસીની, તેવી જ તેની શેઠાણીની; જેવી ખરીદનારની, તેવી જ વેચનારની; જેવું ઉછીનું આપનારની, તેવી જ લેનારની; જેવી લેણદારની, તેવી જ દેણદારની સ્થિતિ થશે.
૩
¶ પૃથ્વી સંપૂર્ણ ખાલી કરાશે અને તદ્દન ઉજ્જડ કરાશે, કેમ કે યહોવાહ આ વચન બોલ્યા છે.
૪
પૃથ્વી સુકાઈ જાય છે અને જીર્ણ થઈ જાય છે, દુનિયા સુકાઈને સંકોચાઈ જાય છે, પૃથ્વીના અગ્રણી લોકો ક્ષીણ થતા જાય છે.
૫
પૃથ્વી તેના રહેવાસીઓનાં પાપ રૂપી ઉલ્લંઘનોને લીધે, વિધાનનો અનાદર કર્યાને લીધે ભ્રષ્ટ થઈ છે અને તેણે સનાતન કરારનો ભંગ કર્યો છે.
૬
તેથી શાપ પૃથ્વીને ગળી જાય છે અને તેના રહેવાસીઓ અપરાધી ઠર્યા છે. પૃથ્વીના રહેવાસીઓ બળીને ભસ્મ થઈ ગયા છે અને થોડાં જ માણસો બાકી રહ્યાં છે.
૭
નવો દ્રાક્ષારસ સુકાઈ જાય છે, દ્રાક્ષાવેલો કરમાઈ જાય છે, જેઓ મોજ માણતા હતા તેઓ નિસાસા નાખે છે.
૮
ખંજરીના હર્ષનો અવાજ બંધ થાય છે અને હર્ષ કરનારાનો અવાજ સંભળાતો નથી; વીણાનો હર્ષ બંધ પડે છે.
૯
તેઓ ગાયન કરતાં કરતાં દ્રાક્ષારસ પીશે નહિ અને દારૂ પીનારાને તે કડવો લાગશે.
૧૦
ભારે અવ્યવસ્થાનું નગર તૂટી પડ્યું છે; દરેક ઘરો બંધ અને ખાલી કરવામાં આવ્યા છે.
૧૧
રસ્તાઓમાં દ્રાક્ષારસને માટે બૂમ પડે છે; સર્વ હર્ષ ઓસરી ગયેલો છે, પૃથ્વી પરથી આનંદ લોપ થયો છે.
૧૨
નગરમાં પાયમાલી થઈ રહી છે અને દરવાજા તોડીને વિનાશ થઈ રહ્યો છે.
૧૩
પૃથ્વીમાં લોકો ઝુડાયેલા જૈતૂન વૃક્ષ જેવા, તથા દ્રાક્ષાને વીણી લીધા પછી બાકી રહેલા દ્રાક્ષાવેલા જેવા થશે.
૧૪
તેઓ મોટે સાદે બૂમ પાડશે અને યહોવાહના મહિમાને લીધે આનંદથી સમુદ્રને સામે પારથી પોકારશે.
૧૫
તેથી પૂર્વમાં યહોવાહનો મહિમા ગાઓ અને સમુદ્રના બેટોમાં ઇઝરાયલના ઈશ્વર યહોવાહના નામને મહિમા આપો.
૧૬
પૃથ્વીને છેડેથી આપણે, “ન્યાયીનો મહિમા થાઓ” એવાં ગીત સાંભળ્યાં છે. પણ મેં કહ્યું, “હું વેડફાઈ જાઉં છું, હું વેડફાઈ જાઉં છું, મને અફસોસ! ઠગનાર ઠગે છે; હા, ઠગનાર ઠગાઈ કરીને ઠગે છે.”
૧૭
હે પૃથ્વીવાસીઓ, ભય, ખાડો તથા ફાંદો તમારા પર આવી પડ્યો છે.
૧૮
જે ભયના અવાજથી નાસશે તે ખાડામાં પડશે અને જે ખાડામાંથી બહાર નીકળશે તે ફાંદામાં પડશે. આકાશની બારીઓ ખોલવામાં આવશે અને પૃથ્વીના પાયા હલાવવામાં આવશે.
૧૯
પૃથ્વી તદ્દન તૂટી ગયેલી છે, પૃથ્વીના ચૂરેચૂરા કરવામાં આવશે; પૃથ્વીને હિંસક રીતે હલાવવામાં આવશે.
૨૦
પૃથ્વી પીધેલાની જેમ લથડિયાં ખાશે અને ઝૂંપડીની જેમ આમતેમ હાલી જશે. તેનો અપરાધ તેના પર ભારરૂપ થઈ પડશે, તે પડશે અને ફરીથી ઊઠશે નહિ.
૨૧
તે દિવસે યહોવાહ ઉચ્ચસ્થાનના સૈન્યને આકાશમાં તથા પૃથ્વી પર પૃથ્વીના રાજાઓને સજા કરશે.
૨૨
તેઓ કારાગૃહમાં બંદીવાનોને એકત્ર કરશે અને તેઓને બંદીખાનામાં બંધ કરવામાં આવશે; અને ઘણા દિવસો પછી તેઓનો ન્યાય કરવામાં આવશે.
૨૩
ત્યારે ચંદ્રને લાજ લાગશે અને સૂર્ય કલંકિત થશે કેમ કે સૈન્યોના યહોવાહ સિયોન પર્વત પર તથા યરુશાલેમમાં રાજ કરશે અને તેના વડીલોની આગળ ગૌરવ બતાવશે.
Use ← → arrow keys to navigate
Settings
Reading Style
Typeface
Font Size px
Options
Study Note