પુનર્નિયમ૫
Listen to this chapter
0:00
0:00
૧
¶ મૂસાએ બધા ઇઝરાયલીઓને બોલાવીને તેઓને કહ્યું, “હે ઇઝરાયલ, જે કાનૂનો તથા નિયમો હું તમને આજે કહી સંભળાવું છું તે સાંભળો, કે તમે તે શીખો અને તેને પાળો.
૨
યહોવાહ આપણા ઈશ્વરે હોરેબમાં આપણી સાથે કરાર કર્યો હતો.
૩
યહોવાહે આપણા પિતૃઓ સાથે આ કરાર કર્યો નહિ પણ આપણી સાથે, એટલે કે આપણે બધા આજે અહીં હયાત છીએ તેઓની સાથે કર્યો.
૪
¶ યહોવાહ પર્વત પર તમારી સાથે અગ્નિજ્વાળામાંથી પ્રત્યક્ષ બોલ્યા હતા,
૫
તે સમયે યહોવાહનું વચન તમને સંભળાવવા હું તમારી અને યહોવાહની મધ્યે ઊભો રહ્યો હતો, કેમ કે, તમને અગ્નિથી ભય લાગતો હતો અને તમે પર્વત પર ગયા ન હતા. યહોવાહે કહ્યું.
૬
¶ ‘ગુલામીના ઘરમાંથી એટલે મિસર દેશમાંથી જ્યાં તમે ગુલામ તરીકે રહેતા હતા ત્યાંથી તમને બહાર કાઢી લાવનાર હું ઈશ્વર તારો યહોવાહ છું.
૭
¶ મારી સમક્ષ તારે કોઈ પણ અન્ય દેવો હોવા જોઈએ નહિ.
૮
¶ તું પોતાના માટે કોતરેલી મૂર્તિની પ્રતિમા ન બનાવ, ઉપર આકાશમાંની કે નીચે પૃથ્વીમાંની કે પૃથ્વી નીચેના પાણીમાંની કોઈ પણ વસ્તુની પ્રતિમા ન બનાવ.
૯
¶ તું તેઓની આગળ નમીશ નહિ કે તેઓની પૂજા કરીશ નહિ. કેમ કે, હું યહોવાહ, તમારો ઈશ્વર, ઈર્ષ્યાળુ ઈશ્વર છું. જેઓ મારો તિરસ્કાર કરે છે, તેઓની ત્રીજી ચોથી પેઢી સુધી પિતૃઓના અન્યાયની શિક્ષા સંતાનો પર લાવનાર,
૧૦
અને જે લોકો મારા પર પ્રેમ રાખે છે અને મારી આજ્ઞાઓ પાળે છે, તેઓની હજારો પેઢી સુધી મારા કરાર અનુસાર તેઓના પર દયા દર્શાવનાર છું.
૧૧
¶ તું યહોવાહ તારા ઈશ્વરનું નામ વ્યર્થ ન લે, કેમ કે, જે કોઈ યહોવાહનું નામ વ્યર્થ લે છે તેને તેઓ નિર્દોષ ગણશે નહિ.
૧૨
¶ યહોવાહ તારા ઈશ્વરે આજ્ઞા આપી તે મુજબ વિશ્રામવારના દિવસને પવિત્ર પાળવાને તું ધ્યાન રાખ.
૧૩
છ દિવસ તું પરિશ્રમ કર અને તારું બધું કામ કર;
૧૪
પણ સાતમો દિવસ યહોવાહ તારા ઈશ્વરનો વિશ્રામવાર છે. તેમાં તારે કોઈ પણ કામ કરવું નહિ, તું, તારો દીકરો કે તારી દીકરી, તારા દાસ કે તારી દાસી, તારો બળદ કે તારું ગધેડું કે તારું કોઈ અન્ય જાનવર, તારા દરવાજામાં વસતા કોઈ પણ પરદેશી આ દિવસે કશું કામ ન કરે. જેથી તારા દાસ કે દાસીઓને પણ તારી જેમ આરામ મળે.
૧૫
¶ યાદ રાખ કે મિસર દેશમાં તું દાસ હતો, ઈશ્વર તારા યહોવાહ તેમના પરાક્રમી હાથ વડે તથા અદ્દભુત શક્તિ વડે તને મિસરમાંથી બહાર કાઢી લાવ્યા. તે માટે ઈશ્વર તારા યહોવાહે તને વિશ્રામવાર પાળવાની આજ્ઞા આપી છે તે તારે પાળવી.
૧૬
¶ ઈશ્વર તારા યહોવાહે તને જેમ આજ્ઞા આપી છે, તેમ તારા માતા અને પિતાનો આદર કર, કે જેથી ઈશ્વર તારા યહોવાહે તને જે દેશ આપ્યો છે તેમાં તારું આયુષ્ય લાંબુ થાય અને તારું ભલું થાય.
૧૭
¶ તું હત્યા ન કર.
૧૮
¶ તું વ્યભિચાર ન કર.
૧૯
¶ તું ચોરી ન કર.
૨૦
¶ તું તારા પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી ન પૂર.
૨૧
‘તું તારા પડોશીની પત્ની પર લોભ ન રાખ, તેમ જ તેના ઘર કે ખેતર, દાસ કે દાસી, પશુ, ગધેડું કે અન્ય જાનવર તારા પડોશીનું જે કંઈ હોય તે પર લોભ ન રાખ.’”
૨૨
¶ આ વચનો યહોવાહ પર્વત ઉપર અગ્નિજ્વાળા, વાદળ તથા ઘોર અંધકારની મધ્યેથી મોટા સાદે તમારી આખી સભા આગળ બોલ્યા; તેમાં તેમણે કંઈ પણ વધારો કર્યો નહિ. અને ઈશ્વરે મને તે આજ્ઞાઓ બે શિલાપાટીઓ ઉપર લખીને આપી.
૨૩
¶ પર્વત જયારે અગ્નિથી ભડભડ બળતો હતો, ત્યારે અંધકારમાંથી નીકળતી વાણી તમે સાંભળી. પછી એમ થયું કે, તમારાં કુળોના સર્વ આગેવાનો અને વડીલો મારી પાસે આવ્યા.
૨૪
તમે કહ્યું કે, જો ઈશ્વર આપણા યહોવાહે આપણને પોતાનું ગૌરવ તથા માહાત્મ્ય બતાવ્યું છે. અને અગ્નિ મધ્યેથી તેમની વાણી આપણે સાંભળી છે; આજે આપણે જોયું છે કે ઈશ્વર મનુષ્ય સાથે બોલે છે તેમ છતાં મનુષ્ય જીવતો રહે છે.
૨૫
¶ તો હવે અમે શા માટે માર્યા જઈએ? કેમ કે આ મહાભયંકર અગ્નિ તો અમને ભસ્મ કરી નાખશે; જો અમે વધારે વાર અમારા ઈશ્વર યહોવાહની વાણી સાંભળીશું તો અમે માર્યા જઈશું.
૨૬
પૃથ્વી પર એવો કયો માણસ છે કે જેણે જીવતા ઈશ્વરની વાણી અગ્નિ મધ્યેથી આપણી જેમ બોલતી સાંભળી હોય અને જીવતો રહ્યો હોય?
૨૭
તું પાસે જઈને ઈશ્વર આપણા યહોવાહ જે કહે તે સાંભળ; અને ઈશ્વર આપણા યહોવાહ જે તને કહે તે અમને જણાવજે; અને અમે તે સાંભળીને તેનો અમલ કરીશું.’”
૨૮
¶ જયારે તમે મારી સાથે વાત કરતા હતા ત્યારે યહોવાહે તમારો અવાજ સાંભળ્યો; અને યહોવાહે મને કહ્યું કે, ‘આ લોકોએ તને જે કહ્યું છે તે મેં સાંભળ્યું છે. જે સર્વ તેઓ બોલ્યા છે તે તેઓનું કહેવું ઠીક છે.
૨૯
જો આ લોકોનું હૃદય એવું હોય કે તેઓ મારો ડર રાખે અને મારી સર્વ આજ્ઞાઓ સદા પાળે તો કેવું સારું! તેથી તે લોકો અને તેઓનાં સંતાનો સદા સુખી રહે.
૩૦
જા, તેઓને કહે કે, “તમે તમારા તંબુઓમાં પાછા જાઓ.”
૩૧
¶ પણ તું અહીં મારી પાસે ઊભો રહે, એટલે હું તને મારી સર્વ આજ્ઞાઓ, કાયદાઓ અને નિયમો કહીશ; અને પછી તું તે લોકોને શીખવજે, એ સારુ કે જે દેશ હું તેઓને વતન કરી લેવા સારુ આપવાનો છું તેમાં તેઓ તે પાળે.
૩૨
¶ માટે ઈશ્વર તમારા યહોવાહે તમને જે આજ્ઞાઓ આપી છે તેનું કાળજી રાખીને તેનું પાલન કરવું અને તમારે તેમાંથી ડાબે કે જમણે હાથે વળવું નહિ.
૩૩
જે માર્ગ ઈશ્વર તમારા યહોવાહે બતાવ્યો છે તેમાં જ તમારે ચાલવું. એ સારુ કે તમે જીવતા રહો અને તમારું ભલું થાય. અને જે દેશનું વતન તમે પ્રાપ્ત કરવાના છો તેમાં તમારું આયુષ્ય લાંબું થાય.
Use ← → arrow keys to navigate
Settings
Reading Style
Typeface
Font Size px
Options
Study Note