લૂક ૪:૧૬-૩૦
૧૬
¶ નાસરેથ જ્યાં ઈસુ મોટા થયા હતા ત્યાં તે આવ્યા, અને પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે તે સભાસ્થાનમાં ગયા, અને વાંચવા સારુ તે ઊભા થયા.
૧૭
યશાયા પ્રબોધકનું પુસ્તક તેમને આપવામાં આવ્યું, તેમણે તે ઉઘાડીને, જ્યાં નીચે દર્શાવ્યાં પ્રમાણે લખ્યું છે તેનું વાચન કર્યુ કે,
૧૮
‘પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરવા સારુ ઈશ્વરે મારો અભિષેક કર્યો છે; બંદીવાનોને છુટકારો આપવા તથા દ્રષ્ટિહીનોને દ્રષ્ટિ આપવા, પીડિતોને છોડાવવાં
૧૯
તથા પ્રભુનું માન્ય વર્ષ પ્રગટ કરવા સારુ ઈશ્વરે મને મોકલ્યો છે.’”
૨૦
¶ પછી તેમણે પુસ્તક બંધ કર્યુ, સેવકને પાછું આપીને બેસી ગયા, પછી સભાસ્થાનમાં બધા ઈસુને એક નજરે જોઈ રહયા.
૨૧
ઈસુ તેઓને કહેવા લાગ્યા કે, ‘આજે આ શાસ્ત્રવચન તમારા સાંભળતાં પૂરું થયું છે.’”
૨૨
બધાએ તેમના વિષે સાક્ષી આપી, અને જે કૃપાની વાતો તેમણે કહી તેથી તેઓએ આશ્ચર્ય પામીને કહ્યું કે, ‘શું એ યૂસફનો દીકરો નથી?’”
૨૩
¶ ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે મને નિશ્રે કહેશો કે, વૈદ, તમે પોતાને સાજાં કરો.’ કપરનાહૂમમાં કરેલા જે જે કામો વિષે અમે સાંભળ્યું તેવા કામો અહીં તમારા પોતાના વતનપ્રદેશમાં પણ કરો.
૨૪
ઈસુએ કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, કોઈ પ્રબોધક પોતાના વતનમાં સ્વીકાર્ય નથી.
૨૫
¶ પણ હું તમને સાચું કહું કે એલિયાના સમયમાં સાડાત્રણ વર્ષ સુધી વરસાદ વરસ્યો નહિ, આખા દેશમાં મોટો દુકાળ પડ્યો, ત્યારે ઘણી વિધવાઓ ઇઝરાયલમાં હતી;
૨૬
તેઓમાંની અન્ય કોઈ પાસે નહિ, પણ સિદોનના સારફાથમાં જે વિધવા હતી તેની જ પાસે એલિયાને મોકલવામાં આવ્યો હતો.
૨૭
વળી એલિશા પ્રબોધકના વખતમાં ઘણાં કુષ્ઠ રોગીઓ ઇઝરાયલમાં હતા, પરંતુ અરામી નામાન સિવાય તેઓમાંનો અન્ય કોઈ શુદ્ધ કરાયો ન હતો.
૨૮
¶ એ વાત સાંભળીને સભાસ્થાનમાંના સૌ ગુસ્સે ભરાયા;
૨૯
તેઓએ ઊઠીને ઈસુને શહેર બહાર કાઢી મૂક્યા, અને તેમને નીચે પાડી નાખવા સારુ જે પહાડ પર તેઓનું શહેર બાંધેલું હતું તેના ઢોળાવ પર તેઓ ઈસુને લઈ ગયા.
૩૦
પણ ઈસુ તેઓની વચમાં થઈને ચાલ્યા ગયા.
Settings