Skip to content
લેવીય ૧૩:૧-૨૮

લેવીય ૧૩:૧-૨૮

યહોવાહે મૂસા તથા હારુનને જણાવ્યું,
“જ્યારે કોઈ માણસના શરીર પરની ચામડી પર સોજો આવે અથવા ચાંદું કે ગૂમડું થાય અને એ કુષ્ટરોગમાં પરિણમે એમ લાગતું હોય, તો તેને હારુન યાજકની પાસે અથવા તેના કોઈ યાજક દીકરા પાસે લઈ જવો.
પછી યાજક તેના શરીરના ચામડી પરનો રોગ તપાસે. જો તે જગ્યા ઉપરના વાળ સફેદ થઈ ગયા હોય અને તે ભાગ ચામડી કરતાં ઊંડે ઊતરેલો લાગે, તો તે કુષ્ટરોગ છે. યાજક તે માણસને તપાસ્યા પછી, તેને અશુદ્ધ જાહેર કરે.
જો ચામડી પરનો સફેદ ડાઘ ચામડીની નીચે ઊંડે ઊતરેલો ના લાગતો હોય, વળી તેમાંના વાળ સફેદ થઈ ગયા ના હોય, તો પછી યાજકે તે રોગીને સાત દિવસ સુધી જુદો રાખવો.
સાતમે દિવસે યાજકે તેને ફરીથી તપાસવો અને જો તે સફેદ ડાઘ જેવો હતો તેવો જ રહ્યો હોય અને ચામડીના બીજા ભાગમાં પ્રસર્યો ના હોય, તો યાજકે તેને બીજા સાત દિવસ સુધી જુદો રાખવો.
યાજક ફરીથી સાતમાં દિવસે તપાસે અને તે સફેદ ડાઘ ઝાંખો થઈ ગયો હોય અને તે પ્રસર્યો ના હોય, તો યાજકે તેને શુદ્ધ જાહેર કરવો. તે ફક્ત ચાંદું જ છે, એમ માનવું. પછી તે વ્યક્તિ વસ્ત્રો ધોઈ નાખે એટલે તે શુદ્ધ થઈ જાય.
પરંતુ શુદ્ધ જાહેર કર્યા પછી ફરી તે ડાઘ ફેલાયેલો લાગે તો તે વ્યક્તિએ ફરીથી તપાસ માટે યાજક પાસે આવવું.
યાજકે તેને ફરીથી તપાસવો અને જો સફેદ ડાઘ કે ચાંદું ફેલાતું જતું લાગે, તો યાજકે તે માણસને એક અશુદ્ધ કુષ્ટરોગી જાહેર કરવો.
જો કોઈ વ્યક્તિને કુષ્ટરોગનું ચાંદું હોય અને રોગ હોવાની શંકા જાય, તો તેને યાજક આગળ લઈ જવો.
૧૦
યાજક તેને તપાસે અને જો ચામડી પર સફેદ ચાંઠું પડ્યું હોય અને વાળ ધોળા થઈ ગયા હોય અને સોજા પરની ચામડી પાકેલી તથા દુખાતું હોય,
૧૧
તો એ કુષ્ટરોગની શરૂઆત થઈ ચૂકી છે અને યાજકે તે વ્યક્તિને અશુદ્ધ જાહેર કરવો. તેને જુદો રાખવો નહિ, કારણ કે તે અશુદ્ધ જાહેર થઈ જ ચૂક્યો છે.
૧૨
જો યાજકને ખબર પડે કે કુષ્ટરોગ ફાટી નીકળ્યો છે અને તેના સમગ્ર શરીર પર માથાથી તે પગ સુધી, જ્યાં જ્યાં યાજક તપાસે ત્યાં ત્યાં આખી ત્વચામાં રોગ ફેલાઈ ગયો હોય,
૧૩
એટલે યાજકે તેને તપાસવો અને જો સમગ્ર શરીર પર રોગ પ્રસરી ગયેલો ખબર પડે તો તેને યાજકે શુદ્ધ જાહેર કરવો. જો તેનું આખું શરીર સફેદ થઈ ગયું છે, તો તે શુદ્ધ છે.
૧૪
પણ જ્યારે તેમાં દુખાતું માંસ દેખાય તો તે અશુદ્ધ ગણાય.
૧૫
યાજક તે દુખતા માંસને જોઈને તેને અશુદ્ધ ઠરાવે કેમ કે તે દુખાતું માંસ અશુદ્ધ છે. તે તો કુષ્ટરોગ છે.
૧૬
પરંતુ જો દુખાતું માંસ બદલાઈને ફરીથી સફેદ થઈ જાય, તો તે યાજક પાસે આવે.
૧૭
યાજકે ફરીથી તેને તપાસવો અને જો તે ચાંદા સંપૂર્ણ સફેદ થઈ ગયાં હોય, તો તેને શુદ્ધ જાહેર કરવો; તે શુદ્ધ છે.
૧૮
જો કોઈ વ્યક્તિના શરીર પર ગૂમડું થઈને રુઝાઈ ગયું હોય,
૧૯
ગૂમડાંની જગ્યાએ સફેદ ડાઘ કે રતાશ પડતો સફેદ સોજો ખબર પડે, તો તે યાજકને બતાવવું.
૨૦
યાજક તેને તપાસે અને જુઓ તે ત્વચા કરતાં ઊંડું લાગે અને તે ચાઠા પરના વાળ સફેદ થઈ ગયા છે, તો યાજક તેને અશુદ્ધ જાહેર કરે. તો તેને કુષ્ટરોગનો રોગ સમજવો, તે ગૂમડાંમાં ફાટી નીકળ્યો છે.
૨૧
પણ જો તપાસતાં યાજકને એમ ખબર પડે કે એમાંના વાળ સફેદ થયેલા નથી, તે ચામડી કરતાં ઊંડે ઊતરેલું નથી તથા ઝાખું પડી ગયું છે, તો તેણે તે વ્યક્તિને સાત દિવસ સુધી જુદો રાખવો.
૨૨
જો રોગ ચામડીમાં ફેલાયો હોય, તો યાજકે તેને અશુદ્ધ જાહેર કરવો. તે કુષ્ટરોગનો રોગ છે.
૨૩
પરંતુ જો ચાઠું એવું ને એવું રહે અને પ્રસરે નહિ, તો તે ગૂમડાંનું ચાઠું છે અને યાજકે તે વ્યક્તિને શુદ્ધ જાહેર કરવો.
૨૪
જો કોઈ વ્યક્તિની ચામડી બળી જાય અને દાઝેલી જગ્યાએ ચમકતું લાલાશ પડતું સફેદ ચાઠું થઈ જાય,
૨૫
તો યાજકે તે ચાંઠાની તપાસ કરવી જોઈએ, જો ચાઠાનાં વાળ સફેદ થઈ ગયા હોય અને રોગ ચામડીની નીચેના ભાગ સુધી ફેલાઈ ગયો હોય, તો દાઝવાના ઘામાંથી રોગ ફેલાયો છે અને યાજકે તે વ્યક્તિને અશુદ્ધ કુષ્ટરોગી જાહેર કરવો.
૨૬
પરંતુ જો યાજક તે તપાસી જુએ કે ચાઠાંમાં સફેદ વાળ નથી અને તે ચામડીની નીચે સુધી પ્રસરેલ નથી તથા ચાઠું ઝાખું પડતું જાય છે, તો યાજકે તે વ્યક્તિને સાત દિવસ માટે જુદો રાખવો.
૨૭
પછી સાતમે દિવસે યાજક તેને તપાસે. જો ચાઠું ચામડીમાં ફેલાયું હોય, તો યાજકે તેને અશુદ્ધ જાહેર કરવો. તે તો કુષ્ટરોગ રોગ છે.
૨૮
જો ચાઠું ચામડી પર ફેલાયું ના હોય અને ઝાંખું થઈ ગયું હોય, તો તે દાઝેલા ઘાનું ચાઠું છે માટે યાજકે તેને શુદ્ધ જાહેર કરવો, કેમ કે તે દાઝ્યાનું ચાઠું છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options