યર્મિયાનો વિલાપ ૨:૧-૧૨
૧
પ્રભુએ ક્રોધે ભરાઈને સિયોનની દીકરીને દુઃખના વાદળોથી ઢાંકી દીધી છે! તેમણે ઇઝરાયલની શોભાને આકાશમાંથી પૃથ્વી પર નાખી દીધી છે. પોતાના કોપને દિવસે પોતાના પાયાસનનું સ્મરણ કર્યું નથી.
૨
પ્રભુએ યાકૂબનાં સર્વ નગરોને નષ્ટ કર્યા છે અને તેઓ પર દયા રાખી નથી. તેમણે ક્રોધે ભરાઈને યહૂદિયાની દીકરીના કિલ્લાઓને ભાંગી નાખ્યા છે; તેમણે તેઓને જમીનદોસ્ત કર્યા છે અને રાજ્યને તથા તેના સરદારોને ભ્રષ્ટ કર્યાં છે.
૩
તેમણે ભારે કોપથી ઇઝરાયલનું સઘળું બળ કાપી નાખ્યું છે. તેમણે શત્રુની આગળ પોતાનો જમણો હાથ પાછો ખેંચી લીધો છે. જે ભડભડ બળતો અગ્નિ ચારે તરફનું બાળી નાખે છે તેમ તેમણે યાકૂબને બાળી નાખ્યો છે.
૪
શત્રુની જેમ તેમણે પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે. જાણે સામાવાળો હોય તેમ તેઓ પોતાનો જમણો હાથ ઉગામીને ઊભા રહ્યા છે. જે બધા દેખાવમાં સુંદર હતા, તેઓનો તેમણે નાશ કર્યો છે. સિયોનની દીકરીના મંડપમાં તેમણે પોતાનો કોપ અગ્નિની જેમ પ્રસાર્યો છે.
૫
પ્રભુ શત્રુના જેવા થયા છે. તેમણે ઇઝરાયલને પાયમાલ કર્યા છે. તેમના સર્વ રાજમહેલોને તેમણે નષ્ટ કર્યો છે અને તેમણે તેમના કિલ્લાઓનો નાશ કર્યો છે. તેમણે યહૂદિયાની દીકરીનો ખેદ તથા વિલાપ વધાર્યો છે.
૬
જાણે કે વાડીનો મંડપ હોય તેમ તેમણે પોતાનો હુમલો કરીને તેને તોડી પાડ્યો છે. તેમણે પોતાનું પવિત્રસ્થાન નષ્ટ કર્યું છે. યહોવાહે સિયોનમાં નીમેલા પર્વ તથા વિશ્રામવારને વિસ્મૃત કરાવ્યાં છે, કેમ કે પોતાના ક્રોધમાં તેમણે રાજાને તથા યાજકને તુચ્છકાર્યા છે.
૭
પ્રભુએ પોતાની વેદીને નકારી છે; તે પોતાના પવિત્રસ્થાનથી કંટાળી ગયા છે. તેમણે દુશ્મનના હાથે તેમના રાજમહેલની દીવાલોનો નાશ કરાવ્યો છે. જેમ પવિત્રસ્થાનને દિવસે ઉત્સવનો ઘોંઘાટ થાય છે તેમ તેઓએ યહોવાહના ભક્તિસ્થાનમાં ઘોંઘાટ કર્યો છે.
૮
યહોવાહે સિયોનની દીકરીની દીવાલો તોડી પાડવાનો નિશ્ચય કર્યો છે. તેમણે માપવાની દોરી લંબાવી છે અને તેનો નાશ કરવાથી પોતાનો હાથ પાછો પડવા દીધો નથી. તેમણે બુરજ તથા દીવાલોને ખેદિત કર્યા છે અને તેઓ એકસાથે ખિન્ન થાય છે.
૯
તેના દરવાજા ખંડેરોની જેમ દટાયેલા પડ્યા છે; તેમણે તેમની ભૂંગળોને ભાંગીને ભૂકો કરી નાખી છે. જે વિદેશીઓમાં મૂસાનું નિયમશાસ્ત્ર નથી હોતું તેવા લોકોમાં તેમનો રાજા તથા તેમના સરદારો છે. વળી તેમના પ્રબોધકોને પણ યહોવાહ તરફથી દર્શન થતું નથી.
૧૦
સિયોનની દીકરીના વડીલો મૂંગા થઈને ભૂમિ પર બેસે છે. તેઓએ પોતાના માથા પર ધૂળ નાખી છે; તેઓએ ટાટનો પટ્ટો કમરે બાંધ્યો છે. યરુશાલેમની કુંવારિકાઓએ પોતાના માથાં જમીન સુધી નમાવ્યાં છે.
૧૧
રડી રડીને મારી આંખો લાલ થઈ છે; મારી આંતરડી કકળે છે. મારા લોકોની દીકરીના ત્રાસને લીધે મારું કાળજું બળે છે, કેમ કે છોકરાં તથા સ્તનપાન કરતાં બાળકો રાજમાર્ગ પર મૂર્ચ્છિત થાય છે.
૧૨
તેઓ પોતાની માતાઓને કહે છે, “અનાજ અને દ્રાક્ષારસ ક્યાં છે?” નગરની શેરીઓમાં ઘાયલ થયેલાની જેમ તેઓને મૂર્છા આવે છે, તેઓ તેઓની માતાના ખોળામાં મરણ પામે છે.
Settings