Skip to content
ન્યાયાધીશો ૭:૧-૮

ન્યાયાધીશો ૭:૧-૮

ત્યારે યરુબાલ, એટલે ગિદિયોન તથા તેની સાથેના સર્વ લોકોએ સવારે વહેલા ઊઠીને હારોદના ઝરાની પાસે છાવણી કરી. મિદ્યાનીઓની છાવણી મોરેહ પર્વતની પાસે તેઓની ઉત્તર તરફની ખીણમાં હતી.
ઈશ્વરે ગિદિયોનને કહ્યું, “તારી સાથેના લોકો એટલા બધા છે કે તેમના દ્વારા હું મિદ્યાનીઓને તેઓના હાથમાં સોંપું નહિ, રખેને ઇઝરાયલ મારી આગળ ફુલાસ મારીને કહે કે, ‘મારા પોતાના હાથે મને ઉગાર્યો છે.’
માટે હવે તું જા અને લોકોને જાહેર કર, ‘જે કોઈ ભયભીત તથા ધ્રૂજતા હોય, તેઓ ગિલ્યાદ પર્વતથી પાછા વળીને ચાલ્યા જાય.’ તેથી બાવીસ હજાર લોકો પાછા ગયા અને દસ હજાર રહ્યા.
ઈશ્વરે ગિદિયોનને કહ્યું, “લોકો હજી પણ વધારે છે. તેઓને પાણીની પાસે લાવ અને હું ત્યાં તેમની સંખ્યામાં ઘટાડો કરીશ. જેના સંબંધી હું તને કહું, ‘આ તારી સાથે આવે, તે તારી સાથે આવશે અને આ તારી સાથે ના આવે, તે આવશે નહિ.”
તેથી ગિદિયોન લોકોને પાણીની પાસે લાવ્યો અને ઈશ્વરે તેને કહ્યું, “પ્રત્યેક જણ જે કૂતરાની માફક જીભથી લખલખાવીને પાણી પીએ, તેને અલગ કર, અને જે પાણી પીવા સારુ ઘૂંટણીએ પડે તેઓને પણ અલગ કર.”
ત્રણસો માણસોએ મુખ દ્વારા લખલખાવીને પાણી પીધું. બીજા સર્વ લોકો પાણી પીવાને ઘૂંટણીએ પડ્યા.
ઈશ્વરે ગિદિયોનને કહ્યું, “જે ત્રણસો માણસોએ પાણી લખલખાવીને પીધું છે, તેઓની હસ્તક હું તમને ઉગારીશ અને મિદ્યાનીઓને તારા હાથમાં આપીશ. બીજા સર્વ માણસોને ઘર ભેગા થવા દે.
માટે જેઓને પસંદ કરવામાં આવેલા તેઓએ પોતાનો સામાન તથા પોતાના રણશિંગડાં લીધાં. ગિદિયોને સર્વ ઇઝરાયલી માણસોને પોતપોતાના તંબુએ મોકલી દીધા, તેણે માત્ર ત્રણસો માણસોને પોતાની પાસે રાખ્યા. હવે મિદ્યાનીઓની છાવણી તેની નીચેની ખીણમાં હતી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options