Skip to content
ન્યાયાધીશો ૨૦:૩૧-૪૮

ન્યાયાધીશો ૨૦:૩૧-૪૮

૩૧
બિન્યામીનના લોકો તેઓની સામે લડ્યા અને તેઓને પાછા હઠાવતા નગરની બહાર કાઢી મૂક્યા. અને તેઓએ અગાઉની જેમ જાહેરમાં ઇઝરાયલના આશરે ત્રીસ માણસોને ખુલ્લાં મેદાનમાં રસ્તાઓમાં મારીને કાપી નાખ્યાં. તે રસ્તાઓમાંનો એક બેથેલમાં જાય છે, બીજો ગિબયામાં જાય છે.
૩૨
બિન્યામીનના લોકોએ કહ્યું કે, “તેઓ હારી ગયા છે. અને પહેલાંની માફક, આપણી પાસેથી નાસી જાય છે. “પણ ઇઝરાયલના સૈનિકોએ કહ્યું, “આપણે દોડીને તેમની પાછળ અને તેઓને નગરથી રસ્તામાં ખેંચી લાવીએ.”
૩૩
ઇઝરાયલના સર્વ સૈનિકો પોતાની જગ્યાએથી ઊઠ્યા, તેઓએ બાલ-તામાર આગળ વ્યૂહ રચ્યો. અને ઇઝરાયલના સંતાઈ રહેલા સૈનિકોને તેમની જગ્યામાંથી એટલે મારેહ ગિબયામાંથી બહાર નીકળી આવ્યા.
૩૪
અને સર્વ ઇઝરાયલમાંથી ચૂંટી કાઢેલા દસ હજાર માણસોએ ગિબયા પર હુમલો કર્યો. ત્યાં ભયાનક યુદ્ધ મચ્યું, જો કે બિન્યામીનીઓ જાણતા નહોતા કે હવે તેઓનું આવી બન્યું છે.
૩૫
ઈશ્વરે ઇઝરાયલીઓ સામે બિન્યામીનીઓનો પરાજય કર્યો. અને ઇઝરાયલના સૈનિકોએ તે દિવસે બિન્યામીનના પચીસ હજાર એકસો માણસોનો સંહાર કર્યો. મૃત્યુ પામેલાઓ તલવારબાજીમાં નિપુણ લડવૈયાઓ હતા.
૩૬
બિન્યામીનના સૈનિકોએ જોયું કે તેઓનો પરાજય થયો છે. ઇઝરાયલના માણસોએ બિન્યામીનીઓની આગળથી હઠી ગયા કેમ કે જેઓને તેઓએ ગિબયાની સામે સંતાડી રાખ્યા હતા તેઓના ઉપર તેમનો ભરોસો હતો.
૩૭
ત્યારે સંતાઈ રહેલાઓ બહાર નીકળીને એકાએક ગિબયા પર ધસી આવ્યા, અને તેઓએ તલવાર ચલાવીને તમામ નગરવાસીઓનો સંહાર કર્યો.
૩૮
હવે ઇઝરાયલી સૈનિકો અને સંતાઈ રહેલાઓની વચ્ચે સંકેત હતો કે, નગરમાંથી ધુમાડાના ગોટેગોટા ઉપર ચઢાવવા.
૩૯
અને ઇઝરાયલી સૈનિકો યુદ્ધમાંથી પાછા ફરી લડાઈથી દૂર રહ્યા. ત્યારે બિન્યામીનીઓએ હુમલો કર્યો. અને તેઓએ આશરે ત્રીસ ઇઝરાયલીઓને તેઓએ મારી નાખ્યા. તેઓએ કહ્યું, “અગાઉના યુદ્ધની માફક તેઓ નિશ્ચે આપણી આગળ માર્યા ગયા છે.”
૪૦
પણ જયારે નગરમાંથી ધુમાડાના ગોટેગોટા સ્તંભરૂપે ઉપર ચઢવા લાગ્યા, ત્યારે બિન્યામીનીઓએ પાછળ ફરીને જોયું કે આખા નગરનો ધુમાડો આકાશમાં ચઢતો હતો.
૪૧
પછી ઇઝરાયલના સૈનિકો પાછા ફર્યા. બિન્યામીનીઓ સ્તબ્ધ થઈ ગયા. કેમ કે તેઓને સમજાયું કે હવે તેઓનું આવી બન્યું છે.
૪૨
તેથી તેઓ ઇઝરાયલ સૈનિકો સામેથી અરણ્યને માર્ગે ભાગી ગયા. પણ લડાઈ ચાલુ હતી. ઇઝરાયલના સૈનિકો નગરોમાંથી બહાર આવ્યા અને તેઓએ તેઓને મારી નાખ્યા.
૪૩
તેઓ બિન્યામીનીઓને ચોતરફથી ઘેરીને પૂર્વમાં ગિબયાની સામે તેઓની પાછળ પડ્યા; અને આરામ આગળ તેઓને કચડી નાખ્યા.
૪૪
બિન્યામીનના કુળમાંથી અઢાર હજાર માણસો મરણ પામ્યા, તેઓ સર્વ યુદ્ધમાં શૂરવીરો હતા.
૪૫
તેઓ પાછા ફરીને અરણ્ય તરફ નાઠા. અને રિમ્મોન ગઢમાં જતા રહ્યા. ઇઝરાયલીઓએ રાજમાર્ગોમાં વિખૂટા પડેલા પાંચ હજારની કતલ કરી. તેઓએ તેઓનો પીછો કરવાનું ચાલુ રાખ્યું અને ગિદોમ સુધી તેનો પીછો કરીને બીજા બે હજાર માણસોનો સંહાર કર્યો.
૪૬
તે દિવસે બિન્યામીનના સૈનિકોમાંના તાલીમ પામેલા અને તલવાર ચલાવવામાં કુશળ એવા પચીસ હજાર સૈનિકોને મારી નાખવામાં આવ્યા; તેઓ સર્વ યુદ્ધમાં પ્રવીણ હતા.
૪૭
પણ છસો માણસો પાછા ફરીને અરણ્ય તરફ રિમ્મોનનાં ગઢમાં ભાગી ગયા. ત્યાં ગઢમાં ચાર મહિના સુધી રહ્યા.
૪૮
ઇઝરાયલના સૈનિકોએ બિન્યામીનના લોકો તરફ પાછા ફરીને તેઓ પર હુમલો કર્યો. મારી નાખ્યા. તેઓએ સંપૂર્ણ નગરનો, જાનવરોનો તથા જે સર્વ નજરે પડ્યાં તેઓનો તલવારથી નાશ કર્યો. અને જે નગરો તેઓના જોવામાં આવ્યાં તે બધાં નગરોને બાળી નાખ્યાં.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options