યહોશુઆ ૬:૧-૧૬
૧
¶ હવે ઇઝરાયલના સૈનિકોને કારણે યરીખોના બધા દરવાજા બંધ કરાયા હતા. કોઈ બહાર જઈ શકતું નહોતું અને કોઈ પણ અંદર આવી શકતું નહોતું.
૨
યહોવાહે યહોશુઆને કહ્યું, “જો, મેં યરીખોને, તેના રાજાને અને તેના શૂરવીર સૈનિકોને તારા હાથમાં સોંપ્યા છે.
૩
¶ તમારે નગરની ચોતરફ પ્રદક્ષિણા કરવી, સર્વ યોધ્ધાઓએ દિવસમાં એકવાર નગરની પ્રદક્ષિણા કરવી. આમ છ દિવસ સુધી તમારે કરવું.
૪
સાત યાજકો કરારકોશ આગળ ઘેટાંના શિંગનાં બનાવેલા સાત રણશિંગડા ઊંચકે. સાતમા દિવસે, તમારે સાત વાર નગરની પ્રદક્ષિણા કરવી અને યાજકોએ મોટા અવાજે રણશિંગડાં વગાડ્યાં.
૫
¶ મોટા અવાજ સાથે શિંગ વગાડે અને જયારે તેનો અવાજ તમે સાંભળો ત્યારે સઘળાં લોકો મોટો અવાજ કરે. તેથી નગરનો કોટ તૂટી પડશે. ત્યારે દરેક વ્યક્તિએ સીધા નગરમાં ધસી જવું.”
૬
¶ પછી નૂનના દીકરા, યહોશુઆએ યાજકોને બોલાવીને કહ્યું કે, “કરારકોશ ઊંચકો અને સાત યાજકો યહોવાહનાં કરારકોશની આગળ સાત રણશિંગડાં લઈને ચાલે.
૭
અને તેણે લોકોને કહ્યું, “આગળ જાઓ અને ચોતરફ નગરની પ્રદક્ષિણા કરો અને હથિયારબંધ પુરુષો યહોવાહનાં કરારકોશ આગળ જાય.”
૮
¶ જેમ યહોશુઆએ લોકોને કહ્યું તેમ, સાત યાજકોએ યહોવાહની આગળ સાત રણશિંગડાં ઊચક્યાં અને તેઓ આગળ ચાલ્યા અને તેઓએ રણશિંગડાં વગાડીને મોટો અવાજ કર્યો અને યહોવાહનો કરારકોશ તેઓની પાછળ ચાલ્યો.
૯
સશસ્ત્ર પુરુષો યાજકોની આગળ ચાલતા હતા, તેઓ તેમનાં રણશિંગડાં મોટેથી વગાડતા હતા, પણ પાછળના સૈનિકો કરારકોશની પછવાડે ચાલતા હતા. યાજકો તેમનાં રણશિંગડા સતત વગાડતા હતા.
૧૦
¶ પણ યહોશુઆએ લોકોને આજ્ઞા કરીને કહ્યું કે,” હોકારા પાડશો નહિ. હું તમને હોકારો પાડવાનુ કહું નહિ તે દિવસ સુધી તમારા મુખમાંથી તમે અવાજ કાઢશો નહિ.”
૧૧
તેણે યહોવાહનાં કરારકોશને તે દિવસે નગરની ચોતરફ એકવાર ફેરવ્યો. પછી તેઓએ છાવણીમાં પ્રવેશ કર્યો અને તે રાતે તેઓ છાવણીમાં જ રહ્યા.
૧૨
¶ અને યહોશુઆ વહેલી સવારે ઊઠ્યો. યાજકોએ યહોવાહનો કરારકોશ ઊંચકી લીધો.
૧૩
સાત યાજકોએ યહોવાહનાં કરારકોશની આગળ સાત રણશિંગડાં લીધાં અને તેઓ તેને મોટા અવાજથી વગાડતા વગાડતા ચાલ્યા. સશસ્ત્ર પુરુષો તેઓની આગળ ચાલતા હતા. પણ પાછળની ટુકડી યહોવાહનાં કોશની પછવાડે ચાલી ત્યારે રણશિંગડામાંથી સતત મોટો અવાજ થતો રહ્યો.
૧૪
બીજે દિવસે તેઓએ નગરની ચોતરફ એકવાર પ્રદક્ષિણા કરી અને પાછા છાવણીમાં આવ્યા. આમ તેઓએ છ દિવસ કર્યું.
૧૫
¶ સાતમા દિવસે તેઓ પ્રભાતે વહેલા ઊઠ્યા અને તેઓની રીત પ્રમાણે આ વખતે સાત વાર નગરની પ્રદક્ષિણા કરી.
૧૬
સાતમે દિવસે જયારે યાજકો જોરથી રણશિંગડા વગાડતા હતા ત્યારે યહોશુઆએ લોકોને આજ્ઞા કરી કે, “મોટેથી વગાડો. કેમ કે યહોવાહે આ નગર તમને આપ્યું છે.
Settings