Skip to content
હઝકિયેલ ૨૭:૨૬-૩૬

વહાણભંગ અને જગતનો વિલાપ

હઝકિયેલ ૨૭:૨૬-૩૬
૨૬
તારા હલેસાં મારનારા તને ભરસમુદ્રમાં લાવ્યા છે; પૂર્વના પવનોએ તને સમુદ્રની વચ્ચે ભાંગી નાખ્યું છે.
૨૭
તારું દ્રવ્ય, તારો માલ, તારો વેપાર, તારા નાવિકો, તારા ખલાસીઓ તારા મરામત કરનારાઓ, તારા માલનો વેપાર કરનારાઓ અને તારી અંદરના યોદ્ધાઓ, તારા સર્વ સૈનિકો તારા નાશના દિવસે સમુદ્રના ઊંડાણોમાં ગરક થઈ જશે.
૨૮
તારા નાવિકોની બૂમોથી દરિયા કિનારો કંપી ઊઠશે.
૨૯
તારા હલેસાં મારનારાઓ પોતપોતાનાં વહાણો પરથી ઊતરી જશે; નાવિકો તથા ખલાસી સર્વ કિનારા પર ઊભા રહેશે.
૩૦
તેઓ તારું દુ:ખ જોઈને વિલાપ કરશે અને દુ:ખમય રુદન કરશે; તેઓ માથા પર ધૂળ નાખશે અને રાખમાં આળોટશે.
૩૧
તેઓ તારે લીધે પોતાના માથાં મૂંડાવશે. તેઓ પોતાના શરીર પર ટાટ પહેરશે, પોતે હૈયાફાટ તથા દુઃખમય વિલાપ કરીને તારા માટે રડશે.
૩૨
તેઓ તારા માટે રુદન કરશે અને વિલાપગીત ગાશે, તૂર સમુદ્રમાં શાંત કરી નંખાયું છે, તેના જેવું કોણ છે?
૩૩
જ્યારે તારો માલ સમુદ્રમાંથી ઊતરતો ત્યારે તું ઘણી પ્રજાઓને સંતોષતું હતું. તારા માલથી તથા પુષ્કળ દ્રવ્યથી રાજાઓ ધનાઢ્ય થતા હતા.
૩૪
જ્યારે સમુદ્રનાં મોજાંઓએ તને ભાંગી નાખ્યું, ત્યારે તારો બધો માલ તથા તારા બધા માણસો તારી સાથે નાશ પામ્યા છે.
૩૫
દ્વીપોના સર્વ રહેવાસીઓ તારી દશા જોઈને સ્તબ્ધ થઈ ગયા છે, તેઓના રાજાઓ ભયભીત થઈ ગયા છે અને તેઓના ચહેરાઓ પર ગભરાટ છવાયેલો છે.
૩૬
પ્રજાઓના વેપારીઓ ડરીને બૂમો પાડે છે; તું ભયરૂપ થયું છે, તું ફરી કદી હયાતીમાં આવશે નહિ!”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options