Skip to content
હઝકિયેલ ૨૨:૧-૨૨

હઝકિયેલ ૨૨:૧-૨૨

યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
“હે મનુષ્યપુત્ર, શું તું ન્યાય કરશે? શું ખૂની નગરનો ન્યાય કરશે? તેને તેના ધિક્કારપાત્ર કૃત્યો જણાવ.
તારે કહેવું કે, ‘પ્રભુ યહોવાહ આમ કહે છે: હે પોતાનો કાળ લાવવા સારુ પોતાની મધ્યે લોહી વહેવડાવનાર, પોતાને અશુદ્ધ કરવા મૂર્તિઓ બનાવનાર નગર!
જે લોહી તેં વહેવડાવ્યું છે તેથી તું દોષિત થયું છે, તારી જ બનાવેલી મૂર્તિઓથી તું અશુદ્ધ થયું છે. તું તારો કાળ નજીક લાવ્યું છે અને તારા વર્ષનો અંત આવી પહોંચ્યો છે. તેથી જ મેં તને બધી પ્રજાઓની નજરમાં મહેણારૂપ તથા બધા દેશોના આગળ હાંસીપાત્ર બનાવ્યું છે.
હે અશુદ્ધ નગર, હે આબરૂહીન તથા સંપૂર્ણ ગૂંચવણભર્યા નગર, તારાથી દૂરના તથા નજીકના તારી હાંસી ઉડાવશે.
જો, ઇઝરાયલના સરદારો પોતાના બળથી લોહી વહેવડાવાને તારી અંદર આવે છે.
તેઓએ તારા માતાપિતાનો આદર કર્યો નથી, તારી મધ્યે વિદેશીઓને સુરક્ષા માટે નાણાં આપવા પડે છે. તેઓ અનાથો તથા વિધવાઓ ઉપર ત્રાસ ગુજારે છે.
તું મારી પવિત્ર વસ્તુઓને ધિક્કારે છે. અને મારા વિશ્રામવારોને અપવિત્ર કર્યાં છે.
તારી મધ્યે ચાડિયા લોહી વહેવડાવનારા થયા છે, તેઓ પર્વત પર ખાય છે. તેઓ તારી મધ્યે જાતીય પાપો આચરે છે.
૧૦
તારી અંદર તેઓએ પોતાના પિતાઓની આબરૂ ઉઘાડી કરી છે. સ્ત્રીની અશુદ્ધતા સમયે તેઓએ તે અશુદ્ધ સ્ત્રી સાથે બળાત્કાર કર્યો છે.
૧૧
માણસોએ પોતાના પડોશીની પત્નીઓ સાથે ધિક્કારપાત્ર કૃત્યો કર્યાં છે, તેઓએ લંપટતાથી પોતાની પૂત્રવધુને ભ્રષ્ટ કરી છે; ત્રીજાએ પોતાની બહેન સાથે એટલે કે પોતાના બાપની દીકરી સાથે બળાત્કાર કર્યો છે.
૧૨
તારી મધ્યે લોકોએ લાંચ લઈને લોહી વહેવડાવ્યું છે. તેં તેઓની પાસેથી વ્યાજ તથા નફો લીધા છે, તેં જુલમ કરીને તારા પડોશીને નુકસાન કર્યું છે, મને તું ભૂલી ગયો છે.” આમ પ્રભુ યહોવાહ કહે છે.
૧૩
“તે માટે જો, અપ્રામાણિક લાભ તેં મેળવ્યો છે તથા તારી મધ્યે લોહી વહેવડાવ્યું છે, તેથી મેં મારો હાથ પછાડ્યો છે.
૧૪
હું તારી ખબર લઈશ ત્યારે તારું હૃદય દ્રઢ રહેશે? તારા હાથ મજબૂત રહેશે? કેમ કે હું યહોવાહ તે બોલ્યો છું અને હું તે કરીશ.
૧૫
હું તને બીજી પ્રજાઓમાં વેરવિખેર કરી નાખીશ અને દેશો મધ્યે તને વિખેરી નાખીશ. હું તારી મલિનતા તારામાંથી દૂર કરીશ.
૧૬
બીજી પ્રજાઓ આગળ તું અપમાનિત થશે અને ત્યારે તું જાણશે કે હું યહોવાહ છું!”
૧૭
પછી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
૧૮
“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલી લોકો મારે માટે નકામા કચરા જેવા છે. તેઓ ભઠ્ઠીમાં રહેલા પિત્તળ, કલાઈ, લોખંડ તથા સીસા જેવા છે. તેઓ તારી ભઠ્ઠીમાં ચાંદીના કચરા જેવા છે.
૧૯
આથી પ્રભુ યહોવાહ કહે છે કે, ‘તમે બધા નકામા કચરા જેવા છો, માટે જુઓ, હું તમને યરુશાલેમમાં ભેગા કરીશ.
૨૦
જેમ લોકો ચાંદી, પિત્તળ, લોખંડ, સીસા તથા કલાઈને ભેગા કરીને ભઠ્ઠીમાં નાખીને અગ્નિ સળગાવીને ગાળે છે, તેવી જ રીતે હું તમને મારા રોષમાં તથા ક્રોધમાં ભેગા કરીને ભઠ્ઠીમાં નાખીને ઓગાળીશ.
૨૧
હું તમને ભેગા કરીશ અને મારો ક્રોધરૂપી અગ્નિ તમારા પર ફૂંકીશ, જેથી તમે મારા રોષની ભઠ્ઠીમાં ઓગળી જશો.
૨૨
જેમ ચાંદી ભઠ્ઠીમાં ઓગળી જાય છે, તેમ તમને તેમાં પિગળાવવામાં આવશે, ત્યારે તમે જાણશો કે મેં યહોવાહે મારો રોષ તમારા પર રેડ્યો છે!”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options