નિર્ગમન ૮:૨૦-૩૨
૨૦
¶ યહોવાહે મૂસાને કહ્યું, “તું ફારુન પાસે જજે. ફારુન સવારે નદી કિનારે ફરવા નીકળે ત્યારે સવારે વહેલો ઊઠીને તેની રાહ જોઈ ત્યાં ઊભો રહેજે. અને તે આવે ત્યારે કહેજે કે, યહોવાહ એવું કહે છે કે, ‘મારા લોકોને મારું ભજન કરવા જવા દે.
૨૧
જો તું મારા લોકોને નહિ જવા દે તો હું તારા પર, તારા અમલદારો પર તથા તારી પ્રજા પર તથા ઘરોમાં માખીઓ મોકલીશ. અને મિસરના લોકોનાં ઘરો માખીઓથી ભરાઈ જશે; ઠેરઠેર માખીઓ જ હશે.’”
૨૨
¶ પણ તે દિવસે હું મારા ઇઝરાયલી લોકોને સંભાળી લઈશ. જે ગોશેન પ્રાંતમાં તેઓ વસે છે ત્યાં માખીનું નામનિશાન હશે નહિ, એટલે તને ખાતરી થશે કે સમગ્ર પૃથ્વીમાં હું એકલો જ યહોવાહ છું.
૨૩
આમ હું મારા લોક અને તારા લોક વચ્ચે ભેદભાવ રાખીશ; તને મારા ચમત્કાર જોવા મળશે.”
૨૪
પછી યહોવાહે તે મુજબ કર્યું. તેમના કહ્યા પ્રમાણે ફારુનના મહેલમાં, તેના અમલદારોનાં ઘરોમાં તથા આખા મિસર દેશમાં માખીઓનાં ઝુંડેઝુંડ ધસી આવ્યાં અને સમગ્ર દેશ માખીઓથી પરેશાન થઈ ગયો હતો.
૨૫
¶ એટલે ફારુને મૂસા અને હારુનને બોલાવ્યા. તેઓને કહ્યું, “તમે લોકો તમારા ઈશ્વરને આ દેશમાં યજ્ઞાર્પણ ચઢાવો.”
૨૬
પરંતુ મૂસાએ કહ્યું, “એ પ્રમાણે કરવું ઉચિત નથી, કારણ કે અમે અમારા ઈશ્વર યહોવાહને અર્પણ ચઢાવીએ તેને મિસરના લોકો અપવિત્ર ગણે છે. તેથી મિસરના લોકો જેને પવિત્ર ગણે છે તેવી આહુતિ જો અમે આપીએ તો તેઓ અમને પથ્થરો મારીને મારી નાખે નહિ?
૨૭
અમને ત્રણ દિવસ સુધી અરણ્યમાં જવા દે અને અમારા ઈશ્વર યહોવાહને યજ્ઞો અર્પવા દે. યહોવાહે અમને એવું કરવા ફરમાવેલું છે.”
૨૮
¶ એટલે ફારુને કહ્યું, “હું તમને લોકોને તમારા ઈશ્વર યહોવાહને યજ્ઞો અર્પવા માટે અરણ્યમાં જવા દઈશ, પરંતુ તમારે ઘણે દૂર જવું નહિ અને મારા માટે પણ પ્રાર્થના કરવી.”
૨૯
મૂસાએ કહ્યું, “સારું, હું અહીંથી તારી આગળથી જઈને તરત જ યહોવાહને વિનંતી કરીશ કે, ફારુન અને તારા અમલદારોને તથા તારી પ્રજાને આવતી કાલે સવારે માખીઓના ત્રાસથી મુક્ત કરે. પણ તમે અમને મૂર્ખ ન બનાવતા, યહોવાહને યજ્ઞો અર્પવા અમને અરણ્યમાં જવા દેવાના છે; અમને ના પાડવાનું નથી.”
૩૦
¶ એટલે મૂસા ફારુન પાસેથી વિદાય થઈને યહોવાહ પાસે ગયો અને પ્રાર્થના કરી,
૩૧
અને યહોવાહે મૂસાની વિનંતી અનુસાર કર્યું. ત્યારે ફારુન, તેના અમલદારો અને તેની પ્રજા માખીઓના ત્રાસથી મુક્ત થયા. દેશમાં એક પણ માખી રહી નહિ.
૩૨
પરંતુ ફારુન તો ફરી પાછો હઠાગ્રહી થઈ ગયો અને તેણે ઇઝરાયલી લોકોને જવા દીધા નહિ.
Settings