નિર્ગમન ૫:૬-૨૩
૬
¶ તે જ દિવસે ફારુને ઇઝરાયલી લોકો પાસે સખત કામ કરાવવા માટે મુકાદમોને આદેશ આપ્યો કે,
૭
“હવે તમારે ઈંટો પાડવા માટે લોકોને પરાળ આપવું નહિ; તેઓ જાતે પરાળ લઈ આવે.
૮
વળી ધ્યાન રાખજો કે, અત્યાર સુધી તેઓ જેટલી ઈંટો બનાવતા આવ્યા છે એમાં ઘટાડો થવો જોઈએ નહિ. હવે એ લોકો આળસુ થઈ ગયા છે. તેથી બૂમો પાડે છે કે, અમને અમારા ઈશ્વરને યજ્ઞો કરવા જવા દો.
૯
તેઓને સતત એટલા બધા કામમાં રોકી રાખો કે પછી તેઓની પાસે મૂસાની જૂઠી વાતો સાંભળવાનો સમય જ રહે નહિ.”
૧૦
¶ તેથી એ લોકોના મુકાદમોએ તેઓને જણાવ્યું કે, “ફારુને નિર્ણય કર્યો છે કે, તે ઈંટો પાડવા માટે તે તમને પરાળ નહિ આપે.
૧૧
તમારે જાતે જ તમારા કામ માટે પરાળ ભેગું કરી લાવવું પડશે. તેથી જાઓ, પરાળ ભેગું કરો. તોપણ તમારે બનાવવાની ઈંટોની સંખ્યાનું પ્રમાણ તો એટલું જ રહેશે. તે ઓછું કરવામાં નહિ આવે.”
૧૨
¶ આથી લોકો પરાળ ભેગું કરવા માટે આખા મિસરમાં ફરી વળ્યા.
૧૩
મુકાદમો ધમકી આપતા જ રહ્યા કે, “અગાઉ પરાળ મળતું હતું ત્યારે રોજનું જેટલું કામ કરતા હતા તેટલું જ કામ તમારે પૂરું કરવું પડશે.”
૧૪
ફારુનના મુકાદમોએ ઇઝરાયલીઓ પર દેખરેખ માટે જે ઉપરીઓને નિયુક્ત કર્યા હતા તેઓને ખૂબ માર મારીને પૂછવામાં આવતું હતું કે, “જેટલી ઈંટો અત્યાર સુધી તમે પાડતા હતા તેટલાં પ્રમાણમાં અગાઉની માફક કેમ પૂરી કરતા નથી?”
૧૫
¶ એટલે ઇઝરાયલીઓના ઉપરીઓ ફારુનની સમક્ષ આવીને આર્તનાદ કરવા લાગ્યા, “તમે તમારા સેવકો સાથે આવો વર્તાવ કેમ રાખો છો?
૧૬
હવે અમને પરાળ આપવામાં આવતું નથી તેમ છતાં અમને કહેવામાં આવે છે કે પૂરતી ઈંટો પાડો; જરા જુઓ તો ખરા, અમને કેવો ત્રાસ આપવામાં આવે છે! ખરેખર, વાંક તો તમારા ઉપરીઓનો જ છે.”
૧૭
ત્યારે ફારુને તેઓને ધમકાવ્યા, “તમે લોકો આળસુ થઈ ગયા છો, તેથી કહો છો કે અમને યહોવાહના યજ્ઞો કરવા જવા દો.
૧૮
હવે જાઓ, કામે લાગી જાઓ, તમને પરાળ પૂરું પાડવામાં નહિ આવે; અને ઈંટોની સંખ્યા તો નક્કી કરેલ પ્રમાણે તમારે પૂરી કરવી જ પડશે.”
૧૯
¶ ઇઝરાયલી ઉપરીઓના ધ્યાનમાં આવ્યું કે હવે તેઓની સ્થિતિ કફોડી થવાની છે. કારણ કે તેઓ હવે અગાઉના જેટલી ઈંટો તૈયાર કરાવી શકતા નથી.
૨૦
અને પછી ફારુનની પાસેથી તેઓ પાછા આવ્યા ત્યારે રસ્તામાં ઊભેલા મૂસા અને હારુન તેઓને સામા મળ્યા.
૨૧
તેઓએ મૂસા અને હારુનને કહ્યું, “તમે શું કર્યુ છે એ યહોવાહ ધ્યાનમાં લે અને તમને શિક્ષા કરે. કારણ તમે અમને ફારુનની અને તેના સેવકોની નજરમાં તિરસ્કૃત બનાવી દીઘા છે; અને તેઓ અમને મારી નાખે તે માટે જાણે તમે તેઓના હાથમાં તલવાર આપી છે!”
૨૨
¶ ત્યારે મૂસાએ યહોવાહને પ્રાર્થના કરી, “હે પ્રભુ યહોવાહ, તમે આ લોકોની આવી ખરાબ હાલત શા માટે કરી? વળી તમે મને શા માટે મોકલ્યો છે?
૨૩
હે પ્રભુ, હું તમારા નામે ફારુન સાથે વાત કરવા ગયો ત્યારથી તેણે આ લોકોનું અહિત કરવા માંડ્યું છે અને તમે તમારા લોકોને બચાવવા માટે કશું કરતા નથી.”
Settings