Skip to content
નિર્ગમન ૪:૧-૯

નિર્ગમન ૪:૧-૯

ત્યારે મૂસાએ ઈશ્વરને જણાવ્યું, “પ્રભુ હું ઇઝરાયલના લોકોને કહીશ કે યહોવાહે મને મોકલ્યો છે, ત્યારે તેઓ મારા કહેવા પર વિશ્વાસ નહિ કરે અને કહેશે કે, “યહોવાહે તને દર્શન દીધું નથી.”
પરંતુ યહોવાહે મૂસાને કહ્યું, “તારા હાથમાં શું છે?” મૂસાએ જવાબ આપ્યો, “લાકડી.”
ત્યારે યહોવાહે કહ્યું, “તારી લાકડીને જમીન પર નાખ.” એટલે મૂસાએ લાકડી જમીન પર નાખી, ત્યારે તે બદલાઈને સાપ બની ગઈ. તે જોઈને મૂસા બી ગયો અને ત્યાંથી ખસી ગયો.”
પરંતુ યહોવાહે મૂસાને કહ્યું, “તું સાપની આગળ જા અને તારા હાથથી તેને પૂંછડીથી પકડી લે.” એટલે મૂસાએ સાપને પકડ્યો ત્યારે તેના હાથમાં સાપની લાકડી બની ગઈ.
તેથી યહોવાહે કહ્યું, “તારી લાકડીનો આ પ્રમાણે ઉપયોગ કરજે, એટલે લોકોને વિશ્વાસ બેસશે કે તેઓના પિતૃઓના ઈશ્વર પ્રભુએ એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના ઈશ્વરે તને દર્શન દીધું છે.”
વિશેષમાં યહોવાહે તેને કહ્યું, “હું તને બીજો ચમત્કાર બતાવું છું. તારો હાથ તેં પહેરેલા ઝભ્ભા નીચે છાતી પાસે મૂક.” તેમ કર્યા પછી મૂસાએ જ્યારે હાથ પાછો બહાર કાઢયો ત્યારે તેનો હાથ કુષ્ટરોગથી બરફ જેવો સફેદ થઈ ગયો હતો.
પછી યહોવાહે મૂસાને કહ્યું, “તારો હાથ પાછો ઝભ્ભા નીચે છાતી પર મૂક.” એટલે તેણે તે પ્રમાણે કર્યું, પછી જયારે તેણે હાથ બહાર કાઢયો ત્યારે તે હાથ અગાઉના જેવો દુરસ્ત થઈ ગયો હતો.
પછી યહોવાહે કહ્યું, “જો લોકો લાકડીના ચમત્કારની નિશાની પછી પણ તારું કહેવું નહિ માને તો આ બીજા ચમત્કારની નિશાનીથી તેઓ તારા પર ભરોસો કરશે.
વળી જો આ બે ચમત્કારો બતાવ્યા પછી પણ તેઓ તારી વાત ના સાંભળે, તો તું નીલ નદીમાંથી થોડું પાણી લઈને જમીન પર ઢોળજે, ત્યાં તે પાણી રક્ત થઈ જશે.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options