નિર્ગમન ૧૯:૧૬-૨૪
૧૬
¶ પછી ત્રીજે દિવસે સવારમાં આકાશમાં મેઘગર્જનાઓ અને વીજળીઓ થવા લાગ્યાં. પર્વત ઉપર કાળું ઘાડું વાદળ છવાઈ ગયું, અને રણશિંગડાનો બહુ મોટો અવાજ થયો, જેથી છાવણીમાં સર્વ લોકો ધ્રૂજી ઊઠયા.
૧૭
એટલે મૂસા યહોવાહને મળવા માટે સર્વ લોકોને છાવણીમાંથી બહાર લાવ્યો; અને તેઓ પર્વતની તળેટીમાં ઊભા રહ્યા.
૧૮
અગ્નિ દ્વારા યહોવાહ સિનાઈ પર્વત પર ઊતર્યા, એટલે આખા પર્વત પર ધુમાડો વ્યાપ્યો. અગ્નિનો એ ધુમાડો ભઠ્ઠીના ધુમાડાની જેમ ઉપર ચઢવા લાગ્યો. અને આખો પર્વત જોરથી કંપવા લાગ્યો.
૧૯
¶ અને પછી જ્યારે રણશિંગડાના અવાજની તીવ્રતા વધવા લાગી ત્યારે મૂસા યહોવાહ સમક્ષ વાત કરવા લાગ્યો અને યહોવાહ ગડગડાટ જેવા અવાજથી તેને જવાબ આપતા હતા.
૨૦
યહોવાહ સિનાઈ પર્વતના શિખર ઉપર ઊતર્યા; તેમણે મૂસાને પર્વતના શિખર પર બોલાવ્યો; તેથી મૂસા પર્વત પર ગયો.
૨૧
ત્યાં યહોવાહ એ મૂસાને કહ્યું, “નીચે જા, અને લોકોને સાવધાન કર કે, તેઓ મારા દર્શનાર્થે નિયત હદ ઓળંગીને ઘસી આવે નહિ. જો તેઓ એવું કરશે તો તેઓ માર્યા જશે.
૨૨
વળી જે યાજકો મારી નજીક આવે, તેઓએ પોતાને શુદ્ધ કર્યા નહિ હોય તો હું તેઓને સખત સજા કરીશ.”
૨૩
¶ એટલે મૂસાએ યહોવાહને કહ્યું, “લોકો સિનાઈ પર્વત પાસે આવી શકશે નહિ, કારણ કે તમે પોતે અમને આજ્ઞા કરી છે કે, પર્વતની ચારેબાજુ હદ નિયત કરજો કે લોકો તેને ઓળંગીને પવિત્ર મેદાનમાં આવે નહિ.”
૨૪
એટલે યહોવાહે તેને કહ્યું, “જા, નીચે ઊતર; અને હારુનને ઉપર લઈ આવ, પરંતુ યાજકો કે લોકો હદ ઓળંગીને મારી પાસે ઘસી આવે નહિ એનું ધ્યાન રાખજે, નહિ તો હું તે લોકોને નષ્ટ કરીશ.”
Settings