નિર્ગમન ૧૬:૧૬-૨૮
૧૬
¶ યહોવાહની એવી આજ્ઞા છે કે, ‘તમે પ્રત્યેક જણ પોતાના આહાર જેટલું ભેગું કરી લો. તમારે તમારા કુટુંબના માણસોની સંખ્યા પ્રમાણે તમારા તંબુમાં રહેનારા માટે વ્યક્તિ દીઠ એક ઓમેર જેટલું તે લેવું.’
૧૭
અને ઇઝરાયલી લોકોએ એ પ્રમાણે કર્યું. પણ તેમાંના કેટલાકે વધારે તો કેટલાકે ઓછું ભેગું કરી લીધું.
૧૮
અને પછી તેઓએ ઓમેરના માપિયાથી માપ્યું ત્યારે જેણે વધુ લીધું હતું તેને વધી પડ્યું નહિ અને જેણે ઓછું ભેગું કર્યુ હતું તેને ખૂટ્યું નહિ. પ્રત્યેક માણસથી પોતાના આહાર પૂરતું જ એકઠું કરાયું હતું.
૧૯
¶ મૂસાએ તેઓને કહ્યું, “તમારામાંથી કોઈએ તેમાંથી સવારને માટે રાખી મૂકવું નહિ.”
૨૦
પરંતુ કેટલાકે મૂસાનું કહ્યું માન્યું નહિ. તેઓએ તેમાંથી થોડુંઘણું સવારને માટે રાખ્યું તો સવારે તેમાં કીડા પડેલા હતા. અને તે ગંધાઈ ઊઠયું. તેથી મૂસા તેમના પર ગુસ્સે થયો.
૨૧
રોજ સવારે પ્રત્યેક જણ પોતાના આહાર જેટલો ખોરાક ભેગો કરતો હતો અને સૂર્ય તપતો ત્યારે જે વધ્યું હોય તે બધું ઓગળી જતું હતું.
૨૨
¶ અઠવાડિયાનાં છઠ્ઠે દિવસે તેઓએ બમણો એટલે વ્યક્તિ પ્રમાણે બે ઓમેર જેટલો ખોરાક ભેગો કર્યો. પછી સમુદાયના બધા આગેવાનોએ આવીને મૂસાને તે વિષે જણાવ્યું.
૨૩
મૂસાએ તેઓને કહ્યું, યહોવાહની એ આજ્ઞા છે કે, “આવતી કાલે વિશ્રામ એટલે યહોવાહનો પવિત્ર વિશ્રામવારનો દિવસ છે; તેથી તમારે જે રાંધવું હોય તે રાંધી લો, અને જે વધે તે તમારા માટે સવાર સુધી રાખી મૂકો.”
૨૪
¶ આથી મૂસાની આજ્ઞા પ્રમાણે તેઓએ તેમાંથી સવારને માટે રાખી મૂકયું, પણ તેમાં કીડા પડયા નહિ અને તે ગંધાઈ ઊઠ્યું પણ નહિ.
૨૫
અને મૂસાએ કહ્યું, “આજે તે ખાઓ, કારણ કે આજે વિશ્રામવાર છે, યહોવાહનો દિવસ છે; આજે તે તમને ખેતરમાં મળશે નહિ.
૨૬
¶ સપ્તાહના છે દિવસ તમે એ ભેગું કરો; પણ સાતમો દિવસ વિશ્રામવારનો છે, તેમાં તમને કંઈ મળશે નહિ.”
૨૭
સાતમા દિવસે કેટલાક લોકો તે ભેગું કરવા માટે બહાર ગયા, પણ તેમને કંઈ મળ્યું નહિ.
૨૮
¶ ત્યારે યહોવાહે મૂસાને કહ્યું, “કયાં સુધી તમે મારી આજ્ઞાઓ અને નિયમોનું પાલન કરવાનો ઇનકાર કરશો?”
Settings