નિર્ગમન ૧૨:૧-૨૦
૧
¶ મૂસા અને હારુન જ્યારે મિસરમાં હતા ત્યારે યહોવાહે તેઓને કહ્યું,
૨
“તમારા લોકો માટે આ માસ વર્ષનો પ્રથમ માસ ગણાશે.”
૩
¶ સમગ્ર ઇઝરાયલીઓ માટે આદેશ છે કે: “આ માસના દસમા દિવસે પ્રત્યેક પુરુષે પોતાના પિતાના કુટુંબ દીઠ એક હલવાન લેવું.
૪
અને જો કુટુંબમાં આખું એક હલવાન પૂરેપૂરું ખાઈ શકે તેટલાં માણસો ના હોય તો તેઓએ પોતાના પડોશીઓને નિમંત્રણ આપવું. અને તેઓની તથા કુટુંબની સંખ્યા પ્રમાણે હલવાન લેવું. પુરુષના આહાર પ્રમાણે હલવાન વિષે વિચારીને નક્કી કરવું.”
૫
¶ પસંદ કરેલ હલવાન ખોડખાંપણ વગરનો પ્રથમ વર્ષનો ઘેટો અથવા બકરો જ હોવો જોઈએ.
૬
તમારે આ હલવાનને એ જ માસના ચૌદમા દિવસ સુધી સાચવી રાખવો. તે દિવસે સંધ્યાકાળે તમામ ઇઝરાયલીઓ પોતપોતાની પાસે રાખેલા હલવાનને કાપે.
૭
તમારે તે હલવાનોનું રક્ત લઈને જે ઘરમાં તે ખાવાનું હોય તે ઘરની બન્ને બારસાખ પર અને ઓતરંગ પર છાંટવું જોઈએ.
૮
“તે જ રાત્રે તમારે હલવાનના માંસને શેકવું અને તેને બેખમીર રોટલી તથા કડવી ભાજી સાથે ખાવું.”
૯
¶ એ માંસ કાચું કે પાણીમાં બાફીને ન ખાવું. પગ, માથું અને આંતરડાં સાથે શેકીને ખાવું.
૧૦
તે રાત્રે જ બધું માંસ ખાઈ લેવું. અને જો એમાંનું કંઈ વધે અને સવાર સુધી રહે તો તેને તમારે આગમાં બાળી મૂકવું.
૧૧
તમારે તે આ રીતે જ ખાવું; તમારે પ્રવાસનાં વસ્ત્રો પહેરવાં, પગમાં પગરખાં પહેરવાં, હાથમાં લાકડી લેવી અને ઉતાવળ કરીને ખાવું. કેમ કે આ યહોવાહનું પાસ્ખા છે.
૧૨
¶ “કેમ કે રાત્રે હું મિસરમાં ફરીશ અને આખા મિસર દેશના બધા મનુષ્યના અને પશુઓના પ્રથમજનિતોને મારી નાખીશ. મિસરના બધા દેવોને પણ હું સજા કરીશ. અને હું તેઓને બતાવીશ કે હું યહોવાહ છું.
૧૩
પરંતુ તમારા ઘર પર છાંટવામાં આવેલું રક્ત એ ચિહ્ન રહેશે જેને હું જોઈશ એટલે તમારા ઘરને ટાળીને હું આગળ જઈશ. મિસરના લોકો પર મરકી આવશે. પણ તમારા ઘરોમાં વિનાશક મરકી આવશે નહિ.
૧૪
તેથી તમે લોકો આજની આ રાતનું સદા સ્મરણ કરજો અને એને યહોવાહના પાસ્ખાપર્વ તરીકે પાળજો. અને નિત્ય નિયમાનુસાર તમારા વંશજોએ પણ યહોવાહના માનમાં તેની ઊજવણી કરવી.”
૧૫
¶ “આ પવિત્ર પર્વના સાત દિવસો દરમ્યાન તમારે બેખમીરી રોટલી ખાવી. પર્વના પહેલે દિવસે પોતપોતાના ઘરોમાંથી બધું જ ખમીર દૂર કરવું. અને જો કોઈ માણસ આ સાત દિવસ સુધી ખમીરવાળી રોટલી ખાય તો તેને ઇઝરાયલથી જુદો કરવામાં આવે.
૧૬
આ પવિત્ર પર્વના પ્રથમ દિવસે અને અંતિમ સાતમા દિવસે પવિત્ર મેળાવડા ભરવા. એ દિવસો દરમ્યાન બીજું કોઈ કામ કરવું નહિ. માત્ર પ્રત્યેકે જરૂરિયાત મુજબ જમવાનું તૈયાર કરવાનું કામ કરવું.
૧૭
¶ તમારે બેખમીર રોટલીનું પર્વ પાળવું, કારણ કે એ જ દિવસે હું તમારા લોકોને મિસર દેશમાંથી બહાર લાવ્યો હતો. તેથી એ દિવસે તમારા વંશજોએ પરંપરા મુજબ આ વિધિ પાળવો.
૧૮
પ્રથમ માસના ચૌદમા દિવસની સાંજથી માંડીને તે માસના એકવીસમા દિવસની સાંજ સુધી તમારે ખમીર વગરની રોટલી ખાવી.
૧૯
¶ સાત દિવસ સુધી તમારાં ઘરોમાં ખમીર હોવું જોઈએ નહિ. જો કોઈ માણસ ખમીરવાળી વાનગી ખાશે તો તેનો ઇઝરાયલની જમાતમાંથી બહિષ્કાર કરવામાં આવશે. પછી તે દેશનો વતની હોય કે પરદેશી હોય.
૨૦
ખમીરવાળી કોઈ પણ વાનગી તમારે ખાવી નહિ અને તમારાં બધાં જ ઘરોમાં તમારે ખમીર વગરની રોટલી જ ખાવી.”
Settings