નિર્ગમન ૧૨:૧૪-૨૦
૧૪
તેથી તમે લોકો આજની આ રાતનું સદા સ્મરણ કરજો અને એને યહોવાહના પાસ્ખાપર્વ તરીકે પાળજો. અને નિત્ય નિયમાનુસાર તમારા વંશજોએ પણ યહોવાહના માનમાં તેની ઊજવણી કરવી.”
૧૫
¶ “આ પવિત્ર પર્વના સાત દિવસો દરમ્યાન તમારે બેખમીરી રોટલી ખાવી. પર્વના પહેલે દિવસે પોતપોતાના ઘરોમાંથી બધું જ ખમીર દૂર કરવું. અને જો કોઈ માણસ આ સાત દિવસ સુધી ખમીરવાળી રોટલી ખાય તો તેને ઇઝરાયલથી જુદો કરવામાં આવે.
૧૬
આ પવિત્ર પર્વના પ્રથમ દિવસે અને અંતિમ સાતમા દિવસે પવિત્ર મેળાવડા ભરવા. એ દિવસો દરમ્યાન બીજું કોઈ કામ કરવું નહિ. માત્ર પ્રત્યેકે જરૂરિયાત મુજબ જમવાનું તૈયાર કરવાનું કામ કરવું.
૧૭
¶ તમારે બેખમીર રોટલીનું પર્વ પાળવું, કારણ કે એ જ દિવસે હું તમારા લોકોને મિસર દેશમાંથી બહાર લાવ્યો હતો. તેથી એ દિવસે તમારા વંશજોએ પરંપરા મુજબ આ વિધિ પાળવો.
૧૮
પ્રથમ માસના ચૌદમા દિવસની સાંજથી માંડીને તે માસના એકવીસમા દિવસની સાંજ સુધી તમારે ખમીર વગરની રોટલી ખાવી.
૧૯
¶ સાત દિવસ સુધી તમારાં ઘરોમાં ખમીર હોવું જોઈએ નહિ. જો કોઈ માણસ ખમીરવાળી વાનગી ખાશે તો તેનો ઇઝરાયલની જમાતમાંથી બહિષ્કાર કરવામાં આવશે. પછી તે દેશનો વતની હોય કે પરદેશી હોય.
૨૦
ખમીરવાળી કોઈ પણ વાનગી તમારે ખાવી નહિ અને તમારાં બધાં જ ઘરોમાં તમારે ખમીર વગરની રોટલી જ ખાવી.”
Settings