Skip to content
2 શમુએલ ૨૧:૧-૧૪

2 શમુએલ ૨૧:૧-૧૪

દાઉદની કારકિર્દી દરમ્યાન લગાતાર ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યો, દાઉદે ઈશ્વરને પોકાર કર્યો. તેથી ઈશ્વરે કહ્યું, “શાઉલ તથા તેના ખૂની કુટુંબને લીધે તારા રાજ્ય પર આ દુકાળ આવ્યો છે, કેમ કે તેણે ગિબ્યોનીઓને મારી નાખ્યા હતા.”
હવે ગિબ્યોનીઓ તો ઇઝરાયલના નહિ પણ અમોરીઓમાં બાકી રહેલાઓમાંના હતા. ઇઝરાયલના લોકોએ તેમની સાથે સમ ખાધા હતા, પણ શાઉલ ઇઝરાયલના લોકો તથા યહૂદિયાના લોકો માટેના તેના આવેશને લીધે તેઓને મારી નાખવાના પ્રયત્નમાં રહેતો હતો.
તેથી દાઉદ રાજાએ ગિબ્યોનીઓને એકસાથે બોલાવીને કહ્યું, “હું તમારે માટે શું કરું? હું કેવી રીતે પ્રાયશ્ચિત કરું, જેથી તમે ઈશ્વરના લોકોને તેમની ભલાઈ અને વચનોના વતનનો આશીર્વાદ આપો?”
ગિબ્યોનીઓએ તેને જવાબ આપ્યો, શાઉલ કે તેના કુટુંબની અને અમારી વચ્ચે સોના કે રૂપાનો વાંધો નથી. અને અમારે ઇઝરાયલમાંથી કોઈને મારી નાખવો નથી.” દાઉદે જવાબ આપ્યો “તમે જે કંઈ કહેશો તે હું તમારે માટે કરીશ.”
પછી તેઓએ રાજાને કહ્યું, જે માણસ અમને મારી નાખવાનો પ્રયત્ન કરતો હતો, તથા ઇઝરાયલની સર્વ સીમમાંથી અમારું નિકંદન જાય, એવી યુક્તિઓ અમારી વિરુદ્ધ જે રચતો હતો,
તેના વંશજોમાંથી સાત માણસો અમારે સ્વાધીન કરવામાં આવે, એટલે ઈશ્વરથી પસંદ કરાયેલા શાઉલના ગિબયામાં અમે તેઓને ઈશ્વરની આગળ ફાંસી આપીશું.” તેથી રાજાએ કહ્યું, “હું તેઓને તમારે સ્વાધીન કરીશ.”
પણ શાઉલના દીકરા યોનાથાન તથા દાઉદની વચ્ચે ઈશ્વરના જે સમ હતા, તેને કારણે રાજાએ શાઉલના દીકરા યોનાથાનના દીકરા મફીબોશેથને બચાવ્યો.
પણ દાઉદ રાજાએ આર્મોની તથા મફીબોશેથ નામે શાઉલના જે બે દીકરા એયાહની દીકરી રિસ્પાથી થયા હતા તેઓને તથા બાર્ઝિલ્લાય મહોલાથીના દીકરા જે આદ્રિયેલના પાંચ દીકરાઓ શાઉલની દીકરી મિખાલથી થયા હતા તેઓને ગીબ્યોનીઓને સ્વાધીન કરવાનું નક્કી કર્યું.
તેઓને રાજાએ ગિબ્યોનીઓના હાથમાં સોંપ્યાં અને તેઓએ તેઓને પર્વત ઉપર ઈશ્વરની આગળ ફાંસી આપી, તે સાત લોકો એકસાથે મરણ પામ્યા. કાપણીની ઋતુના પહેલા દિવસોમાં એટલે જવની કાપણીની શરૂઆતમાં તેઓ મરાયા હતા.
૧૦
ત્યારે એયાહની દીકરી રિસ્પાએ ટાટ લીધું અને કાપણીની શરૂઆતથી તે તેઓની ઉપર આકાશમાંથી પાણી પડ્યું ત્યાં સુધી, મૃતદેહોની બાજુમાં પોતાને માટે ખડક ઉપર તે પાથર્યું. તેણે દિવસે વાયુચર પક્ષીઓને તથા રાત્રે જંગલી પશુઓને મૃતદેહો પાસે આવવા દીધાં નહિ.
૧૧
એયાહની દીકરી રિસ્પાએ, એટલે શાઉલની ઉપપત્નીએ આ જે કંઈ કર્યું તેની ખબર દાઉદને મળી.
૧૨
તેથી દાઉદે જઈને શાઉલનાં અસ્થિ તથા તેના દીકરા યોનાથાનના હાડકાં યાબેશ ગિલ્યાદના માણસો પાસેથી લીધાં, તેઓ તે બેથ-શાનના મેદાનમાંથી ચોરી લાવ્યા હતા, જે દિવસે પલિસ્તીઓએ શાઉલને ગિલ્બોઆમાં મારી નાખ્યો તે દિવસે પલિસ્તીઓએ તે ત્યાં લટકાવ્યાં હતાં.
૧૩
દાઉદે ત્યાંથી શાઉલના હાડકાં તથા તેના દીકરા યોનાથાનના અસ્થિ લઈ લીધા, તેમ જ ફાંસીએ લટકાવેલાઓનાં હાડકાં તેઓએ એકત્ર કર્યા.
૧૪
અને તેઓએ શાઉલનાં તથા તેના દીકરા યોનાથાનના અસ્થિ બિન્યામીન દેશના સેલામાં તેના પિતા કીશની કબરમાં દફનાવ્યાં. તેઓએ રાજાની કહેલી આજ્ઞા પ્રમાણે સઘળું કર્યું. ત્યાર પછી ઈશ્વરે તે દેશ માટે કરેલી તેઓની પ્રાર્થનાનો જવાબ આપ્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options