2 શમુએલ ૧૪:૧-૧૭
૧
¶ હવે સરુયાના દીકરા યોઆબને લાગ્યું કે, રાજાનું હૃદય આબ્શાલોમને જોવાની અગમ્ય ઇચ્છા ધરાવે છે.
૨
તેથી યોઆબે તકોઆ નગરમાં ખબર મોકલીને ત્યાંથી એક જ્ઞાની સ્ત્રીને તેડાવી પછી તેને કહ્યું, “કૃપા કરીને તું શોક કરનારનાં જેવો ઢોંગ કર અને શોકના વસ્ત્રો પહેર. કૃપા કરી તારા પોતાના પર તેલ ન લગાવ, પણ મૃત્યુ પામેલાંને માટે લાંબા સમયથી શોક કરનાર સ્ત્રીના જેવી તું થા.
૩
પછી હું તને જે કહું તે પ્રમાણે રાજા પાસે જઈને તેને કહે.” પછી યોઆબે તેને એ વાત કહી કે જે તેણે જઈને રાજાને કહેવાની હતી.
૪
¶ પછી તકોઆની તે સ્ત્રી રાજાની સાથે વાત કરવા ગઈ. ત્યારે તેણે સાષ્ટાંગ પ્રણામ કરીને કહ્યું, “હે રાજા, મને મદદ કર.”
૫
રાજાએ તેને કહ્યું કે, “તારી સાથે શું ખરાબ થયું છે?” તેણે જવાબ આપ્યો કે, સાચી વાત એ છે કે હું વિધવા છું અને મારો પતિ મરણ પામ્યો છે.
૬
મારે બે દીકરા હતા, તે બન્ને ખેતરમાં લડી પડ્યા. ત્યાં તેઓને અલગ કરનાર કોઈ ન હતું. એક ભાઈએ બીજા ભાઈ પર હુમલો કરીને તેને મારી નાખ્યો.
૭
¶ અને હવે, આખું કુટુંબ મારી વિરુદ્ધ ઊઠ્યું છે, તેઓએ કહ્યું, ‘જેણે તેના ભાઈને મારી નાખ્યો છે, તેને અમારા હાથમાં સોંપ, કે તેના ભાઈને મારી નાખ્યો તેના બદલામાં અમે તેને પણ મારી નાખીએ.’ આમ કરીને તેઓ વારસનો પણ નાશ કરશે. મારા કુળનો નાશ કરશે અને બાકી રહેલો મારો વંશ, મારા પતિનું નામ કે કુળનું નામ તેઓ પૃથ્વી પર રહેવા દેશે નહિ.”
૮
¶ તેથી રાજાએ તે સ્ત્રીને કહ્યું કે, “તારા ઘરે જા, તારા વિષે કંઈ કરવા માટે હું હુકમ આપીશ.”
૯
તકોઆની સ્ત્રીએ રાજાને જવાબ આપ્યો, “મારા માલિક રાજા, આ દોષ મારા પર તથા મારા પિતાના ઘર પર આવો. રાજા તથા તેનું રાજ્યાસન નિર્દોષ રહો.”
૧૦
¶ રાજાએ કહ્યું, “જો કોઈ તને કશું કહે, તેને મારી પાસે લાવ અને તે હવેથી તારું નામ લેશે નહિ.”
૧૧
પછી તેણે કહ્યું કે, “કૃપા કરી, હે રાજા પોતાના પ્રભુ ઈશ્વરનું સ્મરણ કર, લોહીનો બદલો લેનારા હવે કોઈનો નાશ કરે નહિ, કે જેથી તેઓ મારા દીકરાનો નાશ કરે નહિ.” રાજાએ જવાબ આપ્યો કે, “જીવતા ઈશ્વરના સમ, તારા દીકરાનો એક વાળ પણ હું જમીન પર પડવા નહિ દઉં.”
૧૨
¶ પછી તે સ્ત્રીએ કહ્યું કે, “કૃપા કરી હવે તારી દાસીને એક વાત મારા માલિક રાજાને કહેવા દે.” તેણે કહ્યું, “બોલ.”
૧૩
તેથી તે સ્ત્રીએ કહ્યું,” શા માટે તેં ઈશ્વરના લોકો વિરુદ્ધ આવી યુક્તિની યોજના કરી છે? કેમ કે આ બાબત બોલતાં રાજા એક દોષી વ્યક્તિ જેવો લાગે છે, કેમ કે રાજા પોતાના દેશનિકાલ કરેલા દીકરાને પાછો ઘરે લાવતો નથી.
૧૪
કેમ કે આપણા સર્વનું મૃત્યુ નિશ્ચિત છે અને જેમ જમીન ઉપર ઢળેલું પાણી જે ફરીથી ઉપર ભેગું કરાતું નથી, તેના જેવા છીએ. ઈશ્વર કોઈનો જીવ લેતા નથી; પણ, જેને તેમણે પોતાનાથી દૂર કર્યા છે તેને પાછો લાવે છે.
૧૫
¶ તેથી મારા માલિક રાજાને આ વાત કહેવાને હું આવી છું, તેનું કારણ એ છે કે લોકોએ મને બીવડાવી છે. જેથી તારી દાસીએ પોતાને કહ્યું કે, ‘હવે હું રાજા સાથે વાત કરીશ. કદાચ એમ બને કે રાજા પોતાની દાસીની વિનંતી અમલમાં મૂકે.
૧૬
કેમ કે રાજા મારું સાંભળીને, જે માણસ મારા દીકરા સાથે ઈશ્વરના વારસામાંથી નાશ કરવાને ઇચ્છે છે, તેના હાથમાંથી મને છોડાવશે.
૧૭
પછી મેં પ્રાર્થના કરી કે, કૃપા કરી, ‘ઈશ્વર, મારા મુરબ્બી રાજાની વાત મને શાંતિરૂપ થાઓ, કેમ કે મારો મુરબ્બી રાજા સારું અને નરસું પારખવામાં ઈશ્વરના જેવો છે.’ ઈશ્વર તમારો પ્રભુ તમારી સાથે હો.
Settings