2 શમુએલ ૧૨:૧-૧૪
૧
¶ પછી ઈશ્વરે નાથાન પ્રબોધકને દાઉદ પાસે મોકલ્યો. તેણે તેની પાસે આવીને કહ્યું કે, “નગરમાં બે માણસ હતા. એક દ્રવ્યવાન અને બીજો ગરીબ હતો.
૨
ધનવાનની પાસે પુષ્કળ સંખ્યામાં ઘેટાં તથા અન્ય જાનવર હતાં,
૩
પણ દરિદ્રી માણસ પાસે એક નાની ઘેટી સિવાય બીજું કંઈ નહોતું. તેણે તે વેચાતી લઈને તેનું પોષણ કર્યું હતું. તે તેની સાથે તથા તેનાં છોકરાં સાથે ઊછરી હતી. તે તેની થાળીમાંથી ખાતી અને તેના પ્યાલામાંથી પીતી હતી. તેની પથારીમાં તે સૂતી હતી તે તેની દીકરી જેવી હતી.
૪
¶ એક દિવસ તે શ્રીમંત માણસને ત્યાં એક વટેમાર્ગુ આવ્યો. શ્રીમંતે પોતાને ઘરે આવેલા વટેમાર્ગુના ભોજન માટે પોતાનાં ઘેટાં કે અન્ય જાનવરોમાંથી કોઈ પશુને લીધું નહિ. પણ પેલા દરિદ્રી માણસની ઘેટી આંચકી લીધી અને તેને ત્યાં આવેલા વટેમાર્ગુને માટે તેનું શાક બનાવ્યું.”
૫
એ સાંભળીને દાઉદ પેલા ધનવાન માણસ પર ઘણો ગુસ્સે થયો. તેણે નાથાનને કહ્યું કે, “જીવતા ઈશ્વરના સમ, જે માણસે એ કૃત્ય કર્યું છે તે મરણદંડને યોગ્ય છે.
૬
તેણે ઘેટીના બચ્ચાના બદલે ચારગણું પાછું આપવું પડશે કેમ કે તેણે એવું કૃત્ય કર્યું છે, તેને તે દરિદ્ર માણસ પર કંઈ દયા આવી નહિ.”
૭
¶ પછી નાથાને દાઉદને કહ્યું કે, “તું જ તે માણસ છે! ઇઝરાયલના પ્રભુ, ઈશ્વર, કહે છે કે, ‘મેં તને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષેક કર્યો અને મેં તને શાઉલના હાથમાંથી છોડાવ્યો હતો.
૮
મેં તેનો મહેલ તને આપ્યો. અને તેની પત્નીઓ તને આપી. મેં તને ઇઝરાયલનું તથા યહૂદાનું રાજય પણ આપ્યું. જો તે તને ઘણું ઓછું પડ્યું હોત તો હું બીજી ઘણી વધારાની વસ્તુઓ પણ તને આપત.
૯
¶ તો શા માટે તેં ઈશ્વરની આજ્ઞા તુચ્છ ગણીને તેમની દ્રષ્ટિમાં જે દુશમાર તે કર્યો છે? તેં ઉરિયા હિત્તીને તલવારથી મારી નંખાવ્યો. અને તેની પત્નીને તેં તારી પત્ની બનાવી લીધી. તેં તેને આમ્મોની સૈન્યની તલવારથી મારવાનું કાવતરું કર્યું.
૧૦
તેથી હવે તલવાર તારા ઘરમાંથી કદી દૂર થશે નહિ, કેમ કે તેં મને ધિક્કાર્યો છે અને ઉરિયા હિત્તીની પત્નીને પોતાની પત્ની કરી લીધી છે.’
૧૧
ઈશ્વર કહે છે કે, ‘જો, હું તારા પોતાના ઘરમાંથી તારી વિરુદ્ધ આફત ઊભી કરીશ. તારી પોતાની નજર આગળથી હું તારી પત્નીઓને લઈને તારા પડોશીને આપીશ. દિવસે પણ તે તારી પત્નીઓની આબરુ લેશે.
૧૨
કેમ કે તેં તારું પાપ ગુપ્તમાં કર્યું છે, પણ હું આ કાર્ય સર્વ ઇઝરાયલની આગળ સૂર્યના અજવાળામાં કરીશ.’”
૧૩
પછી દાઉદે નાથાન સમક્ષ કબૂલ્યું કે, “મેં ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું છે.” નાથાને દાઉદને જવાબ આપ્યો કે, “ઈશ્વરે તારું પાપ માફ કર્યું છે. તું માર્યો જઈશ નહિ.
૧૪
¶ તોપણ આ કૃત્ય કરીને તેં ઈશ્વરનાં વૈરીઓને નિંદાનું કારણ આપ્યું છે, માટે જે સંતાન તારે ત્યાં જનમશે તે નિશ્ચે મરી જશે.”
Settings