2 રાજઓ ૪:૩૮-૪૪
૩૮
¶ એલિશા ફરી ગિલ્ગાલ આવ્યો. તે સમયે તે દેશમાં દુકાળ હતો. અને પ્રબોધકોના દીકરાઓ તેની આગળ બેઠા હતા. ત્યારે તેણે પોતાના ચાકરને કહ્યું, “એક મોટું તપેલું અગ્નિ પર ચઢાવીને પ્રબોધકોના દીકરાઓ માટે રસાવાળું શાક બનાવ.”
૩૯
તેઓમાંથી એક જણ ખેતરમાં શાકભાજી લેવા માટે ગયો. તેણે એક જંગલી દ્રાક્ષવેલો જોયો, તે પરથી તેણે દૂધી તોડીને પોતાના ઝભ્ભામાં ખોળો ભરીને દૂધી ભેગી કરી. તેઓએ તેને કાપીને તે રસાવાળા શાકમાં નાખી. જો કે તેઓ તે જંગલી કડવી દૂધીને ઓળખતા નહોતા.
૪૦
¶ પછી તેઓએ તે માણસોને ખાવા માટે શાક પીરસ્યું. પછી, જેવું તેઓએ તે ખાધું તે સાથે જ તેઓએ બૂમ પાડીને કહ્યું, “હે ઈશ્વરભક્ત, આ તપેલામાં તો મોત છે!” અને તેઓ તે ખાઈ શકયા નહિ.
૪૧
પણ એલિશાએ કહ્યું, “તો થોડો લોટ લાવો.” તે લોટ તેણે તપેલામાં નાખ્યો અને કહ્યું, “હવે લોકોને ખાવાનું શાક પીરસો કે જેથી તેઓ ખાય.” અને હવે તપેલામાં કશું નુકસાનકારક રહ્યું ન હતું.
૪૨
¶ બાલ-શાલીશાથી એક માણસ ઈશ્વરભક્ત પાસે પ્રથમ ફળનું અન્ન, જવમાંથી બનાવેલી વીસ રોટલી અને ભરેલા દાણાવાળાં તાજા કણસલાં પોતાના થેલીમાં લઈને આવ્યો. એલિશાએ કહ્યું, “આ લોકોને આપો કે તેઓ ખાય.”
૪૩
તેના ચાકરે કહ્યું, “શું, હું આ સો માણસોની આગળ મૂકું?” પણ એલિશાએ કહ્યું, “તું આ લોકોને આપ કે તેઓ ખાય, કેમ કે યહોવાહ એવું કહે છે, ‘તેઓ ખાશે તોપણ તેમાંથી વધશે.’”
૪૪
માટે તેના ચાકરે તેઓની આગળ મૂક્યું; યહોવાહના વચન પ્રમાણે તેઓએ ખાધું. તે ઉપરાંત તેમાંથી થોડું વધ્યું પણ ખરું.
Settings