2 રાજઓ ૧૦:૧૫-૨૭
૧૫
¶ જ્યારે યેહૂ ત્યાંથી વિદાય થયો, ત્યારે તેને મળવા આવતા રેખાબના દીકરા યહોનાદાબને તે મળ્યો. યેહૂએ તેને સલામ કરીને તેને કહ્યું, “જેમ મારું હૃદય તારા પ્રત્યે શુદ્ધ છે તેમ શું તારું હૃદય મારા પ્રત્યે શુદ્ધ છે?” યહોનાદાબે કહ્યું, “હા છે.” પછી યેહૂએ કહ્યું, “જો તેમ છે તો તારો હાથ મને આપ.” અને યહોનાદાબે તેને પોતાનો હાથ આપ્યો યેહૂએ તેને પોતાની પાસે રથમાં ખેંચી લીધો.
૧૬
યેહૂએ કહ્યું, “તું મારી સાથે આવ અને યહોવાહ પ્રત્યેની મારી આવેશ જો.” એમ તેણે યહોનાદાબને પોતાની સાથે રથમાં બેસાડી દીધો.
૧૭
સમરુનમાં આવીને યેહૂએ આહાબના કુટુંબનાં બાકી રહેલાઓને મારી નાખ્યા, જે પ્રમાણે યહોવાહનું વચન તેમની આગળ એલિયાએ કહ્યું હતું તે પ્રમાણે તેણે આહાબના રાજપુત્રોનો નાશ કર્યો.
૧૮
¶ પછી યેહૂએ બધા લોકોને એકસાથે ભેગા કરીને કહ્યું, “આહાબે તો બઆલની થોડી સેવા કરી હતી, પણ યેહૂ તેની વધારે સેવા કરશે.
૧૯
માટે હવે બઆલના તમામ પ્રબોધકો, યાજકો અને ભક્તોને મારી પાસે બોલાવો. એક પણ વ્યક્તિ બાકી રહેવી જોઈએ નહિ, કેમ કે, મારે બઆલને માટે મોટો યજ્ઞ કરવાનો છે. જે કોઈ નહિ આવે તે જીવતો રહેવા પામશે નહિ.” જોકે યેહૂએ બઆલના સેવકોને મારી નાખવાના હેતુથી પક્કાઈથી આ કાવતરું કર્યું હતું.
૨૦
યેહૂએ કહ્યું. “બઆલને માટે એક પવિત્ર મેળો ભરો, તેના માટે દિવસ નક્કી કરો.” માટે તેઓએ તેનો ઢંઢેરો પિટાવ્યો.
૨૧
¶ પછી યેહૂએ સમગ્ર ઇઝરાયલમાં સંદેશાવાહકો મોકલ્યા. બઆલના બધા જ સેવકો આવ્યા, એક પણ માણસ આવ્યા વગર રહ્યો નહિ. તેઓ બઆલના મંદિરમાં આવ્યા, મંદિર એક છેડાથી તે બીજા છેડા સુધી ભરાઈ ગયું.
૨૨
પછી યેહૂએ યાજકનો વસ્ત્રભંડાર સંભાળનાર માણસને કહ્યું, “બઆલના બધા ભક્તો માટે ઝભ્ભા કાઢી લાવ.” એટલે તે માણસ તેઓને માટે ઝભ્ભા કાઢી લાવ્યો.
૨૩
¶ પછી યેહૂ અને રેખાબનો દીકરો યહોનાદાબ બઆલના મંદિરમાં ગયા. તેણે બઆલના ભક્તોને કહ્યું, “બરાબર શોધ કરો અને જુઓ કે અહીં યહોવાહના સેવકોમાંનો કોઈ તમારી સાથે હોય નહિ, પણ ફક્ત બઆલના સેવકો જ હોય.”
૨૪
પછી તેઓ યજ્ઞો અને દહનીયાર્પણો ચઢાવવા અંદર ગયા. હવે યેહૂએ એંશી માણસોને બહાર ઊભા રાખ્યા હતા તેઓને કહ્યું હતું કે, “જે માણસોને હું તમારા હાથમાં લાવી આપું, તેઓમાંનો જો કોઈ નાસી જશે તો તેના જીવને બદલે તમારો જીવ લેવાશે.”
૨૫
¶ યેહૂ દહનીયાર્પણ ચઢાવી રહ્યો પછી તરત જ તેણે રક્ષકોને તથા સરદારોને કહ્યું, “અંદર જઈને તેઓને મારી નાખો. કોઈને બહાર આવવા દેશો નહિ.” તેઓએ તેઓને તલવારની ધારથી મારી નાખ્યા. રક્ષકો અને સરદારો તેઓને બહાર ફેંકી દઈને બઆલના મંદિરના અંદરનાં ઓરડામાં ગયા.
૨૬
બઆલના મંદિરમાં અશેરા દેવીની જે મૂર્તિ હતી તેને તેઓએ ત્યાંથી હઠાવી દઈને બાળી નાખી.
૨૭
તેઓએ બઆલના સ્તંભને તોડી નાખ્યો. અને બઆલના મંદિરનો નાશ કરીને તે જગ્યાને સંડાસ બનાવી દીધી. જે આજ સુધી છે.
Settings