2 કાળવ્રત્તાંત ૩૫:૯-૧૯
૯
કોનાન્યાએ તથા તેના ભાઈઓએ, એટલે શમાયા તથા નથાનએલે અને લેવીઓના આગેવાનો હશાબ્યા, યેઈએલ તથા યોઝાબાદે લેવીઓને પાસ્ખાર્પણને માટે પાંચ હાજર ઘેટાંબકરાં તથા પાંચસો બળદો આપ્યાં.
૧૦
¶ એમ પાસ્ખાવિધિ સેવાની પૂર્વ વ્યવસ્થા પૂરી થઈ અને રાજાની આજ્ઞા પ્રમાણે યાજકો પોતાને સ્થાને અને લેવીઓ પણ પોતપોતાનાં વર્ગો પ્રમાણે નિયત સ્થાને ઊભા રહ્યા.
૧૧
તેઓએ પાસ્ખાનાં પશુઓને કાપ્યાં અને યાજકોએ તેઓના હાથમાંથી તેમનું લોહી લઈને છાટ્યું અને લેવીઓએ તે પશુઓનાં ચર્મ ઉતાર્યાં.
૧૨
મૂસાના પુસ્તકમાં લખ્યા પ્રમાણે ઈશ્વરને ચઢાવવા સારુ, લોકોનાં કુટુંબોના વિભાગો પ્રમાણે તેઓને આપવા માટે તેઓએ દહનીયાર્પણોને અલગ કર્યાં. બળદોનું પણ તેઓએ એમ જ કર્યું.
૧૩
¶ તેઓએ પાસ્ખાનાં હલવાનો અગ્નિમાં શેક્યાં. તેઓ પવિત્ર અર્પણોને તપેલાંમાં, કઢાઈઓ તથા તાવડાઓમાં બાફીને, તેમને લોકોની પાસે ઉતાવળે લઈ ગયા.
૧૪
પછી તેઓએ પોતાને માટે તેમ જ યાજકોને માટે તૈયાર કર્યું, કેમ કે યાજકો જે હારુનના વંશજો હતા તેઓ આખીરાત દહનીયાર્પણ તથા મેંદાર્પણ કરવામાં ખૂબ વ્યસ્ત હતા, તેથી લેવીઓએ પોતાને સારુ તથા યાજકો જે હારુનના વંશજો હતા તેઓને સારુ પાસ્ખા તૈયાર કર્યું.
૧૫
¶ દાઉદ, આસાફ, હેમાન તથા રાજાના પ્રબોધકો યદૂથૂનની આજ્ઞા પ્રમાણે આસાફના વંશજો, એટલે ગાનારાઓ, પોતપોતાની જગ્યાએ ઊભા હતા. દ્વારપાળો દરેક દરવાજે ઊભા હતા; તેઓને પોતાનાં સેવાસ્થાનેથી પાસ્ખા તૈયાર કરવા જવાની જરૂર નહોતી, કારણ કે તેઓના ભાઈ લેવીઓ તેઓને માટે તૈયાર કરતા હતા.
૧૬
¶ તેથી તે સમયે યોશિયા રાજાની આજ્ઞા પ્રમાણે પાસ્ખા પાળવાને લગતી તથા ઈશ્વરની વેદી ઉપર દહનીયાર્પણ ચઢાવવાને લગતી ઈશ્વરની સર્વ સેવા સમાપ્ત થઈ.
૧૭
તે સમયે હાજર રહેલા ઇઝરાયલી લોકોએ પાસ્ખાનું પર્વ તથા બેખમીરી રોટલીનું પર્વ સાત દિવસ સુધી પાળ્યું.
૧૮
¶ શમુએલ પ્રબોધકના સમયથી આજ સુધી ઇઝરાયલમાં તેના જેવું પાસ્ખાપર્વ આ રીતે ઊજવાયું નહોતું. તેમ જ આ જેવું પાસ્ખાપર્વ યોશિયાએ, યાજકોએ, લેવીઓએ, યહૂદિયાના લોકોએ, હાજર રહેલા ઇઝરાયલીઓએ તથા યરુશાલેમના વતનીઓએ પાળ્યું તેવું પાસ્ખાપર્વ ઇઝરાયલના રાજાઓમાંના કોઈએ પણ અગાઉ પાળ્યું નહોતું.
૧૯
યોશિયાના રાજ્યને અઢારમે વર્ષે આ પાસ્ખાપર્વ ઊજવવામાં આવ્યું હતું.
Settings