Skip to content

સભાશિક્ષક

બુદ્ધિમાન પુરુષના જેવો કોણ છે? પ્રત્યેક વાતનો અર્થ કોણ જાણે છે? માણસની બુદ્ધિ તેના ચહેરાને તેજસ્વી કરે છે, અને તેના ચહેરાની કઠોરતા બદલાઈ જાય છે.
હું તને ભલામણ કરું છું કે રાજાની આજ્ઞાનું પાલન કર, વળી ઈશ્વરના સોગનને લક્ષમાં રાખીને તે પાળ.
તેની હજૂરમાંથી બહાર જવાને પ્રયત્ન ન કર, ખરાબ વર્તણૂકને વળગી ન રહે. કેમ કે જે કંઈ તે ચાહે તે તે કરે છે.
કેમ કે રાજાનો હુકમ સર્વોપરી છે, તું શું કરે છે એવો પ્રશ્ન તેને કોણ કરી શકે?
જે કોઈ રાજાની આજ્ઞાનું પાલન કરે છે તેને કોઈ પણ પ્રકારની શિક્ષા થશે નહિ. બુદ્ધિમાન માણસનું અંત:કરણ પ્રસંગ તથા ન્યાય સમજે છે.
કેમ કે દરેક પ્રયોજનને માટે યોગ્ય પ્રસંગ અને ન્યાય હોય છે. કેમ કે માણસને માથે ભારે દુઃખ છે.
માટે ભવિષ્યમાં શું થવાનું છે તેની તેને ખબર નથી. વળી આ પ્રમાણે થશે એવું કોણ કહી શકે?
આત્માને રોકવાની શક્તિ કોઈ માણસમાં હોતી નથી, અને મૃત્યુકાળ ઉપર તેને સત્તા નથી, યુદ્ધમાંથી કોઈ છૂટી શકતું નથી. અને દુષ્ટતા પોતાના ઉપાસકનો બચાવ કરશે નહિ.
આ બધું મેં જોયું છે, અને પૃથ્વી પર જે દરેક કામ થાય છે તેમાં મેં મારું મન લગાડ્યું છે, એવો એક સમય આવે છે કે જેમાં કોઈ માણસ બીજા માણસ પર નુકસાનકારક સત્તા ચલાવે છે.
૧૦
તેથી મેં દુષ્ટોને દફ્નાવેલા જોયા અને ન્યાયીઓને પવિત્રસ્થાનમાંથી લઈ લેવામાં આવ્યા. અને જ્યાં તેમણે દુષ્ટ કામ કર્યા હતાં ત્યાં દફનાવવામાં આવ્યા. લોકોએ નગરમાં તેમને માન આપ્યું.તેનું સ્મરણ નષ્ટ થયું આ પણ વ્યર્થતા છે.
૧૧
તેથી દુષ્ટ કામની વિરુદ્ધ દંડ આપવાની આજ્ઞા જલદીથી અમલમાં મૂકાતી નથી. અને તે માટે લોકોનું હૃદય દુષ્ટ કાર્ય કરવામાં સંપૂર્ણ લાગેલું છે.
૧૨
જો પાપી માણસ સેંકડો વખત દુષ્કર્મ કર્યા પછી પણ દીર્ઘાયુષ્ય ભોગવે છે, છતાં હું જાણું છું કે નિશ્ચે જેઓ ઈશ્વરનો ભય રાખે છે તેઓનું ભલું થશે.
૧૩
પણ દુષ્ટોનું ભલું થશે નહિ. અને તેઓનું આયુષ્ય છાયારૂપ થશે. તે દીર્ઘ થશે નહિ. કેમ કે તેઓ ઈશ્વરનો ડર રાખતા નથી.
૧૪
દુનિયા પર એક એવી વ્યર્થતા છે કે, કેટલાક નેક માણસોને દુષ્ટના કામનાં ફળ પ્રમાણે ફળ મળે છે અને દુષ્ટ માણસોને નેકીવાનોના કામના ફળ મળે છે. મેં કહ્યું આ પણ વ્યર્થતા છે.
૧૫
તેથી મેં તેઓને આનંદ કરવાની ભલામણ કરી, કેમ કે ખાવું-પીવું તથા મોજમઝા કરવી તેના કરતાં માણસને માટે દુનિયા પર કશું શ્રેષ્ઠ નથી; કેમ કે ઈશ્વરે તેને પૃથ્વી ઉપર જે આયુષ્ય આપ્યું છે તેનાં બધા દિવસોની મહેનતનાં ફળમાંથી તેને એટલું જ મળશે.
૧૬
જ્યારે મેં બુદ્ધિ સંપાદન કરવામાં, તથા પૃથ્વી પર થતાં કામો જોવામાં મારું મન લગાડ્યું કેમ કે એવા મનુષ્યો પણ હોય છે કે જેઓની આંખોને દિવસે કે રાત્રે ઊંઘ મળતી નથી,
૧૭
ત્યારે મેં ઈશ્વરનું સઘળું કામ જોયું કે પૃથ્વી પર જે કંઈ કામ થાય છે, તેની માહિતી માણસ મેળવી શકે નહિ. કેમ કે તેની માહિતી મેળવવાને માણસ ગમે તેટલી મહેનત કરે તોપણ તેને તે મળશે નહિ. કદાચ કોઈ બુદ્ધિમાન માણસ હોય તો પણ તે તેની પૂરી શોધ કરી શકશે નહિ.
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options