મુખ્ય સામગ્રી પર જાઓ

પુનર્નિયમ૨૬

પહેલા ફળોનું અર્પણ

અને યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશ વતન તરીકે આપે છે તેમાં તમે આવો અને તેનો વારસો લઈને તેમાં રહો ત્યારે એમ થાય કે,
જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે તે ભૂમિનો પ્રથમ પાક તમારે લઈને તેને ટોપલીમાં ભરી જે સ્થળ યહોવાહ તમારા ઈશ્વર પોતાનું નામ રાખવા સારું પસંદ કરે ત્યાં લઈ જવો.
અને તે દિવસે ત્યાં જે કોઈ યાજક સેવા કરતો હોય તેની પાસે જઈને કહેવું કે, “આજે હું યહોવાહ તમારા ઈશ્વર સમક્ષ જાહેર કરું છું કે, જે દેશ આપણને આપવાને યહોવાહે આપણા પિતૃઓની આગળ સમ ખાધા હતા તેમાં અમે પહોંચ્યા છીએ.”
પછી યાજક તમારા હાથમાંથી ટોપલી લઈને યહોવાહ તમારા ઈશ્વરની વેદી આગળ નીચે મૂકે.
પછી તમારે યહોવાહ તમારા ઈશ્વર સમક્ષ એમ કહેવું કે, “અમારા પિતા સ્થળાંતર કરીને આવેલ અરામી હતા અને મિસરમાં જઈને રહ્યા. અને તેમના લોકની સંખ્યા થોડી હતી. ત્યાં તેઓ એક મોટી, શક્તિશાળી અને વસ્તીવાળી પ્રજા બન્યા.
પરંતુ મિસરીઓએ અમારી સાથે દુર્વ્યવહાર કરી અમને ગુલામ બનાવી અમારી પાસે સખત મજૂરી કરાવી.
ત્યારે અમે અમારા પિતૃઓના ઈશ્વર યહોવાહને પોકાર કર્યો. તેમણે અમારો સાદ સાંભળ્યો અને અમારી વિપત્તિ, મુશ્કેલીઓ અને અમારા પર થતાં જુલમ પર દ્રષ્ટિ કરી.
અને યહોવાહે પોતાના બળવાન હાથે અદ્ભૂત સામર્થ્યથી તથા તેમના પ્રચંડ બાહુબળથી, ચિહ્ન તથા ચમત્કારોથી અમને મિસરમાંથી બહાર લાવ્યા;
અને અમને આ સ્થળે લાવીને તેમણે અમને દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ આપ્યો.
૧૦
અને હવે, હે યહોવાહ જુઓ જે દેશ તમે અમને આપ્યો છે તેની ઊપજનું પ્રથમ ફળ અમે લાવ્યા છીએ.” અને યહોવાહ તમારા ઈશ્વર સમક્ષ તે મૂકીને તમારે યહોવાહ તમારા ઈશ્વરનું ભજન કરવું;
૧૧
અને જે કંઈ સારું યહોવાહ તમારા ઈશ્વરે તમારા અને ઘરનાંને માટે કર્યુ હોય તે સર્વમાં તમારે તથા લેવીઓએ અને તમારી મધ્યે રહેતા પરદેશીઓએ ભેગા મળીને આનંદોત્સવ કરવો.

ત્રિવાર્ષિક દશાંશ પછીની ઘોષણા

૧૨
ત્રીજું વર્ષ દશાંશનું વર્ષ છે. તેમાં જ્યારે તમે તમારી ઊપજનો દશાંશ આપી ચૂકો પછી તમારે લેવીઓને, પરદેશીઓને, વિધવાઓને અને અનાથોને આપવો જેથી તેઓ તમારી ભાગળોમાં ખાઈને તૃપ્ત થાય.
૧૩
પછી તમારે યહોવાહ તમારા ઈશ્વર સમક્ષ કહેવું કે, ‘અમે અમારા ઘરમાંથી બધી અર્પિત વસ્તુઓ કાઢી છે અને અમે તે વસ્તુઓ લેવીઓને, પરદેશીઓને, વિધવાઓને અને અનાથોને તમારી આજ્ઞા મુજબ આપી છે. અમે તમારી એકપણ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી તેમ જ અમે ભૂલી પણ ગયા નથી.
૧૪
શોકના સમયમાં અમે તેમાંથી કંઈ પણ ખાધું નથી અને અશુદ્ધ થઈને અમે તેમાંથી કંઈ રાખી મૂક્યું નથી. વળી મૂએલાંને સારું તેમાંથી કંઈ આપ્યું નથી; અમે યહોવાહ અમારા ઈશ્વરની વાણી સાંભળીને જે સર્વ આજ્ઞા તમે અમને આપી છે તે પ્રમાણે કર્યું છે.
૧૫
તમે તમારા પવિત્ર રહેઠાણમાંથી એટલે સ્વર્ગમાંથી નીચે જોઈ અને તમારી ઇઝરાયલી પ્રજા તેમ જ અમારા પિતૃઓની આગળ સમ ખાધા હતા તે પ્રમાણે જે ભૂમિ તમે અમને આપી છે એટલે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ આપ્યો છે તેના પર આશીર્વાદ આપો.

કરાર પ્રત્યેની પ્રતિબદ્ધતા અને પરસ્પર પ્રતિજ્ઞાઓ

૧૬
આજે યહોવાહ તમારા ઈશ્વર તમને આ નિયમો અને હુકમો પાળવાની આજ્ઞા કરે છે; માટે તમે તમારા પૂરા હૃદયથી તથા પૂરા જીવથી તેને પાળો તથા અમલમાં મૂકો.
૧૭
તમે આજે યહોવાહને તમારા ઈશ્વર તરીકે સ્વીકાર્યાં છે. તમે તેમના માર્ગમાં ચાલશો તથા તેમના કાયદાઓ, આજ્ઞાઓ અને નિયમો પાળશો અને તેમની વાણી સાંભળશો.
૧૮
અને યહોવાહે તમને જે વચન આપ્યું હતું તે પ્રમાણે તેમણે કબૂલ કર્યું છે કે, તમે તેમના પસંદ કરેલા લોક છો તેથી તમારે તેમની સર્વ આજ્ઞાઓ પાળવી.
૧૯
અને જે દેશજાતિઓને તેમણે ઉત્પન્ન કરી છે તે સર્વના કરતાં તમને મહાન પ્રજા બનાવશે અને તમને માન-પ્રતિષ્ઠા અને આદર પ્રાપ્ત થશે. અને યહોવાહે આપેલા વચન પ્રમાણે તમે યહોવાહ તમારા ઈશ્વરની પવિત્ર પ્રજા થશો.
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options