Skip to content
ગણના ૨૩:૧-૧૨

ગણના ૨૩:૧-૧૨

બલામે બાલાકને કહ્યું, “અહીં મારે માટે સાત વેદીઓ બાંધ અને સાત બળદ તથા સાત ઘેટાં તૈયાર કર.”
જેમ બલામે વિનંતી કરી હતી તેમ બાલાકે કર્યું. બાલાક તથા બલામે દરેક વેદી પર એક બળદ તથા એક ઘેટાંનું બલિદાન ચઢાવ્યું.
બલામે બાલાકને કહ્યું, “તું “તારા દહનીયાર્પણ પાસે ઊભો રહે અને હું જાઉ છું. કદાચ યહોવાહ મને મળવા આવશે. તેઓ જે કંઈ મને કહેશે તે હું તને કહીશ.” પછી તે એક ઉજ્જડ ટેકરી પર ગયો.
ઈશ્વર તેને મળ્યા અને બલામે યહોવાહને કહ્યું, “મેં સાત વેદીઓ બાંધી છે અને દરેક પર એક બળદ અને એક ઘેટાંનું બલિદાન ચઢાવ્યું છે.”
પછી યહોવાહે બલામના મુખમાં વચન મૂક્યું અને કહ્યું, “તું બાલાક પાસે પાછો જા અને તેને કહે.”
બલામ બાલાક પાસે પાછો ગયો. જુઓ તે તથા મોઆબના બધા વડીલો તેના દહનીયાર્પણની પાસે ઊભા હતા.
બલામે ભવિષ્યવાણી બોલીને કહ્યું, “મોઆબનો રાજા પૂર્વના પર્વતોમાંથી એટલે અરામથી બાલાક મને લાવ્યો છે. ‘તેણે કહ્યું, આવ, મારે માટે યાકૂબને શાપ દે.’ ‘આવ, ઇઝરાયલને તુચ્છકાર.’
જેને ઈશ્વર શાપ આપતા નથી તેને હું કેવી રીતે શાપ આપું? યહોવાહ જેને તુચ્છકારતા નથી તેને હું કેવી રીતે તુચ્છકારું?
કેમ કે ખડકોના શિખર પરથી હું તેને જોઈ શકું છું; ટેકરીઓ પરથી હું તેને જોઉં છું. જુઓ, ત્યાં એકલા રહેનારા લોકો છે અને પોતાની જાતને સાધારણ પ્રજા ગણતા નથી.
૧૦
યાકૂબની ધૂળને કોણ ગણી શકે અથવા ઇઝરાયલના ચતુર્થાંશની કોણ ગણતરી કરી શકે? મારું મૃત્યુ ન્યાયી વ્યક્તિના જેવું થાઓ, અને મારા જીવનનો અંત પણ તેના જેવો થાઓ!”
૧૧
બાલાકે બલામને કહ્યું, “આ તેં મારી સાથે શું કર્યું છે? મેં તને મારા દુશ્મનોને શાપ આપવા બોલાવ્યો, પણ જો, તેં તેઓને આશીર્વાદ આપ્યો.”
૧૨
બલામે જવાબ આપીને કહ્યું, “યહોવાહ મારા મુખમાં જે વચન મૂકે તે બોલવાને મારે સંભાળ ન રાખવી?”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options