Skip to content
નહેમ્યા ૯:૨૨-૩૧

નહેમ્યા ૯:૨૨-૩૧

૨૨
તમે તેઓને રાજ્યો તથા પ્રજાઓ આપ્યાં. અને તમે તેઓને આખો દેશ વહેંચી આપ્યો. હેશ્બોનના રાજા સીહોનના તથા બાશાનના રાજા ઓગના દેશમાં તમે તેઓને વતન આપ્યું.
૨૩
વળી તમે તેઓના વંશજોની આકાશના તારાઓની જેમ વૃદ્ધિ કરી અને જે દેશ વિષે તમે તેઓના પૂર્વજોને કહ્યું હતું કે તેઓ તેમાં પ્રવેશ કરીને તેઓની ભૂમિ પ્રાપ્ત કરશે, તેમાં તમે તેઓને વસાવ્યા.
૨૪
એમ તે લોકોએ અંદર પ્રવેશ કરીને તે દેશનો કબજો લીધો, તમે તેઓની સામે તે દેશના રહેવાસીઓ કનાનીઓને પરાજિત કર્યા. તેઓ તેઓની સાથે પોતાની મરજી પ્રમાણે વર્તે તે માટે તેઓને, તેઓના રાજાઓને તથા તે દેશના લોકોને તેઓના હાથમાં સોંપ્યા.
૨૫
તેઓએ કિલ્લાવાળાં નગરો તથા રસાળ ભૂમિવાળા પ્રદેશ લઈ લીધા અને સર્વ ઉત્તમ વસ્તુઓથી ભરપૂર ઘરો, ખોદેલા કૂવા, દ્રાક્ષવાડીઓ, જૈતૂનવાડીઓ તથા પુષ્કળ ફળવૃક્ષો તેઓના કબજામાં આવ્યાં. તેથી આ સર્વ સમૃદ્ધિથી તેઓ સંતુષ્ટ થયા અને તમારી મોટી કૃપાથી તેઓ આનંદ પામ્યા.
૨૬
તોપણ તેઓ તમને આધીન રહ્યા નહિ અને તમારી વિરુદ્ધ તેઓએ બંડ કર્યું. તેઓએ તમારા નિયમશાસ્ત્રને પોતાની પીઠ પાછળ ફેંક્યું. જે તમારા પ્રબોધકો તેઓને ફરીથી તમારી તરફ પાછા વળવાને તેઓને ચેતવણી આપતા હતા તેઓને તેમણે મારી નાખ્યા અને ઘણાં ક્રોધજનક કામો કર્યાં.
૨૭
માટે તમે તેઓને તેઓના શત્રુઓના હાથમાં સોંપી દીધા, જેઓએ તેઓને ત્રાસ આપ્યો, તેઓએ પોતાના સંકટ સમયે તમારી આગળ પોકાર કર્યો, ત્યારે તમે આકાશમાંથી સાંભળ્યું અને તમે મહાન દયાળુ હોવાથી તમે તેઓને ઉદ્ધારકો આપ્યા કે, જેઓએ તેઓને દુશ્મનોના હાથમાંથી બચાવ્યા.
૨૮
પણ તેઓનો બચાવ થયો એટલે ફરી તેઓએ તમારી સંમુખ દુરાચાર કર્યો; તે માટે તમે તેઓને તેઓના દુશ્મનોના હાથમાં સોંપી દીધા, જેથી દુશ્મનો તેઓ પર સત્તા ચલાવે. તોપણ જ્યારે તેઓએ પાછા ફરીને તમારી આગળ પોકાર કર્યો, ત્યારે તમે આકાશમાંથી સાંભળીને તેઓ પર દયા વર્ષાવી. તેઓને તમે અવારનવાર શત્રુઓથી છોડાવ્યાં.
૨૯
તમારા નિયમ પ્રમાણે આચરણ કરવાને તમે તેઓને ચેતવણી આપી. પણ તેઓએ ઘમંડ કરીને તમારી આજ્ઞાઓનો અનાદર કર્યો. તમારા હુકમોને જે કોઈ પાળે તેનાથી તેઓને જીવન મળે છે, પરંતુ તેની વિરુદ્ધ વર્તીને તેઓએ પાપ કર્યાં. પોતાની ગરદન અક્કડ રાખીને સાંભળવા ચાહ્યું નહિ.
૩૦
છતાં પણ તમે તેઓ પ્રત્યે ઘણાં વર્ષો સુધી ધીરજ રાખી અને તેઓને તમારા આત્મા દ્વારા તથા તમારા પ્રબોધકો દ્વારા ચેતવણી આપી. પણ તેઓએ સાંભળ્યું નહિ. તેથી તમે તેઓને અન્ય પ્રજાઓના હાથમાં સોંપી દીધા.
૩૧
પરંતુ તમે મહાન, દયાળુ, કૃપાળુ અને કરુણા કરનાર ઈશ્વર હોવાથી તમે તેઓને નષ્ટ કર્યા નહિ કે, તેઓનો ત્યાગ કર્યો નહિ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options