મીખાહ ૬:૯-૧૬
૯
યહોવાહ નગરને બોલાવે છે; જેઓ જ્ઞાની છે તેઓ તમારા નામથી બીશે: “સોટીનું તથા તેનું નિર્માણ કરનારનું સાંભળ.
૧૦
અપ્રામાણિકતાની સંપત્તિ તથા તિરસ્કારપાત્ર ખોટાં માપ દુષ્ટોના ઘરોમાં શું હજુ પણ છે?
૧૧
ખોટા ત્રાજવાં તથા કપટભરેલા કાટલાંની કોથળી રાખનાર માણસને હું કેવી રીતે નિર્દોષ ગણું?
૧૨
તેના ધનવાન માણસો હિંસાખોર હોય છે. તેના રહેવાસીઓ જૂઠું બોલે છે, અને તેમના મુખમાં કપટી જીભ હોય છે.
૧૩
તે માટે મેં તને ભારે ઘા માર્યા છે અને તારાં અપરાધોને લીધે મેં તારો વિનાશ કરી નાખ્યો છે.
૧૪
તું ખાશે પણ તૃપ્ત થશે નહિ; તારામાં કંગાલિયત રહેશે. તું સામાનનો સંગ્રહ કરશે પણ કંઈ બચાવી શકશે નહિ, તું જે કંઈ બચાવશે તે હું તલવારને સ્વાધીન કરીશ.
૧૫
તું વાવશે પણ કાપણી કરી શકશે નહિ, તું જૈતૂનને પીલશે પણ તારા શરીર પર તેલ લગાવવા પામશે નહિ; તું દ્રાક્ષા પીલશે પણ તેનો દ્રાક્ષારસ પીવા પામશે નહિ.
૧૬
ઓમ્રીના વિધિઓનું તથા આહાબના કુટુંબના બધા રીતરિવાજોનું તમે પાલન કર્યું છે. અને તમે તેઓની શિખામણ પ્રમાણે ચાલો છો, તેથી હું તમને ખેદાનમેદાન કરી નાખીશ; તમારા રહેવાસીઓને તિરસ્કારપાત્ર કરી નાખીશ, તમારે મારા લોક હોવાના કટાક્ષ સહન કરવા પડશે.”
Settings