Skip to content
માથ્થી ૧૩:૧-૨૩

માથ્થી ૧૩:૧-૨૩

તે જ દિવસે ઈસુ ઘરમાંથી નીકળીને સમુદ્રને કિનારે બેઠા.
અતિ ઘણાં લોક તેમની પાસે એકઠા થયા, માટે તે હોડી પર ચઢીને બેઠા; અને સર્વ લોક કિનારે ઊભા રહ્યા.
ઈસુએ દ્રષ્ટાંતોમાં તેઓને ઘણી વાતો કહેતાં કહ્યું કે, “જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો.
તે વાવતો હતો ત્યારે કેટલાક બીજ રસ્તાના કિનારે પડ્યાં; એટલે પક્ષીઓ આવીને તે ખાઈ ગયા.
કેટલાક પથ્થરવાળી જમીન પર પડ્યાં, જ્યાં ઘણી માટી ન હતી; તેને માટીનું ઊંડાણ ન હતું માટે તે વહેલાં ઊગી નીકળ્યાં.
પણ જયારે સૂર્ય ઊગ્યો ત્યારે તે ચીમળાઈ ગયા, તેને જડ ન હોવાથી તે સુકાઈ ગયા.
કેટલાક કાંટાનાં ઝાડવામાં પડ્યાં; કાંટાનાં ઝાડવાએ વધીને તેને દબાવી નાખ્યાં.
બીજાં સારી જમીન પર પડ્યાં, તેઓએ ફળ આપ્યાં; કેટલાકે સોગણાં, કેટલાકે સાંઠગણાં, અને કેટલાક ત્રીસગણાં.
જેને સાંભળવાને કાન છે તે સાંભળે.”
૧૦
પછી શિષ્યોએ પાસે આવીને તેમને કહ્યું કે, “તમે તેઓની સાથે દ્રષ્ટાંતોમાં શા માટે બોલો છો?”
૧૧
ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, “સ્વર્ગના રાજ્યના મર્મો જાણવાનું તમને આપેલું છે, પણ તેઓને આપેલું નથી.
૧૨
કેમ કે જેની પાસે સમજ છે તેને અપાશે, અને તેની પાસે પુષ્કળ થશે; પણ જેની પાસે સમજ નથી તેની પાસે જે છે, તે પણ તેની પાસેથી લઈ લેવાશે.
૧૩
એ માટે હું તેઓને દ્રષ્ટાંતોમાં બોલું છું; કેમ કે જોતાં તેઓ જોતાં નથી, સાંભળતાં તેઓ સાંભળતાં નથી, અને સમજતા પણ નથી.
૧૪
યશાયાની ભવિષ્યવાણી તેઓના સંબંધમાં પૂરી થઈ છે, જે કહે છે કે, ‘તમે સાંભળતાં સાંભળશો, પણ સમજશો નહિ; અને જોતાં જોશો, પણ તમને સૂઝશે નહિ.
૧૫
કેમ કે એ લોકોનાં મન જડ થઈ ગયા છે, તેઓના કાન બહેર મારી ગયા છે, તેઓએ પોતાની આંખો બંધ રાખી છે, એમ ન થાય કે, તેઓને આંખે દેખાય, તેઓ કાને સાંભળે, મનથી સમજે, પશ્ચાતાપ કરે અને હું તેઓને સાજાં કરું.’”
૧૬
પણ તમારી આંખો આશીર્વાદિત છે, કેમ કે તેઓ જુએ છે; અને તમારા કાનો આશીર્વાદિત છે, કેમ કે તેઓ સાંભળે છે.
૧૭
હું તમને નિશ્ચે કહું છું કે, તમે જે જે જુઓ છો, તે ઘણાં પ્રબોધકોએ તથા ન્યાયીઓએ જોવા ચાહ્યું, પણ જોયું નહિ; તમે જે જે સાંભળો છો તે સાંભળવા ચાહ્યું, પણ સાંભળ્યું નહિ.
૧૮
હવે વાવનારનું દ્રષ્ટાંત સાંભળો.
૧૯
‘જયારે રાજ્યનું વચન કોઈ સાંભળે છે, પણ સમજતો નથી, ત્યારે શેતાન આવીને તેના મનમાં જે વાવેલું તે છીનવી લઈ જાય છે; રસ્તાની કોરે જે બીજ વાવેલું તે એ જ છે.
૨૦
પથ્થરવાળી જમીન પર જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળીને તરત હર્ષથી તેને સ્વીકારી લે છે;
૨૧
તોપણ તેના પોતામાં જડ નહિ હોવાથી તે થોડી જ વાર ટકે છે, જયારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે, ત્યારે તરત તે પાછા પડે છે.
૨૨
કાંટાનાં જાળાંમાં જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, પણ આ ભૌતિક જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દબાવી નાખે છે, અને તે નિષ્ફળ થઈ જાય છે.
૨૩
સારી જમીન પર જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, સમજે છે, અને તેને નિશ્ચે ફળ લાગે છે, એટલે કોઈને સોગણાં, તો કોઈને સાંઠગણાં, અને કોઈને ત્રીસગણાં લાગે છે.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options