યોહાન ૧૩:૧-૨૦
૧
¶ હવે પાસ્ખાપર્વ અગાઉ પોતાનો આ દુનિયામાંથી પિતાની પાસે જવાનો સમય આવ્યો છે એ જાણીને ઈસુએ દુનિયામાંનાં પોતાના લોક, જેઓનાં ઉપર તેઓ પ્રેમ રાખતા હતા, તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો.
૨
તેઓ જમતા હતા તેવામાં, શેતાને તો અગાઉથી સિમોનના દીકરા યહૂદા ઇશ્કારિયોતના મનમાં તેમને પરસ્વાધીન કરવાનો વિચાર મૂક્યો હતો.
૩
¶ ઈસુએ જાણ્યું કે પિતાએ સઘળી વસ્તુઓ તેમના હાથમાં આપી છે, અને તે ઈશ્વરની પાસેથી આવ્યો છે અને ઈશ્વરની પાસે જાય છે.
૪
ઈસુ ભોજન સ્થળ પરથી ઊભા થયા અને પોતાનો ઝભ્ભો ઉતાર્યો; પછી તેમણે રૂમાલ લઈને પોતાની કમરે બાંધ્યો.
૫
ત્યાર બાદ વાસણમાં પાણી લઈને, શિષ્યોના પગ ધોવા તથા જે રૂમાલ પોતાની કમરે બાંધ્યો હતો તેનાથી લૂંછવા લાગ્યા.
૬
¶ એ પ્રમાણે કરતા કરતા તે સિમોન પિતરની પાસે આવ્યા. ત્યારે સિમોને કહ્યું કે, ‘પ્રભુ, શું તમે મારા પગ ધૂઓ છો?’”
૭
ઈસુએ તેને કહ્યું કે, ‘હું જે કરું છું, તે તું હમણાં જાણતો નથી; પણ હવે પછી તું સમજશે.’”
૮
પિતર તેમને કહે છે કે, ‘હું કદી તમને મારા પગ ધોવા દઈશ નહિ.’ ઈસુએ તેને કહ્યું કે, ‘જો હું તને ન ધોઉં તો મારી સાથે તારે કંઈ લાગભાગ નથી.’”
૯
સિમોન પિતર તેને કહે છે કે, ‘પ્રભુ, એકલા મારા પગ જ નહિ, પણ મારા હાથ તથા મુખ પણ ધૂઓ.’”
૧૦
¶ ઈસુ તેને કહે છે, ‘જેણે સ્નાન કર્યું છે, તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની અગત્ય નથી, તે પૂરો શુદ્ધ છે; તમે શુદ્ધ છો, પણ બધા નહિ.
૧૧
કેમ કે પોતાને પરસ્વાધીન કરનારને જાણતા હતા; માટે તેમણે કહ્યું કે, ‘તમે બધા શુદ્ધ નથી.’”
૧૨
¶ એ પ્રમાણે તેઓના પગ ધોઈ રહ્યા પછી તેમણે પોતાનાં વસ્ત્રો પહેર્યા અને પાછા જમવા બેસીને તેઓને કહ્યું કે, ‘મેં તમને શું કર્યું છે, તે તમે સમજો છો?’”
૧૩
તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો, અને તમે સાચું જ કહો છો, કેમ કે હું એ જ છું.’”
૧૪
એ માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ.
૧૫
કેમ કે જેવું મેં તમને કર્યું, તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમુનો આપ્યો છે.
૧૬
¶ હું તમને નિશ્ચે કહું છું કે, ‘નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી; અને જે મોકલાયેલો છે તે પોતાના મોકલનાર કરતાં મોટો નથી.’”
૧૭
જો તમે એ બાબતો જાણીને તેઓનું અનુકરણ કરો, તો તમે આશીર્વાદિત છો.
૧૮
હું તમારા સઘળાં સંબંધી નથી કહેતો; જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું જાણું છું; એ લખેલું પૂરું થાય માટે એમ થવું જોઈએ ‘પણ જે મારી સાથે રોટલી ખાય છે, તેણે મારી વિરુદ્ધ પોતાની લાત ઉગામી છે.’”
૧૯
¶ એ બીના બન્યા પહેલાં હું તમને કહું છું એ માટે કે, ‘જયારે એ બાબત થાય, ત્યારે તમે વિશ્વાસ કરો, કે હું તે છું.’”
૨૦
નિશ્ચે હું તમને કહું છું કે, ‘જે કોઈને હું મોકલું છું તેનો અંગીકાર જે કરે છે, તે મારો અંગીકાર કરે છે; અને જે મારો અંગીકાર કરે છે તે મને મોકલનારનો અંગીકાર કરે છે.
Settings