યર્મિયા ૪૨:૭-૧૯
૭
¶ દશ દિવસ વીતી ગયા પછી યર્મિયાની પાસે યહોવાહનું વચન આવ્યું.
૮
ત્યારે યર્મિયાએ કારેઆના દીકરા યોહાનાનને, તેની સાથેના સર્વ સૈન્યોના સરદારોને તથા નાનામોટા બધા લોકોને બોલાવ્યા.
૯
અને તેણે તેઓને કહ્યું કે, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહની આગળ પ્રાર્થના તથા નિવેદન કરવા માટે તમે મને મોકલ્યો હતો, એમ યહોવાહ કહે છે;
૧૦
જો તમે આ દેશમાં નિવાસ કરશો તો હું તમને આશીર્વાદ આપીશ અને તોડી પાડીશ નહિ, તમને રોપીશ અને ઉખેડી નાખીશ નહિ, કેમ કે તમારા પર મેં આફત ઉતારી તેનો મને પસ્તાવો થાય છે.
૧૧
¶ યહોવાહ કહે છે કે, બાબિલના રાજાથી તમે બીઓ છો પણ હવે જરાય બીશો નહિ, ‘કેમ કે તમારો બચાવ કરવા તથા તેના હાથમાંથી તમને મુકત કરવા હું તમારી સાથે જ છું.
૧૨
હું તમારા પર એવી દયા કરીશ કે તે તમારા પર દયા કરશે અને તે તમને તમારાં વતનમાં પાછા જવા દેશે.
૧૩
¶ પણ જો તમે કહેશો કે, “અમે આ દેશમાં રહીશું નહિ’ અથવા તમારા ઈશ્વર યહોવાહની વાણી અમાન્ય કરશો,
૧૪
જો તમે એમ કહેશો કે, “ના, અમે તો મિસર જઈશું, ત્યાં અમારે લડાઈ જોવી નહિ પડે કે, રણશિંગડાનો નાદ સાંભળવો નહિ પડે અને ત્યાં અમે ભૂખ્યા રહીશું નહિ. ત્યાં અમે રહીશું.”
૧૫
¶ યહૂદિયાના બાકી રહેલા લોક યહોવાહનું વચન સાંભળો. સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, જો તમે મિસર જવાની વૃત્તિ રાખશો અને ત્યાં જઈને રહેશો તો,
૧૬
જે તલવારથી તમે ડરો છો તે મિસરમાં પણ તમારો પીછો નહિ છોડે, જે દુકાળથી તમે ડરો છો તે મિસરમાં પણ તમારો પીછો પકડશે. અને ત્યાં તમે મરી જશો.
૧૭
તમારામાંથી જે લોકો મિસરમાં જઈને ત્યાં વસવાનો આગ્રહ રાખે છે તે પ્રત્યેક માટે આ વિપત્તિઓ રાહ જોઈ રહી છે. હા, તમે તલવાર, દુકાળ અને મરકીથી મૃત્યુ પામશો. ત્યાં હું તમારા પર જે સર્વ વિપત્તિઓ લાવીશ તેમાંથી કોઈ પણ બચવા પામશે નહિ.
૧૮
¶ કેમ કે સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; જેમ મારો ક્રોધ અને રોષ યરુશાલેમના રહેવાસીઓ પર રેડાયો છે તેમ તમે મિસર જશો ત્યારે મારો ક્રોધ તમારાં પર રેડાશે. અને તમે ધિક્કારરૂપ, વિસ્મયરૂપ શાપરૂપ તથા નિંદારૂપ થશો. અને આ સ્થળને તમે ફરી જોવા પામશો નહિ.’
૧૯
હે યહૂદિયામાં બાકી રહેલા લોકો, તમારા વિષે યહોવાહ કહે છે કે, તમે મિસર જશો નહિ. મેં આજે તમને ચેતવણી આપી છે તેમ નિશ્ચે જાણજો.
Settings