Skip to content
યશાયા ૧:૨૧-૩૧

યશાયા ૧:૨૧-૩૧

૨૧
વિશ્વાસુ નગર કેમ વ્યભિચારી થઈ ગયું છે! તે ઇનસાફથી, ન્યાયપણાથી ભરપૂર હતું, પણ હવે તે ખૂનીઓથી ભરપૂર છે.
૨૨
તારી ચાંદી ભેળસેળવાળી થઈ ગઈ છે, તારો દ્રાક્ષારસ પાણીથી મિશ્રિત થયેલો છે.
૨૩
તારા રાજકર્તાઓ બળવાખોર અને ચોરોના સાથીઓ થયા છે; તેઓમાંના દરેક લાંચના લાલચુ છે અને નજરાણાં પાછળ દોડે છે; તેઓ અનાથનું રક્ષણ કરતા નથી, અને વિધવાઓની ન્યાયી અરજ તેઓ સાંભળતા નથી.
૨૪
તેથી સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના સામર્થ્યવાન પ્રભુ, એવું કહે છે: “તેઓને અફસોસ! હું મારા શત્રુઓ પર વેર વાળીશ અને મારા દુશ્મનોને હું બદલો વાળી આપીશ;
૨૫
તારા પર હું મારો હાથ ઉગામીશ, તારામાંથી ભેળસેળ અને સર્વ અશુદ્ધિઓ દૂર કરીશ.
૨૬
આદિકાળની જેમ હું તારા ન્યાયાધીશોને, અને પૂર્વકાળની જેમ તારા મંત્રીઓને પાછા લાવીશ; ત્યાર પછી તારું નામ ન્યાયી અને વિશ્વાસુ નગર કહેવાશે.”
૨૭
સિયોન ઇનસાફથી, અને પ્રભુ પાસે તેના પાછા ફરનારા ન્યાયીપણાથી ઉદ્ધાર પામશે.
૨૮
પણ બળવાખોરો તથા પાપીઓનો વિનાશ થશે અને યહોવાહથી વિમુખ થનાર નાશ પામશે.
૨૯
“કેમ કે જે એલોન વૃક્ષોને તમે ચાહતા હતા તેને લીધે તમે શરમાશો અને જે બગીચાને તમે પસંદ કર્યા હતા તેઓથી તમે લજ્જિત થશો.
૩૦
જે એલોન વૃક્ષનાં પાંદડાં ખરી પડે છે, અને જે બગીચામાં પાણી નથી, તેના જેવા તમે થશો.
૩૧
વળી જે બળવાન છે તે શણના કચરા જેવો અને તેનું કામ ચિનગારી જેવું થશે; તેઓ બન્ને સાથે બળશે અને તેને હોલવનાર કોઈ મળશે નહિ.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options