હિબ્રૂઓને પત્ર ૧૦:૧-૧૮
૧
¶ કેમ કે જે સારી વસ્તુઓ થવાની હતી તેની પ્રતિછાયા નિયમશાસ્ત્રમાં છે ખરી, પણ તે વસ્તુઓની ખરી પ્રતિમા તેમાં નહોતી, માટે જે બલિદાનો વર્ષોવર્ષ તેઓ હંમેશા કરતા હતા તેથી તેઓથી ત્યાં આવનારાઓને પરિપૂર્ણ કરવાને નિયમશાસ્ત્ર કદી સમર્થ નહોતું.
૨
જો એમ હોત, તો બલિદાનો કરવાનું શું બંધ ન થાત? કેમ કે એક વખત પવિત્ર થયા પછી ભજન કરનારાઓનાં અંતઃકરણમાં ફરી પાપોની કંઈ અંતઃવાસના થાત નહિ.
૩
પણ તે બલિદાનોથી વર્ષોવર્ષ પાપોનું ફરીથી સ્મરણ થયા કરે છે.
૪
કેમ કે ગોધાઓનું તથા બકરાઓનું લોહી પાપો દૂર કરવાને સમર્થ નથી.
૫
¶ એ માટે દુનિયામાં આવતાં જ તે કહે છે, ‘તમે બલિદાન તથા અર્પણની ઇચ્છા રાખી નહિ, પણ મારે માટે તમે શરીર તૈયાર કર્યું છે.
૬
દહનાર્પણ તથા પાપાર્થાર્પણથી તમે પ્રસન્ન થતાં ન હતા.
૭
ત્યારે મેં કહ્યું કે, ‘ઓ ઈશ્વર, જુઓ, શાસ્ત્રના પુસ્તકમાં મારા સંબંધી લખ્યું છે, તમારી ઇચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો છું.
૮
¶ ઉપર જયારે તેમણે કહ્યું કે, ‘બલિદાનો, અર્પણો, દહનાર્પણો, પાપાર્થાર્પણો જે નિયમશાસ્ત્ર પ્રમાણે કરાય છે તેઓની ઇચ્છા રાખી નહિ અને તેઓથી તમે પ્રસન્ન થતાં ન હતા.
૯
ત્યારે તેમણે કહ્યું કે, ‘જો, તમારી ઇચ્છા પૂર્ણ કરવાને હું આવું છું;’ બીજાને સ્થાપવા સારુ પહેલાને તે રદ કરે છે.
૧૦
તે ઇચ્છા વડે ઈસુ ખ્રિસ્તનું શરીર એક જ વખત અર્પણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે.
૧૧
¶ દરેક યાજક નિત્ય સેવા કરતાં તથા એ ને એ જ બલિદાનો વારંવાર આપતા ઊભો રહે છે, પરંતુ એ બલિદાનો પાપોને દૂર કરવાને કદાપિ સક્ષમ નથી.
૧૨
પણ ખ્રિસ્ત તો, પાપોને કાજે એક બલિદાન સદાકાળને માટે આપીને, ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે.
૧૩
હવે પછી તેમના વૈરીઓને તેમના પગ નીચે કચડવામાં આવે ત્યાં સુધી તે રાહ જુએ છે.
૧૪
કેમ કે જેઓ પવિત્ર કરાય છે તેઓને તેમણે એક જે અર્પણથી સદાકાળને માટે પરિપૂર્ણ કરી દીધાં છે.
૧૫
¶ પવિત્ર આત્મા પણ આપણને સાક્ષી આપે છે, કેમ કે તેમણે કહ્યું હતું કે,
૧૬
‘તે દિવસોમાં જે કરાર હું તેઓની સાથે કરીશ તે એ જ છે કે, હું મારા નિયમો તેઓના હૃદયપટ પર લખીશ અને તેઓના મનમાં મૂકીશ, એમ પ્રભુ કહે છે.’”
૧૭
¶ પછી તે કહે છે કે, ‘તેઓનાં પાપ તથા તેઓના અન્યાયને હું ફરી યાદ કરીશ નહિ.’”
૧૮
¶ હવે જ્યાં તેઓના પાપ માફ થયા છે, ત્યાં ફરી પાપને સારુ બીજા અર્પણની જરૂરિયાત નથી.
Settings