Skip to content
ઊત્પત્તિ ૪૧:૩૭-૫૭

ઊત્પત્તિ ૪૧:૩૭-૫૭

૩૭
આ વાત ફારુનને તથા તેના સર્વ દાસોને સારી લાગી.
૩૮
ફારુને પોતાના દાસોને કહ્યું, “જેનામાં ઈશ્વરનો આત્મા હોય, એવો આના જેવો અન્ય કોઈ માણસ આપણને મળે ખરો?”
૩૯
તેથી ફારુને યૂસફને કહ્યું, “ઈશ્વરે આ સર્વ તને બતાવ્યું છે, તે જોતાં તારા જેવો બુદ્ધિમાન તથા જ્ઞાની બીજો કોઈ જણાતો નથી.
૪૦
તું મારા રાજ્યનો ઉપરી થા. મારા સર્વ લોકો તારી આજ્ઞા પ્રમાણે ચાલશે. રાજ્યાસન પર હું એકલો જ તારા કરતાં મોટો હોઈશ.”
૪૧
ફારુને યૂસફને કહ્યું, “આજથી હું તને આખા મિસર દેશના મુખ્ય અધિકારી તરીકે નિયુક્ત કરું છું.”
૪૨
ફારુને પોતાની મુદ્રાવાળી વીંટી અધિકારના પ્રતિક તરીકે યૂસફની આંગળીએ પહેરાવી. તેને શણનાં વસ્ત્રો અને સોનાનો હાર પહેરાવ્યો.
૪૩
તેને બીજા દરજ્જાના રથમાં બેસાડ્યો અને લોકો તેની આગળ “ઘૂંટણ ટેકવો” એમ પોકારો પાડતા. ફારુને તેને આખા મિસર દેશનો ઉપરી નિયુક્ત કર્યો.
૪૪
ફારુને યૂસફને કહ્યું, “હું ફારુન છું અને મિસરના આખા દેશમાં તારો સંપૂર્ણ અધિકાર રહેશે.”
૪૫
ફારુને યૂસફનું નામ “સાફનાથ-પાનેઆ” પાડ્યું. ઓનના યાજક પોટીફારની પુત્રી આસનાથ સાથે તેનાં લગ્ન કરાવ્યાં. યૂસફ આખા મિસર દેશમાં સન્માન પામ્યો.
૪૬
યૂસફ મિસરના રાજા ફારુનની સમક્ષ દેશનો અધિપતિ થયો, ત્યારે તે ત્રીસ વર્ષનો હતો. તેણે આખા મિસર દેશમાં ફરીને માહિતી મેળવી.
૪૭
પુષ્કળતાનાં સાત વર્ષમાં જમીનમાંથી પુષ્કળ અનાજ પાક્યું.
૪૮
મિસર દેશમાં એ સાત વર્ષ દરમિયાન ઉપજેલું સઘળું અનાજ તેણે એકઠું કર્યું. તે અનાજ નગરોમાં ભરી રાખ્યું. દરેક નગરની આસપાસ જે ખેતરો હતાં તેઓનું અનાજ તેણે તે જ નગરમાં ભેગું કર્યું.
૪૯
યૂસફે સમુદ્રની રેતી જેટલાં અનાજનો સંગ્રહ કર્યો. એટલું બધું અનાજ એકત્ર થયું કે તેનો તેણે હિસાબ રાખવાનું પણ મૂકી દીધું.
૫૦
દુકાળનાં વર્ષો આવ્યાં તે અગાઉ યૂસફને બે દીકરા થયા, જે આસનાથ, ઓનના યાજક પોટીફારની દીકરીથી જન્મ્યા.
૫૧
યૂસફે પોતાના જ્યેષ્ઠ દીકરાનું નામ મનાશ્શા પાડ્યું, કેમ કે તેણે કહ્યું, “ઈશ્વરે મારાં સર્વ કષ્ટ તથા મારા પિતાના ઘરનું સર્વ મને વીસરાવી દીધું છે.”
૫૨
બીજા દીકરાનું નામ તેણે એફ્રાઇમ પાડ્યું, કેમ કે તેણે કહ્યું, “મારા દુઃખના દેશમાં ઈશ્વરે મને સફળ કર્યો છે.”
૫૩
મિસર દેશમાં ભરપૂરીપણાનાં જે સાત વર્ષ આવ્યાં હતાં તે વિતી ગયાં.
૫૪
યૂસફના કહ્યા પ્રમાણે, દુકાળનાં સાત વર્ષ શરૂ થયાં. દુકાળ સર્વ દેશોમાં વ્યાપેલો હતો, પણ આખા મિસર દેશમાં અન્નના ભંડાર ભરેલા હતા.
૫૫
જયારે આખો મિસર દેશ ભૂખે મરવા લાગ્યો, ત્યારે લોકોએ ફારુનની આગળ અનાજને માટે કાલાવાલા કર્યા. ફારુને સર્વ મિસરીઓને કહ્યું, “યૂસફની પાસે જાઓ અને તે તમને જે કહે તે કરો.”
૫૬
પછી યૂસફે સર્વ કોઠારો ઉઘાડીને મિસરીઓને અનાજ વેચાતું આપ્યું. જો કે મિસર દેશમાં તે દુકાળ બહુ વિકટ હતો.
૫૭
સર્વ દેશોના લોકો મિસર દેશમાં યૂસફની પાસે અનાજ વેચાતું લેવાને આવ્યા, કેમ કે આખી પૃથ્વી પર સખત દુકાળ હતો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options