Skip to content
ગલાતીઓને પત્ર ૪:૨૧-૩૦

ગલાતીઓને પત્ર ૪:૨૧-૩૦

૨૧
નિયમશાસ્ત્રને આધીન રહેવાની ઇચ્છા રાખનારાઓ, મને કહો કે, શું તમે નિયમશાસ્ત્ર સાંભળતાં નથી?
૨૨
કેમ કે એમ લખેલું છે કે, ઇબ્રાહિમને બે દીકરા હતા, એક દાસી દ્વારા જન્મેલો અને બીજો પત્ની દ્વારા જન્મેલો.
૨૩
જે દાસીનો તે મનુષ્યદેહ પ્રમાણે જન્મેલો હતો અને જે પત્નીનો તે વચન પ્રમાણે જન્મેલો હતો.
૨૪
તેઓ તો નમૂનારૂપ છે કેમ કે તે સ્ત્રીઓ જાણે બે કરારો છે; એક તો સિનાઈ પહાડ પરનો, કે જે દાસત્વને જન્મ આપે છે અને તે તો હાગાર દાસી છે.
૨૫
હવે હાગાર તો જાણે અરબસ્તાનમાંનો સિનાઈ પહાડ છે, તે હાલનાં યરુશાલેમને લાગુ પડે છે, કેમ કે તે પોતાનાં સંતાનો સાથે દાસત્વમાં છે.
૨૬
પણ ઉપરનું યરુશાલેમ સ્વતંત્ર છે, તે આપણી માતા છે;
૨૭
કેમ કે લખેલું છે કે, ‘હે નિ:સંતાન, સ્ત્રી તું આનંદ કર; જેને પ્રસૂતિની પીડા થતી નથી, તે તું હર્ષનાદ કર; કેમ કે જેને પતિ છે તેના કરતાં એકલી મુકાયેલી સ્ત્રીનાં સંતાન વધારે છે.’”
૨૮
હવે, હે ભાઈઓ, આપણે ઇસહાકની જેમ વચનનાં સંતાનો છીએ.
૨૯
પણ તે સમયે જેમ દેહથી જન્મેલાંએ આત્માથી જન્મેલાંને સતાવ્યો; તેવું અત્યારે પણ ચાલે છે.
૩૦
પણ શાસ્ત્રવચન શું કહે છે? ‘દાસીને તથા તેના દીકરાને કાઢી મૂક, કેમ કે દાસીનો દીકરો પત્નીના દીકરા સાથે વારસ બનશે નહિ.’”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options