Skip to content
નિર્ગમન ૨૧:૧૮-૩૬

નિર્ગમન ૨૧:૧૮-૩૬

૧૮
અને જો કોઈ બે માણસો એક બીજા સાથે ઝઘડો કરતા હોય, અને તેમાંનો એક જણ બીજાને પથ્થરથી કે મુઠ્ઠીથી એવો મારે કે તે મરી ન જાય પરંતુ પથારીવશ થાય.
૧૯
પછી જ્યારે તે સાજો થઈને લાકડી લઈને હરતો-ફરતો થઈ જાય, તો જે માણસે તેને માર્યો હોય તે છૂટી જાય ખરો, પરંતુ તેણે પેલા માણસને સમય અને કામની નુકસાની ભરપાઈ કરવી અને સંપૂર્ણ સાજો થાય ત્યાં સુધીની સારવારની તથા અન્ય જવાબદારી મારનારની રહે.
૨૦
અને જો કોઈ માણસ પોતાના ગુલામ કે દાસીને લાકડી વડે મારે અને તેનું મૃત્યુ થાય, તો મારનાર ગુનેગાર ગણાય અને સજાપાત્ર બને.
૨૧
પરંતુ જો તે ગુલામ કે દાસી એક કે બે દિવસ જીવતું રહે, તો તેના માલિકને સજા થાય નહિ. કારણ એ ગુલામ કે દાસી તેની પોતાની સંપત છે.
૨૨
જો કોઈ માણસો લડતા-ઝઘડતા હોય ત્યારે તેમાંનો કોઈ ગર્ભવતી સ્ત્રીને ઈજા પહોંચાડે અને તે સ્ત્રી તેના બાળકને પૂરા સમય પહેલાં જન્મ આપે પણ ગંભીર ઈજા ના થાય તો તે સ્ત્રીનો પતિ માગે તેટલો દંડ ન્યાયાધીશના ચુકાદા પ્રમાણે ઈજા પહોંચાડનારે આપવો.
૨૩
પણ જો ઈજા પછી બીજું કંઈ નુકસાન થાય, તો તેની શિક્ષા જીવને બદલે જીવ.
૨૪
આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ, પગને બદલે પગ.
૨૫
દઝાડવાને બદલે દઝાડવું, ઘાને બદલે ઘા, ચીરાના બદલે ચીરો એ પ્રમાણે બદલો લેવો.
૨૬
અને જો કોઈ માણસ પોતાના ગુલામ કે દાસીને આંખ પર મારીને તેને ફોડી નાખે, તો તેણે આંખની નુકસાનીના બદલામાં તેઓને છૂટાં કરી દેવાં.
૨૭
અને જો તે પોતાના ગુલામનો કે દાસીનો દાંત તોડી નાખે, તો તેના દાંતની નુકસાનીના બદલામાં તેઓને મુક્ત કરી દેવા.
૨૮
વળી જો કોઈ બળદ સ્ત્રી કે પુરુષને શિંગડું મારે, તેથી તેનું મૃત્યુ થાય, તો તે બળદને પથ્થરા મારીને મારી નાખવો. અને તેનું માંસ ખાવું નહિ, બળદનો માલિક ગુનેગાર ગણાય નહિ.
૨૯
પણ જો તે બળદને પહેલેથી જ શિંગડું મારવાની ટેવ હોય અને તે વિષે તેનો માલિક જાણતો હોય, તેમ છતાં તેણે તેને કાબૂમાં રાખ્યો ના હોય અને તે બળદ કોઈ પુરુષ કે સ્ત્રીને મારી નાખે, તો તે બળદને પથ્થરો મારીને મારી નાખવો અને તેના માલિકને પણ મોતની સજા કરવી.
૩૦
પરંતુ મૃત્યુની સજાને બદલે જો તેનો દંડ કરવામાં આવ્યો હોય, તો બળદના જીવના બદલામાં જે કાંઈ મૂલ્ય ઠરાવવામાં આવે તે તેણે ચૂકવવું.
૩૧
અને જો બળદે કોઈના પુત્ર કે પુત્રીને શિંગડું માર્યું હોય, તો પણ આ જ કાનૂન લાગુ પડે.
૩૨
જો એ બળદ કોઈ ગુલામ કે દાસીને શિંગડું મારે તો તેના માલિકે ગુલામ કે દાસીને ત્રીસ તોલા ચાંદી આપવી અને બળદને પથ્થરો મારીને મારી નાખવો.
૩૩
જો કોઈ માણસ ખાડો ખોદે અને તેને ઢાંકે નહિ અને જો તેમાં કોઈનો બળદ કે કોઈનું ગધેડું પડે,
૩૪
તો ખાડાના ખોદનારે નુકસાન ભરપાઈ કરવું. તેણે એ પશુના માલિકને તેની કિંમત જેટલાં નાણાં ભરપાઈ કરવાં. અને મરેલું પશુ પોતે લઈ જવું.
૩૫
અને જો કોઈ માણસનો બળદ બીજાના બળદને શિંગડું મારે અને તે મરી જાય, તો તે બન્ને જીવતા બળદને વેચી નાખે અને તેની કિંમત વહેંચી લે તથા મરેલું પશુ પણ વહેંચી લે.
૩૬
અથવા બળદના માલિકને જો પહેલેથી જ ખબર હોય કે એ બળદને કેટલાક સમયથી મારવાની ટેવ છે અને એના માલિકે એને કાબૂમાં રાખ્યો ન હોય, તો તેનું નુકસાન ભરપાઈ કરી આપવું. બળદને બદલે બળદ આપવો, અને એ મૃત પશુ પણ તેનું થાય.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options