Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૯:૧-૨૨

પ્રેરિતોનાં ક્રત્યો ૯:૧-૨૨

શાઉલ હજુ સુધી પ્રભુના શિષ્યોને મારી નાખવાની ધમકીઓ આપતો હતો. પ્રમુખ યાજકની પાસે જઈને
તેણે તેની પાસેથી દમસ્કસમાંનાં સભાસ્થાનો પર પત્રો માગ્યા કે જો તેને એ માર્ગનો કોઈ પુરુષ કે સ્ત્રી મળે, તો તે તેઓને બાંધીને યરુશાલેમ લઈ આવે.
મુસાફરી કરતાં તે દમસ્કસ નજીક પહોંચ્યો; ત્યારે એવું બન્યું કે એકાએક તેની આસપાસ સ્વર્ગમાંથી અજવાળું પ્રગટ્યું.
તે જમીન પર પડી ગયો, અને તેની સાથે વાત કરતી એક વાણી તેણે સાંભળી કે, શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે?
ત્યારે તેણે કહ્યું કે પ્રભુ, તમે કોણ છો? તેમણે કહ્યું કે, હું ઈસુ છું, જેને તું સતાવે છે;
પણ તું ઊઠ, ને શહેરમાં જા, અને તારે શું કરવું તે તને કહેવામાં આવશે.
તેની સાથે ચાલનારાં માણસો સ્તબ્ધ થઈ ગયા, કેમ કે તેઓએ વાણી સાંભળી ખરી, પણ કોઈને જોયા નહિ.
પછી શાઉલ જમીન પરથી ઊઠયો; અને તેની આંખો ખૂલી ત્યારે તે કંઈ જોઈ શકયો નહિ. એટલે તેઓ તેનો હાથ પકડીને તેને દમસ્કસમાં દોરી ગયા.
ત્રણ દિવસ સુધી તે જોઈ શક્યો નહિ; અને તેણે કશું ખાધું કે પીધું નહિ.
૧૦
હવે દમસ્કસમાં અનાન્યા નામે એક શિષ્ય હતો, તેને પ્રભુએ દર્શન દઈને કહ્યું કે, અનાન્યા; ત્યારે તેણે કહ્યું કે, પ્રભુ, હું આ રહ્યો.
૧૧
પ્રભુએ તેને કહ્યું કે, ઊઠીને પાધરા નામના રસ્તામાં જા. અને શાઉલ નામે તાર્સસનાં એક માણસ વિષે યહૂદિયાના ઘરમાં ખબર કાઢ; કેમ કે જો, તે પ્રાર્થના કરે છે;
૧૨
તેણે દર્શનમાં જોયું છે કે, અનાન્યા નામે એક માણસ અંદર આવીને, તે દેખતો થાય માટે તેના પર હાથ મૂકે છે.
૧૩
પણ અનાન્યાએ ઉત્તર આપ્યો કે, પ્રભુ યરુશાલેમમાંના તમારા સંતોને એ માણસે કેટલું બધું દુઃખ દીધું છે એ મેં ઘણાંનાં મોંથી સાંભળ્યું છે;
૧૪
અને જેઓ તમારા નામે પ્રાર્થના કરે છે તેઓ સર્વને બાંધીને લઈ જવા સારુ મુખ્ય યાજકો પાસેથી અહીં પણ તેને અધિકાર મળ્યો છે.
૧૫
પણ પ્રભુએ તેને કહ્યું કે, તું ચાલ્યો જા; કેમ કે વિદેશીઓ, રાજાઓ તથા ઇઝરાયલપુત્રોની આગળ મારું નામ પ્રગટ કરવા સારુ એ મારું પસંદ કરેલું પાત્ર છે.
૧૬
કેમ કે મારા નામને લીધે તેને કેટલું બધું દુઃખ સહન કરવું પડશે, એ હું તેને બતાવીશ.
૧૭
ત્યારે અનાન્યા ચાલ્યો ગયો, અને તેણે ઘરમાં પ્રવેશીને શાઉલ પર હાથ મૂકીને કહ્યું કે, ભાઈ શાઉલ, પ્રભુ, એટલે ઈસુ જે તને માર્ગમાં આવતા દેખાયા, તેમણે તું દેખતો થાય, અને પવિત્ર આત્માથી ભરપૂર થાય માટે મને મોકલ્યો છે.
૧૮
ત્યારે શાઉલની આંખો પરથી તત્કાળ છાલાં જેવું કશું ખરી પડ્યું, અને તે દેખતો થયો, અને ઊઠીને તે બાપ્તિસ્મા પામ્યો;
૧૯
તેણે ભોજન કર્યું એટલે તેને શક્તિ આવી.
૨૦
તેણે તરત જ સભાસ્થાનોમાં ઈસુને પ્રગટ કર્યા કે, તે ઈશ્વરના દીકરા છે.
૨૧
જેઓએ તેનું સાંભળ્યું તેઓ સર્વ વિસ્મય પામીને બોલ્યા કે, જેણે આ નામની પ્રાર્થના કરનારાઓની યરુશાલેમમાં સતાવણી કરી, અને તેઓને બાંધીને મુખ્ય યાજકોની પાસે લઈ જવા માટે જે અહીં આવ્યો છે, તે શું એ નથી?
૨૨
પણ શાઉલમાં વિશેષ શક્તિ આવતી ગઈ. ઈસુ તે જ ખ્રિસ્ત છે એ ઘણી સાબિતીઓ આપીને દમસ્કસમાં રહેનારા યહૂદીઓને તેણે આશ્ચર્ય પમાડ્યું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options