Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૨૭:૩૨-૪૪

પ્રેરિતોનાં ક્રત્યો ૨૭:૩૨-૪૪

૩૨
તેથી સિપાઈઓએ મછવાના દોરડાં કાપી નાખીને તેઓને જવા દીધા.
૩૩
દિવસ ઊગવાનો હતો એટલામાં પાઉલે સર્વને અન્ન ખાવાને વિનંતી કરીને કહ્યું કે, ‘આજ ચૌદ દિવસ થયા રાહ જોતાં જોતાં તમે છેલ્લા ઘણા દિવસથી કંઈ ખાધું નથી.
૩૪
એ માટે હું તમને વિનંતી કરું છું કે, કંઈક ખોરાક લો, કેમ કે એ તમારા રક્ષણને માટે છે; કારણ કે તમારામાંના કોઈના માથાનો એક પણ વાળ ખરવાનો નથી.’”
૩૫
પાઉલે એવું કહીને રોટલી લીધી, અને તે સર્વની આગળ ઈશ્વરની સ્તુતિ કરી, અને તેને ભાંગીને ખાવા લાગ્યો.
૩૬
ત્યારે તેઓ સર્વને હિંમત આવી, અને તેઓએ પણ ભોજન કર્યું.
૩૭
વહાણમાં અમે સર્વ મળીને બસ્સો છોતેર માણસો હતા.
૩૮
બધા ખાઈને તૃપ્ત થયા પછી તેઓએ ઘઉં સમુદ્રમાં નાખી દઈને વહાણને હલકું કર્યું.
૩૯
દિવસ ઊગ્યો ત્યારે તેઓએ તે પ્રદેશ ઓળખ્યો નહિ, પણ (રેતીના) કાંઠાવાળી એક ખાડી દીઠી, અને વહાણને હંકારીને તે (કિનારા) પર પહોંચી શકાશે કે નહિ એ બાબતે તેઓ વિચારવા લાગ્યા.
૪૦
લંગરો છૂટાં કરીને સમુદ્રમાં રહેવા દીધાં, ને તેજ વખતે સુકાનના બંધ છોડીને આગલો સઢ પવન તરફ ચઢાવીને કિનારા તરફ જવા લાગ્યા.
૪૧
વહાણ સમુદ્રમાં રેતીના ઢગલા સાથે અથડાવાથી રેતીમાં ખૂંપી ગયું, અને વહાણનો આગળનો ભાગ રેતીમાં સજ્જડ ભરાઈ ગયો. અને ડબૂસો મોજાના મારથી ભાંગી જવા લાગ્યો.
૪૨
ત્યારે સિપાઈઓએ એવી સલાહ આપી કે તેઓ બંદીવાનોને મારી નાખે કે રખેને તેઓમાંથી કોઈ તરીને નાસી જાય.
૪૩
પણ સૂબેદારે પાઉલને બચાવવાના ઇરાદાથી તેઓને એ સલાહને અમલમાં મૂકતા અટકાવ્યા, અને આજ્ઞા આપી કે, જેઓને તરતા આવડતું હોય તેઓએ દરિયામાં ઝંપલાવીને પહેલાં કિનારે જવું;
૪૪
અને બાકીનામાંથી કેટલાકે પાટિયા પર તથા કેટલાકે વહાણના કંઈ બીજા સામાન પર ટેકીને કિનારે જવું. તેથી એમ થયું કે તેઓ સઘળા સહીસલામત કિનારા પર પહોંચ્યા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options