પ્રેરિતોનાં ક્રત્યો ૧:૧૫-૨૬
૧૫
¶ તે દિવસોમાં પિતરે, આશરે એકસો વીસ વિશ્વાસી લોકોની વચ્ચે ઊભા થઈને કહ્યું કે,
૧૬
ભાઈઓ, જેઓએ ઈસુને પકડ્યા તેઓને દોરનાર યહૂદા વિષે દાઉદના મુખદ્વારા પવિત્ર આત્માએ અગાઉથી જે કહ્યું હતું તે શાસ્ત્રવચન પૂર્ણ થવાની આવશ્યકતા હતી.
૧૭
¶ કેમ કે તે આપણામાંનો એક ગણાયો હતો, અને આ સેવાકાર્યમાં તેને ભાગ મળ્યો હતો.
૧૮
હવે એ માણસે પોતાની દુષ્ટતાના બદલામાં મળેલા દ્રવ્યથી એક ખેતર વેચાતું લીધું. અને પછી પ્રથમ તે ઊંધા મોઢે પટકાયો, વચમાંથી ફાટી ગયો અને તેનાં બધાં આંતરડાં નીકળી પડ્યાં.
૧૯
યરુશાલેમના બધા રહેવાસીઓએ તે જાણ્યું, તેથી તે ખેતરનું નામ તેઓની ભાષામાં હકેલ્દમા, એટલે લોહીનું ખેતર, એવું પાડવામાં આવ્યું.
૨૦
¶ કેમ કે ગીતશાસ્ત્રમાં લખેલું છે કે, “તેની રહેવાની જગ્યા ઉજ્જડ થાઓ; અને તેમાં કોઈ ન વસે,” અને, “તેનું અધ્યક્ષપદ બીજો લે.”
૨૧
¶ માટે યોહાનના બાપ્તિસ્માથી માંડીને પ્રભુ ઈસુને આપણી પાસેથી ઉપર લઈ લેવામાં આવ્યા તે દિવસ સુધી ઈસુએ આપણામાં આવ જા કરી.
૨૨
તે સઘળા સમયોમાં જે માણસો આપણી સાથે ફરતા હતા તેઓમાંથી એક જણે આપણી સાથે ઈસુના મરણોત્થાનના સાક્ષી થવું જોઈએ.
૨૩
ત્યારે યૂસફ જે બર્સબા કહેવાય છે, જેની અટક યુસ્તસ હતી તેને તથા માથ્થિયાસને તેઓએ રજૂ કર્યા.
૨૪
¶ તેઓએ પ્રાર્થના કરી કે, હે અંતર્યામી પ્રભુ,
૨૫
જે સેવાકાર્ય તથા પ્રેરિતપદમાંથી પતિત થઈને યહૂદા પોતાને ઠેકાણે ગયો, તેની જગ્યા પૂરવાને આ બેમાંથી તમે કોને પસંદ કર્યો છે તે અમને બતાવો.
૨૬
પછી તેઓએ તેઓને સારુ ચિઠ્ઠીઓ નાખી. તેમાં માથ્થિયાસના નામની ચિઠ્ઠી નીકળી; પછી અગિયાર પ્રેરિતોની સાથે તે પણ પ્રેરિત તરીકે ગણાયો.
Settings