2 રાજઓ ૮:૧-૬
૧
¶ જે સ્ત્રીના દીકરાને એલિશાએ સજીવન કર્યો હતો તેને તેણે કહ્યું, “ઊઠ, તું તારા કુટુંબનાં માણસોને લઈને ચાલી જા અને બીજા દેશમાં જ્યાં જઈને તારાથી રહેવાય ત્યાં રહે, કેમ કે, યહોવાહે દુકાળનો હુકમ કર્યો છે. દેશમાં સાત વર્ષ સુધી દુકાળ ચાલુ રહેશે.”
૨
તેથી તે સ્ત્રીએ ઊઠીને ઈશ્વરભક્તના કહેવા પ્રમાણે કર્યું. તે તેના કુટુંબનાં માણસોને લઈને ચાલી નીકળી અને જઈને સાત વર્ષ સુધી પલિસ્તીઓના દેશમાં રહી.
૩
¶ સાતમા વર્ષને અંતે તે સ્ત્રી પલિસ્તીઓના દેશમાંથી પાછી આવી. અને પોતાના ઘર અને જમીન માટે રાજા પાસે વિનંતી કરવા ગઈ.
૪
હવે રાજા ઈશ્વરભક્તના ચાકર ગેહઝી સાથે એવી વાત કરતો હતો, “એલિશાએ જે મોટા કામો કર્યાં છે તે કૃપા કરીને મને કહે.”
૫
¶ એલિશાએ મરણ પામેલાં બાળકને કેવી રીતે સજીવન કર્યો હતો, તે વાત ગેહઝી રાજાને કરતો હતો. ત્યારે જે સ્ત્રીના દીકરાને એલિશાએ સજીવન કર્યો હતો તેણે આવીને રાજાને પોતાના ઘર અને જમીન માટે વિનંતી કરી. ગેહઝીએ કહ્યું, “મારા માલિક, રાજા, આ જ તે સ્ત્રી છે અને આ જ તેનો દીકરો છે, તેને એલિશાએ સજીવન કર્યો હતો.”
૬
રાજાએ તે સ્ત્રીને તેના દીકરા વિષે પૂછ્યું, તેણે તેને બધી વાત કહી. તેથી રાજાએ તેના માટે એક ખાસ અધિકારીને આજ્ઞા આપીને કહ્યું, “તેનું જે હતું તે બધું અને તેણે દેશ છોડયો તે દિવસથી આજ સુધીની તેના ખેતરની બધી જ ઊપજ તેને પાછી આપ.”
Settings