Skip to content
2 રાજઓ ૪:૧-૭

2 રાજઓ ૪:૧-૭

હવે પ્રબોધકોના દીકરાઓની પત્નીઓમાંની એક પત્નીએ આવીને એલિશાને આજીજી કરીને કહ્યું, “તમારો સેવક મારો પતિ મરણ પામ્યો છે, તમે જાણો છો કે, તમારો સેવક યહોવાહનો ભય રાખતો હતો. હવે એક લેણદાર મારા બે દીકરાઓને તેના ગુલામ બનાવવા માટે લઈ જવા આવ્યો છે.”
એલિશાએ તેને કહ્યું, “હું તારા માટે શું કરું? મને કહે તારી પાસે ઘરમાં શું છે?” તેણે કહ્યું, “તારી દાસી પાસે વાટકી તેલ સિવાય બીજું કશું જ ઘરમાં નથી.”
ત્યારે એલિશાએ કહ્યું, “તું બહાર જઈને તારા બધા પડોશીઓ પાસેથી ખાલી વાસણો માગી લાવ. બની શકે તેટલાં ઉછીનાં વાસણ માગીને લાવ.
પછી તું તારા દીકરાઓ સાથે ઘરમાં અંદર જઈને બારણું બંધ કરી દે. પછી તારી પાસે જે તેલ છે તેને પેલાં વાસણોમાં રેડ. અને જે જે વાસણ ભરાતું જાય તેને એક પછી એક બાજુએ મૂકતી જા.”
પછી તે સ્રી એલિશા પાસેથી ગઈ અને તેણે તથા તેના દીકરાઓએ ઘરમાં જઈને બારણું બંધ કરી દીધું. તેઓ તેની પાસે વાસણો લાવતા ગયા અને તે વાસણોમાં તેલ રેડતી ગઈ.
જયારે બધાં વાસણો ભરાઈ ગયાં ત્યારે તેણે તેના દીકરાઓને કહ્યું, “મારી પાસે બીજાં વાસણો લાવો.” પણ દીકરાએ કહ્યું, “હવે બીજું એક પણ વાસણ નથી.” એટલે તેલ પડતું બંધ થયું.
પછી તે સ્રીએ આવીને ઈશ્વરભક્તને આ વાત જણાવી. ઈશ્વરભક્તે કહ્યું, “તું જઈને તે તેલ વેચીને તારું દેવું ભરપાઈ કર. જે નાણાં બાકી રહે તેનાથી તું અને તારા દીકરાઓ શાંતિથી ગુજરાન ચલાવો અને જીવો.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options