Skip to content
2 રાજઓ ૧૦:૧-૧૪

2 રાજઓ ૧૦:૧-૧૪

હવે આહાબના સિત્તેર દીકરાઓ સમરુનમાં હતા. યેહૂએ સમરુનમાં યિઝ્રએલના અધિકારીઓ, વડીલો તથા આહાબના દીકરાઓની રક્ષા કરનારાઓ પર પત્રો લખી મોકલીને કહાવ્યું,
“તમારા માલિકના દીકરાઓ તમારી પાસે છે, વળી તમારી પાસે રથો, ઘોડા, કોટવાળું નગર તથા શસ્ત્રો પણ છે.
તમારા માલિકના દીકરાઓમાંથી સૌથી સારા અને શ્રેષ્ઠને પસંદ કરીને તેને તેના પિતાના રાજયાસન પર બેસાડીને તમારા માલિકના ઘરને માટે યુદ્ધ કરજો.”
પણ તેઓએ અતિશય ગભરાઈને કહ્યું, “જુઓ, બે રાજાઓ યેહૂની સામે ટકી ન શકયા, તો પછી આપણે કેમ કરીને ટકી શકીશું?”
આથી ઘરના કારભારીએ, નગરના અમલદારોએ, વડીલોએ તથા દીકરાઓના રક્ષકોએ યેહૂને સંદેશો મોકલ્યો કે, “અમે તમારા ચાકરો છીએ. તમે જે કંઈ કહેશો તે અમે કરીશું. અમે કોઈ માણસને રાજા બનાવીશું નહિ. તમારી દ્રષ્ટિમાં જે સારું લાગે તે કરો.”
પછી યેહૂએ તેઓને બીજો પત્ર લખ્યો અને જણાવ્યું, “જો તમે મારા પક્ષના હો, મારું સાંભળવા તૈયાર હો, તો આવતી કાલે આ સમયે તે માણસોના એટલે તમારા માલિકના દીકરાઓનાં માથાં લઈને યિઝ્રએલમાં મારી પાસે આવજો.” એ સિત્તેર રાજકુમારો નગરના મુખ્ય માણસોની દેખરેખ નીચે હતા, તેઓ રાજકુમારોની સુખાકારી માટે જવાબદાર હતા.
જયારે આ પત્ર તેમને પહોંચ્યો ત્યારે તેમણે રાજાના સિત્તેર રાજકુમારોને મારી નાખ્યા, તેઓના માથાં ટોપલીઓમાં ભરીને યેહૂ પાસે યિઝ્રએલમાં મોકલ્યાં.
સંદેશાવાહકે આવીને યેહૂને ખબર આપી કે, “તેઓ રાજપુત્રોના માથાં લાવ્યા છે.” ત્યારે તેણે કહ્યું, “ભાગળના પ્રવેશદ્વાર આગળ બે ઢગલા કરીને તે માથાં આવતી કાલ સવાર સુધી ત્યાં રાખી મૂકો.”
સવારમાં યેહૂ બહાર આવ્યો. તેણે ઊભા રહીને બધા લોકને કહ્યું, “તમે નિર્દોષ છો. જુઓ, મેં તો મારા માલિકની સામે કાવતરું રચીને તેને મારી નાખ્યો, પણ આ બધા રાજકુમારોને કોણે મારી નાખ્યા?
૧૦
હવે તમારે નિશ્ચે જાણવું કે, યહોવાહ આહાબના કુટુંબ વિષે જે કંઈ બોલ્યા છે, તેમાંથી એક પણ વચન નિષ્ફળ થનાર નથી. કેમ કે યહોવાહ પોતાના સેવક એલિયા દ્વારા જે બોલ્યા હતા તે તેમણે પૂરું કર્યું છે.”
૧૧
યેહૂએ યિઝ્રએલમાં આહાબના કુટુંબનાં બાકી રહેલા સર્વને, તેના સર્વ મુખ્ય માણસોને, નજીકના મિત્રોને તથા તેના યાજકોને કોઈને પણ બાકી રાખ્યા સિવાય સર્વને મારી નાખ્યા.
૧૨
પછી યેહૂ ઊઠીને ચાલ્યો ગયો. તે સમરુનમાં ભરવાડોના કાતરણીના ઘર બેથ એકેદ આગળ આવી પહોંચ્યો,
૧૩
ત્યારે તેને યહૂદિયાના રાજા અહાઝયાહના ભાઈઓ મળ્યા. યેહૂએ તેમને પૂછ્યું, “તમે કોણ છો?” તેમણે જવાબ આપ્યો, “અમે અહાઝયાહના ભાઈઓ છીએ અને અમે રાજપુત્રોને તથા રાણી ઇઝબેલના દીકરાઓને મળવા જઈએ છીએ.”
૧૪
યેહૂએ પોતાના માણસોને કહ્યું, “તેમને જીવતા પકડો.” તેથી તેઓએ તેઓને જીવતા પકડી લીધા અને સર્વ બેતાળીસ માણસોને કાતરણીના બેથ એકેદ કૂવા આગળ મારી નાખ્યા. તેણે તેમાંના એકને પણ જીવતો રહેવા દીધો નહિ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options