1 શમુએલ ૬:૧-૯
૧
¶ ઈશ્વરનો કોશ પલિસ્તીઓના દેશમાં સાત મહિના રહ્યો.
૨
પલિસ્તીઓએ યાજકોને તથા શુકન જોનારાઓને બોલાવીને; તેઓને કહ્યું કે, “ઈશ્વરના કોશનું અમે શું કરીએ? અમે તેને તેની જગ્યાએ કેવી રીતે મોકલીએ એ અમને જણાવો.”
૩
¶ તેઓએ કહ્યું, “જો તમે ઇઝરાયલના ઈશ્વરનો કોશ પાછો મોકલો, તો તેને કશું અર્પણ કર્યા વિના મોકલશો નહિ; નિશ્ચે તેની સાથે દોષાર્થાર્પણ મોકલજો. તો જ તમે સાજા થશો, અને તમને સમજાશે કે તેમનો હાથ અત્યાર સુધી તમારા ઉપરથી કેમ દૂર થયો નથી.”
૪
ત્યારે તેઓએ કહ્યું, “અમે તેમને કેવું દોષાર્થાર્પણ મોકલીએ?” તેઓએ કહ્યું, પલિસ્તીઓના અધિકારીઓની ગણના પ્રમાણે સોનાની પાંચ ગાંઠો, સોનાનાં પાંચ ઉંદરો મોકલો; કેમ કે તમને સર્વને તથા તમારા અધિકારીઓને એક જ જાતનો રોગ લાગ્યો છે.
૫
¶ માટે તમારી ગાંઠોની અને તમારા ઉંદરો જે દેશમાં રંજાડ કરે છે, તેઓની પ્રતિમા બનાવીને ઇઝરાયલનાં ઈશ્વરને મહિમા આપો. કદાચ તે પોતાનો હાથ તમારા ઉપરથી, તમારા દેવો ઉપરથી અને દેશ પરથી ઉઠાવી લે.
૬
મિસરીઓએ અને ફારુને પોતાના હૃદય કઠણ કર્યા તેમ તમે તમારાં અંતઃકરણો કેમ કઠણ કરો છો? તેણે તેઓ મધ્યે અદ્દભૂત કૃત્યો કર્યા અને તેઓએ લોકોને જવા દીધા અને પછી તેઓ ગયા.
૭
¶ તો હવે એક, નવું ગાડું તૈયાર કરો, બે દૂઝણી ગાયો, જેઓ ઉપર કદી ઝૂંસરી મૂકાઈ ન હોય તે લો. ગાયોને તે ગાડા સાથે જોડો, પણ તેઓના વાછરડા તેઓથી દૂર લઈ ઘરે લાવો.
૮
પછી ઈશ્વરનો કોશ લઈને તે ગાડા ઉપર મૂકો. જે સોનાના દાગીના તમે દોષાર્થાર્પણ તરીકે તેની પ્રત્યે મોકલો છો તેઓને તેની બાજુએ એક ડબ્બામાં મૂકો અને તેને વિદાય કરો કે પોતાના રસ્તે જાય.
૯
પછી જુઓ; તે પોતાના માર્ગે બેથ-શેમેશ તરફ જાય, તો તે જ ઈશ્વર આપણા પર આ મોટી આફત લાવ્યા છે. પણ જો તેમ નહિ, તો આપણે જાણીશું કે તેમના હાથે આપણને દુઃખી કર્યા નથી; પણ છતાં, ઈશ્વરે નિર્મિત કર્યા મુજબ એ આપણને થયું હતું.”
Settings