1 શમુએલ ૨:૨૨-૨૯
૨૨
¶ હવે એલી ઘણો વૃદ્ધ હતો; તેણે સાંભળ્યું કે તેના દીકરાઓ સર્વ ઇઝરાયલ સાથે ખરાબ વર્તન કરતા હતા અને તેઓ મુલાકાતમંડપના દ્વાર આગળ કામ કરનારી સ્ત્રીઓ સાથે કુકર્મ કરતા હતા.
૨૩
તેણે દીકરાઓને કહ્યું, “તમે આવાં કૃત્યો કેમ કરો છો? કેમ કે આ સઘળા લોકો પાસેથી તમારાં દુષ્ટ કર્મો વિષે મને સાંભળવા મળે છે.”
૨૪
ના, મારા દીકરાઓ; કેમ કે જે વાતો હું સાંભળું છું તે યોગ્ય નથી. તમે લોકો પાસે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરાવો છો.
૨૫
¶ “જો કોઈ એક માણસ બીજા માણસની વિરુદ્ધ પાપ કરે, તો ઈશ્વર તેનો ન્યાય કરશે; પણ જો કોઈ માણસ ઈશ્વરની વિરુદ્ધ પાપ કરે, તો તેને સારુ કોણ વિનંતી કરે?” પણ તેઓએ પોતાના પિતાની શિખામણ પાળી નહિ, કેમ કે ઈશ્વરે તેઓને મારી નાખવાનો નિર્ણય કર્યો હતો.
૨૬
બાળ શમુએલ મોટો થતો ગયો અને ઈશ્વરની તથા માણસોની કૃપામાં પણ વધતો ગયો.
૨૭
¶ ઈશ્વરના એક ભક્તે એલી પાસે આવીને તેને કહ્યું, “ઈશ્વર કહે છે, ‘જયારે તમારા પિતૃઓ મિસરમાં ફારુનના ઘરમાં ગુલામીમાં હતા, ત્યારે મેં શું પોતાને તમારા પિતૃઓનાં ઘરનાંઓની સમક્ષ જાહેર કર્યો નહોતો?
૨૮
મેં તને ઇઝરાયલના સઘળાં કુળોમાંથી મારો યાજક થવા, મારો યજ્ઞવેદી પર યજ્ઞ કરવા, ધૂપ બાળવા, મારી આગળ એફોદ પહેરવા માટે પસંદ કર્યો હતો. શું મેં તારા પિતૃઓના ઘરનાઓને ઇઝરાયલ લોકોને સર્વ અગ્નિથી કરેલ અર્પણ યજ્ઞો આપ્યાં નહોતા?
૨૯
¶ ત્યારે, શા માટે, મારાં જે બલિદાનો અને અર્પણો કરવાની મેં તને આજ્ઞા આપી છે તેનો તિરસ્કાર કરીને જ્યાં હું રહું છું ત્યાં મારા ઇઝરાયલ લોકોનાં સર્વ ઉત્તમ અર્પણોથી પુષ્ટ બનીને તું મારા કરતાં તારા પોતાના દીકરાઓનું માન વધારે કેમ રાખે છે?’
Settings