Skip to content
1 શમુએલ ૧૪:૨૭-૪૫

1 શમુએલ ૧૪:૨૭-૪૫

૨૭
પણ યોનાથાનને ખબર ન હતી કે તેના પિતાએ લોકોને સોગન દીધા હતા. તેથી તેણે તો પોતાના હાથમાં જે લાકડી હતી તે લાંબી કરીને તેનો છેડો, મધપૂડામાં નાખીને તેને લાગેલું મધ ચાખ્યું. અને તેની આંખોમાં તેજ આવ્યું.
૨૮
અને લોકોમાંથી એક જણે કહ્યું, “તારા પિતાએ લોકોને સોગન આપીને સખત રીતે હુકમ કર્યો છે, ‘જે માણસ આજે અન્ન ખાય તે શાપિત થાય.’ તે સમયે લોકો નિર્બળ થઈ ગયા હતા.”
૨૯
ત્યારે યોનાથાને કહ્યું, “મારા પિતાએ દેશને હેરાન કર્યો છે. જો મારી આંખોમાં કેવું તેજ આવ્યું છે કેમ કે મેં થોડું મધ ચાખ્યું છે,
૩૦
જો આજે લોકોએ પોતાના શત્રુઓની પાસેથી મેળવેલી લૂંટમાંથી ભરપેટ ખાધું હોત, તો કેટલો વધારે ફાયદો થાત? કેમ કે તેથી તો હાલ પલિસ્તીઓમાં જે કતલ થઈ છે તેના કરતાં પણ ઘણી ભારે કતલ થઈ હોત.”
૩૧
અને તે દિવસે મિખ્માશથી આયાલોન સુધી તેઓ પલિસ્તીઓ પર હુમલો કરતા ગયા. પરંતુ લોકો ઘણાં નિર્બળ થયા.
૩૨
તેથી લોકો લૂંટ પર તૂટી પડ્યા અને ઘેટાં, બળદો અને વાછરડા લઈને, ભૂમિ ઉપર તેઓનો વધ કર્યો. લોકો લોહી સાથે તે ખાવા લાગ્યા.
૩૩
ત્યારે તેઓએ શાઉલને કહ્યું, “જો, લોકો રક્ત સાથે ખાઈને ઈશ્વર વિરુદ્ધ પાપ કરે છે.” શાઉલે કહ્યું, “તમે ઉલ્લંઘન કર્યું છે. હવે, એક મોટો પથ્થર ગબડાવીને મારી પાસે લાવો.”
૩૪
શાઉલે કહ્યું, “તમે લોકો મધ્યે જાઓ, તેઓને કહો, ‘દરેક માણસ પોતાનો બળદ, પોતાનું ઘેટું અહીં મારી પાસે લાવે, અહીં તેઓને કાપે અને ખાય. પણ તમે રક્ત સાથે ખાઈને ઈશ્વર વિરુદ્ધ પાપ કરશો નહિ.’ અને તેઓમાંના દરેક માણસે એ રાત્રે પોતપોતાના બળદ લાવીને તેઓને ત્યાં કાપ્યા.
૩૫
શાઉલે ઈશ્વરને માટે વેદી બાંધી, એ તેણે ઈશ્વરને માટે બાંધેલી પ્રથમ વેદી હતી.
૩૬
પછી શાઉલે કહ્યું, “ચાલો આપણે રાતના સમયે પલિસ્તીઓની પાછળ પડીએ અને સવાર સુધી તેઓને લૂંટીએ; તેઓમાંના એક પણ માણસને જીવતો રહેવા ન દઈએ.” તેઓએ કહ્યું, “જે કંઈ તને સારું લાગે તે કર.” પણ યાજકે કહ્યું કે, “ચાલો આપણે અહીં ઈશ્વરની સમક્ષ એકત્ર થઈએ.”
૩૭
શાઉલે ઈશ્વર પાસે સલાહ માગી, “શું હું પલિસ્તીઓની પાછળ પડું? શું તમે તેઓને ઇઝરાયલના હાથમાં સોંપશો?” પણ ઈશ્વરે તે દિવસે કંઈ ઉત્તર આપ્યો નહિ.
૩૮
પછી શાઉલે કહ્યું, “અહીં આવો, સર્વ લોકોના આગેવાનો તમે અહીં આવો; જુઓ અને જાણો કે આજે આ પાપ કયા કારણથી થયું છે?
૩૯
કેમ કે, ઇઝરાયલને બચાવનાર ઈશ્વર જે જીવે છે તેમના સમ દઈને કહું છું જો તે મારો દીકરો યોનાથાન હશે તો પણ, તે નક્કી માર્યો જશે.” પણ સર્વ લોકોમાંથી કોઈએ પણ તેને ઉત્તર આપ્યો નહિ.
૪૦
ત્યારે શાઉલે સર્વ ઇઝરાયલને કહ્યું, “તમે એક બાજુએ રહો, હું અને મારો દીકરો યોનાથાન બીજી બાજુએ રહીએ.” લોકોએ શાઉલને કહ્યું, “જે તને સારું લાગે તે કર.”
૪૧
એ માટે શાઉલે, ઇઝરાયલના પ્રભુ, ઈશ્વરને કહ્યું, “અમારા દોષો જણાવો.” ત્યારે યોનાથાન તથા શાઉલ ચિઠ્ઠીથી પકડાયા, પણ પસંદ કરાયેલા લોક બચી ગયા.
૪૨
પછી શાઉલે કહ્યું, “મારી અને મારા દીકરા યોનાથાન વચ્ચે ચિઠ્ઠીઓ નાખો. “ત્યારે ચિઠ્ઠી દ્વારા યોનાથાન પકડાયો.
૪૩
ત્યારે શાઉલે યોનાથાનને કહ્યું, “તેં શું કર્યું છે તે મને કહે.” યોનાથાને તેને કહ્યું કે, “મારા હાથમાં લાકડી હતી તેના છેડાથી મેં કેવળ થોડું મધ ચાખ્યું છે. હું અહી છું; મારે મરવું પડે એમ છે.”
૪૪
શાઉલે કહ્યું, “ઈશ્વર એવું અને એથી વધારે મને કરો, યોનાથાન તું નિશ્ચે મરશે.”
૪૫
લોકોએ શાઉલને કહ્યું, “શું યોનાથાન કે જેણે ઇઝરાયલને મોટો વિજય અપાવ્યો છે તે મરશે? એવું ન થાઓ! જીવંત ઈશ્વરના સમ, તેના માથાનો એક પણ વાળ ભૂમિ પર પડનાર નથી, કેમ કે તેણે આજે ઈશ્વરની સહાયથી જ આ કામ કર્યું છે.” એમ લોકોએ યોનાથાનને બચાવ્યો તેથી તે મરણ પામ્યો નહિ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options