Skip to content
1 રાજઓ ૧૯:૯-૧૮

1 રાજઓ ૧૯:૯-૧૮

તેણે એક ગુફામાં જઈને ત્યાં ઉતારો કર્યો. પછી યહોવાહનું એવું વચન તેની પાસે આવ્યું કે, “એલિયા, તું અહીં શું કરી રહ્યો છે?”
૧૦
એલિયાએ જવાબ આપ્યો, “સૈન્યોના ઈશ્વર યહોવાહને સારુ હું ઘણો ઝનૂની છું, કેમ કે ઇઝરાયલના લોકોએ તમારા કરારનો ત્યાગ કર્યો છે. તમારી વેદીઓને તોડી નાખી છે અને તમારા પ્રબોધકોને તલવારથી મારી નાખ્યા છે. અને હવે હું એકલો જ બચી ગયો છું. તેઓ મારો પણ જીવ લેવા મને શોધે છે.”
૧૧
યહોવાહે જવાબ આપ્યો, “બહાર જા અને પર્વત પર યહોવાહની ઉપસ્થિતિમાં ઊભો રહે.” પછી યહોવાહ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. પ્રચંડ પવન પર્વતોને ધ્રુજાવતો અને યહોવાહની સંમુખ ખડકોના ટુકડેટુકડાં કરતો હતો. પરંતુ યહોવાહ તે પવનમાં નહોતા. પવન પછી ભૂકંપ થયો, પરંતુ યહોવાહ એ ભૂકંપમાં પણ નહોતા.
૧૨
ભૂકંપ પછી અગ્નિ પ્રગટ્યો. પણ યહોવાહ એ અગ્નિમાં પણ નહોતા, અગ્નિ પછી ત્યાં એક ઝીણો અવાજ સંભળાવ્યો.
૧૩
જ્યારે એલિયાએ આ અવાજ સાંભળ્યો ત્યારે પોતાના ઝભ્ભાથી તેણે પોતાનું મુખ ઢાંકી દીધું અને બહાર નીકળીને તે ગુફાના બારણા આગળ ઊભો રહ્યો. પછી ત્યાં તેને ફરીથી અવાજ સંભળાયો, “એલિયા, તું અહીં શું કરે છે?”
૧૪
તેણે ફરીથી જવાબ આપ્યો, “સૈન્યોના ઈશ્વર યહોવાહને સારુ હું ઘણો ઝનૂની છું. કેમ કે ઇઝરાયલના લોકોએ તમારા કરારનો ત્યાગ કર્યો છે. તમારી વેદીઓને તોડી નાખી છે અને તમારા પ્રબોધકોને તલવારથી મારી નાખ્યા છે. અને હવે હું એકલો જ બચી ગયો છું. તેઓ મારો પણ જીવ લેવા મને શોધી રહ્યો છે.”
૧૫
પછી યહોવાહે તેને કહ્યું, “અરણ્યને માર્ગે થઈને દમસ્કસ પાછો જા અને જયારે તું ત્યાં પહોંચે ત્યારે હઝાએલનો અભિષેક કરીને તેને અરામનો રાજા ઠરાવજે.
૧૬
નિમ્શીના દીકરા યેહૂનો અભિષેક કરીને તેને ઇઝરાયલનો રાજા ઠરાવજે. અને આબેલ-મહોલાવાસી શાફાટના દીકરા એલિશાનો અભિષેક કરીને તેને તારી જગ્યાએ પ્રબોધક ઠરાવજે.
૧૭
અને એમ થશે કે હઝાએલની તલવારથી જે કોઈ બચી જશે તેને યેહૂ મારી નાખશે અને યેહૂની તલવારથી જે કોઈ બચી જશે તેને એલિશા મારી નાખશે.
૧૮
પણ હું મારે માટે ઇઝરાયલમાં એવા સાત હજારને બચાવીશ કે જે સર્વનાં ઘૂંટણ બઆલની આગળ નમ્યાં નથી અને જેઓમાંના કોઈનાં મુખે તેને ચુંબન કર્યું નથી.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options