Skip to content

ગીતશાસ્ત્ર૯૪

હે બદલો વાળનાર ઈશ્વર, યહોવાહ, હે બદલો વાળનાર ઈશ્વર, અમારા પર પ્રકાશ પાડો.
હે પૃથ્વીના ન્યાયાધીશ, ઊઠો, ગર્વિષ્ઠોને બદલો વાળી આપો.
હે યહોવાહ, દુષ્ટો ક્યાં સુધી, ક્યાં સુધી દુષ્ટો જીત પ્રાપ્ત કરશે?
તેઓ અભિમાની અને ઉગ્ર વાતો કરે છે અને તેઓ સર્વ બડાઈ મારે છે.
હે યહોવાહ, તેઓ તમારા લોકો પર જુલમ કરે છે; તેઓ તમારા વારસાને દુ:ખ આપે છે.
તેઓ વિધવાને અને વિદેશીઓને મારી નાખે છે અને તેઓ અનાથની હત્યા કરે છે.
તેઓ કહે છે, “યહોવાહ જોશે નહિ, યાકૂબના ઈશ્વર ધ્યાન આપશે નહિ.”
હે અજ્ઞાની લોકો, તમે ધ્યાન આપો; મૂર્ખો, તમે ક્યારે બુદ્ધિમાન થશો?
જે કાનનો બનાવનાર છે, તે શું નહિ સાંભળે? જે આંખના રચનાર છે, તે શું નહિ જુએ?
૧૦
જે દેશોને શિસ્તમાં રાખે છે, તે શું તમને સુધારશે નહિ? તે જ એક છે કે જે માણસને ડહાપણ આપે છે.
૧૧
યહોવાહ માણસોના વિચારો જાણે છે, કે તે વ્યર્થ છે.
૧૨
હે યહોવાહ, તમે જેને શિસ્તમાં રાખો છો, જેને તમે તમારા નિયમશાસ્ત્રમાંથી શીખવો છો, તે દરેક આશીર્વાદિત છે.
૧૩
દુષ્ટને માટે ખાડો ખોદાય ત્યાં સુધી તમે તેને સંકટના દિવસોમાંથી શાંતિ આપશો.
૧૪
કેમ કે યહોવાહ પોતાના લોકોને તરછોડશે નહિ તે પોતાના વારસાનો ત્યાગ કરશે નહિ.
૧૫
કારણ કે ન્યાયીકરણ ન્યાયીપણા તરફ પાછું વળશે; અને સર્વ યથાર્થ હૃદયવાળા તેને અનુસરશે.
૧૬
મારા બચાવમાં મારે માટે દુષ્કર્મીઓની સામે કોણ ઊઠશે? મારે માટે દુષ્ટની વિરુદ્ધ કોણ ઊભો રહેશે?
૧૭
જો યહોવાહે મારી સહાય કરી ન હોત તો મારો આત્મા વહેલો છાનો થઈ જાત.
૧૮
જ્યારે મેં કહ્યું કે, “મારો પગ લપસી જાય છે,” ત્યારે, હે યહોવાહ, તમારી કૃપાએ મને પકડી લીધો છે.
૧૯
જ્યારે મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે, ત્યારે તમારા દિલાસાઓ મારા આત્માને ખુશ કરે છે.
૨૦
દુષ્ટ અધિકારીઓ નિયમસર ઉપદ્રવ યોજે છે, તેઓ શું તારી સાથે મેળાપ રાખશે?
૨૧
તેઓ ન્યાયીઓની વિરુદ્ધ કાવતરાં રચે છે અને નિર્દોષને દોષિત ઠરાવીને તેઓને મૃત્યદંડ આપે છે.
૨૨
પણ યહોવાહ મારો ઊંચો ગઢ છે અને મારા ઈશ્વર મારા આશ્રયના ખડક છે.
૨૩
તેમણે તેઓને તેઓનો અન્યાય વાળી આપ્યો છે અને તે તેઓની દુષ્ટતાને માટે તેઓનો સંહાર કરશે. યહોવાહ આપણા ઈશ્વર તેઓનો સંહાર કરશે.
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options