ગીતશાસ્ત્ર ૨૨:૨૨-૩૧
૨૨
હું મારા ભાઈઓમાં તમારું નામ પ્રગટ કરીશ; હું ભરી સભામાં તમારી સ્તુતિ કરીશ.
૨૩
હે યહોવાહનો ભય રાખનારાઓ, તેમનાં ગુણગાન ગાઓ! તમે બધા યાકૂબના વંશજો, તેમને માન આપો! હે ઇઝરાયલના સર્વ વંશજો, તમે તેમનું ભય રાખો.
૨૪
કેમ કે તેમણે દુઃખીઓના દુઃખને તુચ્છ ગણ્યું નથી અને તેનાથી કંટાળ્યા નથી; યહોવાહે તેનાથી પોતાનું મુખ ફેરવ્યું નથી; જ્યારે તેણે મદદને માટે અરજ કરી, ત્યારે તેમણે તેનું સાંભળ્યું.
૨૫
હું તમારી કૃપાથી મોટી મંડળીમાં તમારી સ્તુતિ કરું છું; તેમનું ભય રાખનારાઓની આગળ હું મારી પ્રતિજ્ઞાઓ પૂરી કરીશ.
૨૬
દરિદ્રીઓ ખાઈને તૃપ્ત થશે; જેઓ યહોવાહને શોધે છે, તેઓ તેમની સ્તુતિ કરશે. તેઓનો હૃદય સર્વકાળ જીવો.
૨૭
પૃથ્વીના સર્વ લોકો યહોવાહને સંભારીને તેમની તરફ ફરશે; વિદેશીઓનાં સર્વ કુટુંબો તેમની આગળ આવીને પ્રણામ કરશે.
૨૮
કારણ કે રાજ્ય યહોવાહનું છે; તે સર્વ પ્રજા પર રાજ કરે છે.
૨૯
પૃથ્વીના સર્વ મોટા લોકો પ્રણામ કરશે; જેઓ ધૂળમાં જનારા છે, એટલે જેઓ પોતાના જીવને બચાવી શકતા નથી, તેઓ સર્વ ઈશ્વરની આગળ નમશે.
૩૦
તેઓના વંશજો પ્રભુ ઈશ્વરની સેવા કરશે; આવતી પેઢીની આગળ તેઓને તેનું ન્યાયીપણું પ્રગટ કરવામાં આવશે.
૩૧
તેઓ આવશે અને હવે પછી જન્મનારા લોકોને; તેઓનું ન્યાયીપણું પ્રગટ કરીને કહેશે કે, તેમણે તે કર્યું છે!
Settings