Skip to content
ગણના ૧૪:૨૬-૩૮

ગણના ૧૪:૨૬-૩૮

૨૬
યહોવાહ મૂસા અને હારુનની સાથે બોલ્યા. તેમણે કહ્યું,
૨૭
“આ દુષ્ટ લોકો જે મારી વિરુદ્ધ કચકચ કરે છે તેઓનું હું ક્યાં સુધી સહન કરું? ઇઝરાયલી લોકોની કચકચ જે તેઓ મારી વિરુદ્ધ કરે છે તે સર્વ મેં સાંભળી છે.
૨૮
યહોવાહ કહે છે કે, તેઓને કહે કે, ‘હું જીવિત છું,’ જેમ તમે મારા કાનોમાં બોલ્યા તેમ હું નક્કી કરીશ;
૨૯
અને તમારા મૃતદેહ આ અરણ્યમાં પડશે. જેઓએ મારા વિરુદ્ધ કચકચ કરી છે અને તમારામાંના જેઓની ગણતરી થઈ છે એટલે વીસ વર્ષની ઉંમરના અને તેથી વધારે ઉપરના તેઓની સંખ્યામાંના તમારા લોકો.
૩૦
મેં તમને જે દેશમાં વસાવવાનું વચન આપ્યું હતું તેમાં જવા નહિ જ પામશે. ફક્ત યફૂન્નેનો દીકરો કાલેબ અને નૂનનો દીકરો યહોશુઆ જ તેમાં પ્રવેશ કરશે.
૩૧
પણ તમારાં સંતાનો જેઓના વિષે તમે કહ્યું કે, તેઓ લૂંટરૂપ થઈ જશે. તેઓને હું અંદર લાવીશ. જે દેશનો તમે અસ્વીકાર કર્યો છે. તેનો તેઓ અનુભવ કરશે!
૩૨
પણ તમારા મૃતદેહો તો આ અરણ્યમાં પડશે.
૩૩
અને ચાળીશ વર્ષ સુધી તમારા સંતાનો અરણ્યમાં ભટકશે. અને તમારા ગુનાઓનું ફળ ભોગવશે જ્યાં સુધી કે અરણ્યમાં તમારા મૃતદેહો નાશ પામે.
૩૪
જેટલા દિવસમાં તમે તે દેશની જાસૂસી કરી એટલે ચાળીસ દિવસ તેઓની સંખ્યા મુજબ એક એક દિવસને બદલે એક એક વર્ષ લેખે એટલે ચાળીસ વર્ષ સુધી તમે તમારાં વ્યભિચારનું ફળ ભોગવશો.
૩૫
હું યહોવાહ બોલ્યો છું કે, નિશ્ચે આ દુષ્ટ પ્રજા જે મારી આગળ એકઠી થઈ છે તેઓને હું આ પ્રમાણે કરીશ. આ અરણ્યમાં તેઓનો અંત થશે અને અહીં તેઓ મૃત્યુ પામશે.
૩૬
અને જે માણસોને મૂસાએ દેશની જાસૂસી કરવા માટે મોકલ્યા હતા. તેમાંના જેઓ પાછા આવ્યા અને દેશ વિષે ખરાબ સંદેશો લાવીને આખી પ્રજાની પાસે તેની વિરુદ્ધ કચકચ કરાવી.
૩૭
જે લોકો દેશ વિષે ખરાબ સંદેશો લાવ્યા તેઓ યહોવાહની આગળ મરકીથી માર્યા ગયા.
૩૮
પણ જેઓ દેશની જાસૂસી કરવા ગયા હતા તેઓમાંનો નૂનનો દીકરો યહોશુઆ તથા યફૂન્નેનો દીકરો કાલેબ જીવતા રહ્યા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options