મીખાહ ૨:૧-૫
૧
જેઓ દુષ્ટતા આચરવાની યોજનાઓ કરે છે, જેઓ બિછાનામાં રહીને પાપ કરવાની યોજના કરે છે તેઓને ધિક્કાર છે. પછી પ્રભાતના પ્રકાશમાં તેઓ તેનો અમલ કરે છે, કેમ કે તેઓની પાસે સામર્થ્ય છે.
૨
તેઓ ખેતરો મેળવવાની ઇચ્છા રાખે છે તેથી તેને ઘેરી વળે છે; તેઓ ઘર મેળવવાની ઇચ્છા રાખે છે તેથી તેને લઈ લે છે. તેઓ માણસને અને તેના ઘરને, માણસને તથા તેના વારસા પર જુલમ કરે છે.
૩
તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “જુઓ, હું આ કુળ ઉપર આફત લાવવાનો છું, એમાંથી તમે તમારી જાતને બચાવી શકો નહિ, અને તમે હવે હોશિયારીથી ચાલી શકશો નહિ, કેમ કે તે ભયાનક સમય હશે.
૪
તે દિવસે તમારા શત્રુઓ તમને મહેણાં ટોણાં મારશે, અને તમારે માટે વિલાપનાં ગીતો ગાઈને રુદન કરશે. તેઓ ગાશે કે, ‘આપણે ઇઝરાયલીઓ તો સંપૂર્ણ રીતે પાયમાલ થઈ ગયા છીએ; યહોવાહે અમારા લોકનો પ્રદેશ બદલી નાખ્યો છે, મારી પાસેથી તે કેવી રીતે લઈ લીધો છે? અને તે યહોવાહ અમારા ખેતરો અમને દગો આપનારાઓ વચ્ચે વહેંચી આપે છે!”
૫
એ માટે, જ્યારે યહોવાહ લોકોની જમીન માટે ચિઠ્ઠીઓ નાખશે, ત્યારે તમને તે નહિ મળે.
Settings